|
ગીતા જેવા મહાન ગ્રંથનો વારંવારનો વિચાર ખૂબ જ ઉપયોગી છે. આ બાબતમાં પેલી
લોકવાર્તાને યાદ કરવા જેવી છે. વાર્તા એવી છે કે, એક કઠિયારો ખૂબ જ ગરીબ હતો.
તેને એક મહાપુરૂષની મુલાકાત થઈ ગઈ. મહાપુરૂષે તેની કંગાલિયત જોઈને કહ્યું : આ
જંગલમાં તું જ્યાં લાકડા કાપવા જાય છે ત્યાં હવે ના જઈશ. પણ જંગલમાં વધારે ને
વધારે અંદર જજે. આમ કરવાથી બહુ જ થોડા વખતમાં તારી કંગાલિયત દૂર થઈ જશે, ને તું
ધનવાન બની જઈશ. કઠિયારાને આ સાધારણ ઉપાય સાંભળીને બહુ આનંદ થયો. બીજે દિવસથી તે
તો જંગલમાં અંદર ને અંદર જવા માંડ્યો. અંદર જતાં જ તેણે ચંદનનું જંગલ જોયું તે
તો આનંદમાં આવી ગયો. કપાય તેટલાં ચંદનના લાકડાં કાપીને તે નગરમાં વેચવા ગયો. તો
તે દિવસે તેને ખૂબ પૈસા મળ્યા.
બે ચાર દિવસ સુધી તે જ ચંદનનાં લાકડાં કાપ્યાં પછી તેને થયું કે પેલા મહાપુરૂષે
તો જંગલમાં અંદર ને અંદર જવાનું કહ્યું છે, ફક્ત ચંદનના જંગલ પાસે અટકવાનું
કહ્યું નથી. બીજે દિવસે તે ગયો, તો તેના હરખનો પાર રહ્યો નહિ. કેમ કે ત્યાં બધે
દેવદારના ઝાડ હતાં ! તે દિવસે તેને વળી વધારે પૈસા મળ્યા.
એમ કરતાં કરતાં તેને જંગલમાં તાંબુ, ચાંદી ને સોનાની ખાણ પણ મળી ગઈ, ને હીરા
માણેક
પણ તેના હાથમાં આવ્યાં. હવે તો તેના ભાગ્યનું કહેવું જ શું
?
મહાપુરૂષે કહેલી વાણી ફળી, ને તે કઠિયારો થોડા વખતમાં તો સુખી ને શ્રીમંત બની
ગયો.
આ વાત સાચી હો કે ખોટી, ને તે પ્રમાણે પેલો કઠિયારો ધનવાન ને સુખી બન્યો હોય કે
નહિ, પરંતુ તેના પરથી ફલિત થતી શિક્ષા તો
સાચી જ છે. તે શિક્ષા બે પ્રકારની છે. એક પ્રકારની શિક્ષા એવી છે કે જીવનનો
વિકાસ કરવા માગનાર માણસે ખોટા સંતોષનો આશ્રય લીધા વિના હંમેશા આગળ ને આગળ વધતા
રહેવું જોઈએ. જીવનનો વિકાસ ખૂબ જ વિરાટ છે. તેની ભૂખ જાગ્રત રાખીને માણસે આગળ
ને આગળ પુરુષાર્થ કરતાં રહેવું જોઈએ. તો જ તેને સાચી મહાનતા ને શ્રી મળી શકે.
બીજી શિક્ષા જ્ઞાનના સંબંધમાં છે ને ગીતા જ્ઞાનની પ્રત્યક્ષ પ્રતિમા હોવાથી,
તેના સંબંધમાં પણ તે લાગુ પાડી શકાય છે. ગીતાના સંબંધમાં પણ તે શિક્ષા સાચી ઠરે
છે.
કઠિયારાએ જંગલમાં વધારે ને વધારે અંદર પ્રવેશ કરીને જેમ કિંમતી પદાર્થો,
ધન ને સુખની પ્રાપ્તિ કરી, તેમ ગીતામાં પણ વધારે ને વધારે પ્રવેશ કરવાથી માણસને
કિંમતી પદાર્થોની પ્રાપ્તિ થાય છે : જેની કિંમત તાંબુ, ચાંદી ને સોનાના
સિક્કાથી પણ અનેકગણી વધી જાય, એવાં ઉચ્ચ જીવનનાં મૂલ્યવાન સત્યો કે રહસ્યોની
પ્રાપ્તિ થાય છે, જેને માટે તે ઝંખે છે ને સાચી કે ખોટી દિશામાં પ્રયાસ કરે છે.
તે પરમ શાંતિ, મુક્તિ ને પૂર્ણતાનો માર્ગ તેને માટે ખુલ્લો થાય છે, ને જીવનને
સફળ કરવાની કુંચી તેના હાથમાં આવી જાય છે. આખરે તેની સર્વ પ્રકારની કંગાલિયત
દૂર થાય છે, ને તે ધની ને ધન્ય બને છે.
સંસારમાં ધની ઘણા છે પણ તે બધા ધન્ય નથી. ધન્યતાનો અનુભવ કરનારા તેમાં બહુ જ
ઓછા હોય છે.
એવા એકાદ બે ધની પણ ભાગ્યે જ મળે છે જે પોતાને પૂરા સુખી ને ધન્ય માનતા હોય.
આ ઉપરાંત, કંગાલિયત પણ અનેક જાતની છે. જેની પાસે ધન ના હોય તે જ કંગાલ છે એમ
માનવાની જરૂર નથી. ધન હોય પણ
સારું
તન ના હોય, અથવા તે બંને હોય પણ ઉત્તમ એવું મન ના હોય, તો માણસ કંગાલ જ છે.
ધનની કંગાલિયત બુરી છે એનો ઈન્કાર આ યુગમાં ભાગ્યે જ કરી શકાશે. તન અને મનની
કંગાલિયત આજે ઠેરઠેર થતી જાય છે એ દુઃખદ છે. માણસે સુખી થઈને સમાજ કે સંસારને
સુખી કરવો હોય તો આ મહત્વની ને તેને મરણતોલ કરી નાખનારી કંગાલિયતથી મુક્ત થવું
જ જોઈએ. ગીતા એ માટેના રામબાણ ઉપાય બતાવે છે. તેના અમલથી માણસ સુખી, ધની ને
વધારામાં ધન્ય પણ બની શકે છે. ગીતાનો કેવળ વિચાર કરીને બેસી રહેવાથી આ હેતુ નહિ
સધાય. વિચાર સાથે અમલ કે વર્તનની પણ જરૂર છે. જીવનમાં જે નિયમો ને સિદ્ધાંતોને
વફાદાર રહીને ચાલવાનું છે તેનો ખ્યાલ વિચારનો આશ્રય લીધા વિના કેવી રીતે આવી
પડશે
?
મંથન કર્યા વિના બેસી રહેવાથી માખણ ક્યાંથી નીકળશે
?
એટલે વિચારની જરૂર પહેલી છે. પછી જ તે પ્રમાણે વર્તન કરવાનો કાર્યક્રમ ઘડી
શકાય. આ વિચાર જ વિવેક છે;
ને તેનું મહત્વ જ્ઞાનના માર્ગમાં સૌથી પ્રથમ માનેલું છે. તે વિના માણસ ભાગ્યે જ
આગળ વધી શકે.

(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|