Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

અર્જુનની જિજ્ઞાસા : જ્ઞાન મોટું કે કર્મ ?

 

 

ઉત્તમ શું છે, ને શાંતિ શાનાથી મળી શકે તેમ છે, કર્મથી કે કર્મનો ત્યાગ કરીને ફક્ત જ્ઞાનનો આધાર લેવાથી, એ પ્રશ્ન ભલભલા માણસોને પણ મુંઝવે છે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

બીજા અધ્યાયમાં ભગવાને સ્વધર્મના પાલનની શિક્ષા આપી, પણ સાથે સાથે વિવેકપૂર્વક કર્મ કરવા જોઈએ એમ પણ કહ્યું. આટલું કહીને બેસી રહ્યા હોત તો હરકત ન હતી પણ આનંદમાં આવ્યા હોય તેમ તે બે ડગલાં આગળ પણ વધી ગયા. ગાયનના રસિયા માણસને ગાવાનું કહેવામાં આવે, તો તે એકને બદલે કેટલીકવાર અનેક ગીત ગાઈ નાખે છે પછી તેને કાબૂમાં રાખવાનું કઠિન થાય છે. ઉપદેશજે ભજનવાણીથી જરાય ઉતરતો નથી-પણ આગળ ને આગળ ચાલ્યા કરે છે. કોઈ વાર આપણને થાય કે હવે ઉપદેશ પૂરો થશે, ત્યાં તો અધ્યાયને અંતે કોઈ એવી વાત આવીને ઊભી રહે કે જેને માટે બીજો અધ્યાય શરૂ કરવો જ પડે. ભગવાને વિવેકપૂર્વક કર્મ કરવાનો ઉપદેશ આપીને ગાડીને રોકી દીધી હોત તો વાત આગળ ના વધત. પણ તેમણે તો બે સ્ટેશન આગળ કરી લીધાં. લૌકિક ને પરલૌકિક ભોગવાસનાનો ત્યાગ કરવાનો ને પરમાત્મા સાથે એકતા સાધવાનો તેમણે ઉપદેશ આપ્યો. આ વાત જ્ઞાન સિવાય થાય નહિ. એટલે તેનો ને તેની પ્રાપ્તિ કરી પૂર્ણ થયેલા મહાપુરૂષનો મહિમા પણ ગાયો. એટલે અર્જુનની જિજ્ઞાસા વધી. તેનું દર્શન આપણને ત્રીજા અધ્યાયની શરૂઆતમાં જ થઈ રહે છે.

ત્રીજા અધ્યાયની શરૂઆતમાં પોતાની જિજ્ઞાસા રજૂ કરતાં અર્જુન પૂછે કે પ્રભુ ! તમે કર્મના વખાણ તો કરો છો; પણ સાથે સાથે કરમના, ત્યાગનાં કે જ્ઞાનનાં પણ વખાણ કરો છો. આથી તો મારી મૂંઝવણ વધે છે. મને દુવિધા થાય છે. મારે કર્મ કરવું કે કર્મનો ત્યાગ કરીને જ્ઞાનના માર્ગનો આધાર લેવો એ મને સમજાતું નથી. આ પરિસ્થિતિમાંથી મારે માર્ગ કેવી રીતે કાઢવો ? મેં તો તમારી પાસેથી કોઈ ચોક્કસ નિર્ણયની આશા રાખી હતી. ત્યારે તમે તો ગોળગોળ વાત કરતા હો એમ લાગે છે. તે વાત મૂકી દો ને કર્મ ને જ્ઞાનમાં શું ઉત્તમ છે તે કહી દો. કર્મ ને કર્મનો ત્યાગ એ બેમાં શું શ્રેષ્ઠ છે તે મને સમજાવો, જેથી હું કોઈ એક માર્ગને અપનાવી શકું.

અર્જુનને જે પ્રશ્ન થયો છે તે પ્રશ્ન કેટલાંય માણસોને થાય છે. ઉત્તમ શું છે, ને શાંતિ શાનાથી મળી શકે તેમ છે, કર્મથી કે કર્મનો ત્યાગ કરીને ફક્ત જ્ઞાનનો આધાર લેવાથી, એ પ્રશ્ન ભલભલા માણસોને પણ મુંઝવે છે. ગીતામાતા તેનો ઉત્તર આપવામાં બહુ ડહાપણ બતાવે છે. એકાંતમાં રહેનારા ને વ્યાવહારિક સંબંધો કાપી ચૂકેલા કોઈ જ્ઞાની પુરૂષને પૂછો તો તે તરત ઉત્તર આપશે કે ભાઈ જગત મિથ્યા છે. સંસારમાં કર્મ કરીને સુખની ઈચ્છા રાખવી મિથ્યા છે. આ કાંઈ સાચું જગત છે ? આ તો મૃગજળ છે. પાણીની ઈચ્છાથી પાસે પહોંચો પણ હાથમાં કાંઈ જ ના આવે. કર્મ કરવાથી વળશે શું ? કર્મનો મોહ છોડી દો ને અમારી જેમ ત્યાગી બનીને એકાંતમાં આસન વાળો તો સુખી થશો ને શાંતિ પણ ત્યારે જ મળશે. પણ બધાનાં સંબંધમાં આવું થોડું બને છે ?

કેટલાક માણસો કર્મ કરવામાં જ માને છે. તેમને કામ વિના ચેન પડતું જ નથી. પેલા વ્યવહારત્યાગી ને એકાંતવાસી પુરૂષોને કામ આપો તો તેમને નહિ ગમે. કામ વિનાનું જીવન તેમને આનંદમય લાગશે પણ આ કામગરા માણસોને જો કામ નહિ મળે તો બેચેન બનશે. કામ એ જ તેમનું જીવન છે. કામ વિના તે તરફડાટ કરશે, જીવનનો આનંદ ખોઈ બેસશે. તેવા માણસોની સલાહ લો તો તમને જુદો જ અભિપ્રાય આપશે. તે કહેશે, ભાઈ, એમાં પૂછવા જેવું છે જ શું ? કામ વિના ઠામ ક્યાં છે ? જે કરે તે પામે. કામ કરો તો તમારો ને બીજાનો ઉદ્ધાર કરી શકશો. એક સારા કર્મવીર નેતાની મુલાકાત વખતે એક ભાઈએ પોતાને પ્રિય એવા એક સંતપુરૂષનો પરિચય આપ્યો ને કહ્યું કે આ મહાત્મા હિમાલયમાં વધારે ભાગે વાસ કરે છે. થોડીવારે તેમને તે સંતપુરૂષનો ફોટો પણ બતાવ્યો. તે જોઈને પેલા કર્મવીર તરત બોલી ઊઠ્યા : પણ આવા પુરૂષો હિમાલયમાં રહે તેથી બીજાને શો લાભ ? સમાજનું તેથી શું હિત સધાય ? સમાજમાં રહીને તેમણે કામ કરવું જોઈએ.

આવા માણસો એમ માનતા લાગે છે કે કામ વસ્તીમાં જ થાય. એકાંતમાં ના થાય પણ તે માન્યતા લૂલી છે. શું વસ્તીથી દૂર રહીને એકાંતમાં પણ માણસ કામ નથી કરી શકતો કે ? કાશ્મરનું રક્ષણ કરવા માટે કેટલાય સૈનિકો શ્રીનગર ને જમ્મુ જેવાં સ્થળોમાં ફરે છે, ને નિરંતર પ્રવૃત્તિ કરે છે, પણ દસ દસ હજાર ફીટ જેટલા ઊંચા પર્વતીય પ્રદેશ પર પણ કોઈ કોઈ સૈનિકોને રહેવું પડે છે. ત્યાં નથી બજાર કે નથી યાતાયાતનાં ખાસ સાધન કે વસ્તી. ઠંડી પણ અસહ્ય હોય છે. મેદાની પ્રદેશની પેઠે ત્યાં કોઈ મોજશોખનાં સાધન પણ નથી. ત્યાં તો કષ્ટ ને યાતના છે છતાં નિર્જન સ્થાનમાં હસતાં હસતાં વસવાટ કરીને તે સૈનિક ચોકી કરે છે. આખા દેશનું આવું છે. ભારતમાં બધા સૈનિકો વસ્તીમાં જ વસે છે એવું નથી. પહાડની કંદરાઓમાં ને ઊંચાઈ પર પણ તેમને રહેવું પડે છે. તેવા એકાંત સ્થળોમાં પોસ્ટઓફિસો પણ હોય છે. ત્યાં રહેનારા માણસો ને સૈનિકો શું દેશની સેવા નથી કરતા ? તો પછી હિમાલય જેવાં એકાંત પ્રદેશમાં રહેનારા પુરૂષો સમાજને માટે કૈં ઉપયોગી કામ નહિ કરતા હોય એમ પહેલેથી જ શા માટે માની લો છો ? તેવા પુરૂષનો સંપર્ક સાધી જરા તપાસ તો કરો કે તે શું કરે છે ? શીખ ગુરૂ ગોવિંદસિંહે બદરીનાથના માર્ગમાં આવતી ફૂલની ખીણ પાસે પૂર્વજન્મમાં લાંબો વખત તપશ્ચર્યા કરી હતી. એ સ્થાન શું વસ્તીથી દૂર એકાંતમાં નથી ? સમર્થ રામદાસે શું એકાતમાં રહીને વરસો સુધી તપ નહતું કર્યું ? પ્રેમ ને અહિંસાનો પાઠ આપનાર બુદ્ધે એકાંતવાસ નહતો કર્યો ? વ્યાસ, વાલ્મિકી ને તુલસી શું એકાંતવાસી ન હતા ? માનવજાતિના મંગલ માટે શરૂઆત કરતાં પહેલાં ઈસુએ એકાંતનો આશ્રય લઈને શું પ્રખર તપ નહતું કર્યું ? દયાનંદ સરસ્વતએ શું હિમાલયવાસ નહતો કર્યો ? તે સૌનો એકાંતવાસ શું નિરર્થક હતો કે ? તેમનાથી શું સમાજને લાભ નથી થયો ?

વિચારોના આ બે પ્રવાહો જગતમાં જોવા મળે છે. એક કર્મને બિલકુલ માનતો નથી, ને બીજો કર્મનો એટલો બધો પક્ષપાતી છે કે કર્મ વિનાની દશાને જરાય પસંદ કરતો નથી. આ બે પ્રવાહો વચ્ચે ઉત્તર ને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર છે. આ બંને પ્રવાહની અંદર અટવાતો એક ત્રીજા પ્રવાહ પણ છે. તેનું વલણ સ્થાયી કે ચોક્કસ નથી, જેની અસર નીચે આવે તેની અસરથી રંગાય એવી તે પ્રવાહમાં રહેતા માણસોની દશા છે. એવા માણસો ઘણા જોવા મળે છે. કોઈ મહાન કર્મવીરના સમાગમમાં આવે તો તેમની કર્મઠ થવાની ફિલસૂફી વધારે જોશ ધારણ કરે, ને તે મહાન કર્મવીર થવાના સ્વપ્નાં સેવે. થોડા વખત બાદ કોઈ ત્યાગી પુરૂષના સમાગમમાં આવે, ને તેમની કથાવાર્તા શ્રવણ કરે, એટલે તેમનો સૂર ફરી જાય ને નવો રાગ ગાવા માંડે કે કે પ્રવૃત્તિ તો પ્રપંચ છે. આ દશા તંદુરસ્ત દશા નથી. આગળ જતાં પોતાની દશા પણ ત્રિશંકુ જેવી ને નાદુરસ્ત ના થઈ જાય, તે માટે અર્જુન આ અધ્યાયની શરૂઆતમાં જ ભગવાન પાસે આ વિશે ખુલાસો માંગી લે છે અથવા ચોક્કસ અભિપ્રાયની માગણી કરે છે. બંને બાજુ ઢોલકી બજાવવાનું મૂકી દઈ હે પ્રભુ, હવે એક જ ઉત્તમપક્ષની સૂચના આપો. તે પ્રમાણે ચાલીને હું મારૂં જીવન સફળ કરી શકું, એમ અર્જુન પ્રાર્થના કરે છે.

Shri Yogeshwarji

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer