|
આટલા ઉપદેશ પછી અર્જુનને હવે વાચા ફૂટે છે. વધારે એક પ્રશ્નની રજૂઆત કરતાં તે
કહે છે કે કેટલીકવાર માણસની ઈચ્છા નથી હોતી છતાં તે બળજબરીથી પાપમાં પડે છે કે
દુષ્કર્મ કરે છે, તો તેનું કારણ શું
?
તેની ઈચ્છા વિરૂદ્ધ તેને દુષ્કર્મમાં દોરી જનારી વસ્તુ કઈ છે
?
ને ત્રીજા અધ્યાયને અંતે ભગવાન તે પ્રશ્નનો જવાબ આપે છે. ખરી રીતે તો જે
અર્જુનનો પ્રશ્ન છે તે સૌનોય પ્રશ્ન છે. સામાન્ય રીતે વિચાર કરીએ તો કેટલાક
માણસોને માટે તે પ્રશ્ન સાચો છે. આધ્યાત્મિક માર્ગના જિજ્ઞાસુઓ મને કેટલીકવાર આ
પ્રશ્ન પૂછે છે. તેમને માટે આપણે વિચાર કરીએ તે જરૂરી છે.
સૌથી પહેલાં તો આપણે એ વાતને ચોખ્ખી કરી દઈશું કે દરેક વખતે ઈચ્છા ના હોય તો પણ
માણસ પાપકર્મ કરવા પ્રેરાય છે એમ નથી. વધારે ભાગના માણસો ઈચ્છાપૂર્વક,
સંપૂર્ણપણે સાવધ રહીને પાપ કરે છે, ને આનાથી પણ બે ડગલા આગળ વધીને પાપ કરવામાં
આનંદ પણ માને છે. કેટલાકને માટે પાપકર્મ કરવાનું એટલું બધું સહજ બની જાય છે કે
પોતે કોઈ પાપ કરી રહ્યાં છે એમ તેમને લાગતું નથી ને પાપનો ડંખ તેમના દિલમાં
જાગતો નથી. વિવેકનો નાશ થવાથી પાપ કરવા છતાં, પોતે પુણ્ય જ કરી રહ્યા છે એમ તે
માને છે ને મનાવે છે. માણસની ઈચ્છા ના હોય છતાં તે પાપ કરે છે, એ વાતને
સિદ્ધાંત તરીકે સ્વીકારી લેવાથી માનવીની નબળાઈને પોષણ મળશે, ને ઈચ્છા શક્તિ તથા
હિંમત કેળવીને માણસ પાપનો પ્રતીકાર ના કરી શકે, એવી લૂલી માન્યતા મજબૂત બનશે.
આમાં માનવનું અપમાન છે;
માનવના પુરૂષાર્થને માટે આ માન્યતા શરમરૂપ ને પડકારરૂપ છે માટે તેને સિદ્ધાંત
તરીકે માની લેવાની જરૂર નથી. સિદ્ધાંતરૂપે તો એમ જ માનવું બરાબર છે કે પાપ
કરવું કે ના કરવું એ માણસના હાથની વાત છે.
જો તેની ઈચ્છા ખરેખર પાપ કરવાની નહિ હોય, તો તેને પાપમાં પ્રેરવાની તાકાત
દુનિયાની કોઈયે વસ્તુમાં નથી.
જીવનમાં દેવ કે દાનવ બનવું એ તેના હાથની વાત છે. છતાં
પણ વ્યવહારિક જીવનમાં, કેટલીકવાર અપવાદરૂપે એવું બને છે કે માણસનું દિલ ડંખતું
હોય છતાં તે પાપ કરવા પ્રેરાય છે;
પાપ
સારું
નથી એમ સમજ્યા છતાં તે પાપ કરવા પ્રેરાય છે;
પાપ કરવાનું પસંદ ના હોય છતાં સાનભાન ભૂલીને, આંખે પાટા બાંધીને, તે પાપ કરવા
પ્રેરાય છે. તેનું કારણ શું
?
એવે વખતે તેને પાપમાં કોણ પ્રેરે છે
?
મહાભારતમાં મહર્ષિ વ્યાસે તેનો ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો છે. માણસ જેને કરવા
યોગ્ય માને છે, તેમાં તેની પ્રવૃત્તિ થતી નથી ને જેને અધર્મ સમજે છે તેમાંથી તે
નિવૃત્ત થતો નથી. દુર્યોધનની દશા આવી હતી. પોતે અધર્મ કરી રહ્યો છે, પાંડવો
સાથે વેર બાંધી પોતાને જ માટે આફત વહોરી રહ્યો છે, છતાં છેલ્લી ઘડીએ પણ તેને
ધર્મ ને ન્યાયપૂર્વક પગલું ભરીને પોતાનું ને બીજાનું જીવન બચાવી લેવાનું ગમતું
નથી. એનું કારણ શું ?
તેના ઉત્તરમાં તે કહે છે કે મારા હૃદયમાં બેઠેલા કોઈક દેવ–પરમેશ્વરની
ઈચ્છા પ્રમાણે,
તે જેમ કરાવે તેમ, હું બધું કરું છું.
દુર્યોધનના જેવી જ દશા રાવણની હતી. વિભીષણ, હનુમાન અંગદ ને મંદોદરીએ વારંવાર
સમજાવવા છતાં રાવણે રામ સાથે વેર બાંધ્યું. સીતાએ પણ તેને શિખામણ આપી છતાં તેણે
અધર્મ કરવાનું ચાલુ જ રાખ્યું. સાધારણ માણસોના જીવનમાં પણ આવા નાનામોટા પ્રસંગો
બને છે પણ તેના ખુલાસારૂપે
જો ઉપર કહેલા દુર્યોધનના શબ્દો સ્વીકારી લઈએ તો પરિસ્થિતિ સુધરવાને બદલે બગડે
છે. માણસના દિલમાં રહેલા દેવોના પણ દેવ પરમેશ્વર તેને અધર્મ તથા પાપકર્મમાં
પ્રેરે છે, એમ માનવામાં અજ્ઞાન રહેલું છે. પરમેશ્વર તો પવિત્ર ને મંગલ છે, તથા
સત્યસંકલ્પ છે. તેમની પ્રેરણા પણ પવિત્ર, મંગલ ને સાચી જ હોય. અધર્મ ને પાપની
પ્રેરણા તે કદાપિ ના કરે એમ માનવું જ બરાબર છે. નહિ તો પછી માણસ જે પાપ કરે,
તેની બધી જ જવાબદારી પરમેશ્વરને માથે આવે. ને કેટલાકને પુણ્ય તરફ ને કેટલાકને
પાપ તરફ તથા કોઈને ધર્મમાં ને કોઈને અધર્મમાં પ્રેરવાથી તે મહાન પક્ષપાતી સાબિત
થાય. હા, દુર્યોધનના વચનોનો વિશાળ અર્થ કરીને આપણે એમ માની શકીએ કે ઈશ્વરની
યોજના પ્રમાણે સંસાર ચાલ્યા કરે છે.
માણસે જે કર્મ કર્યાં છે તેનું ફળ ઈશ્વર આપે છે ને તે ફળને ભોગવવાનું નક્કી
હોવાથી જ તે પાપ ને પુણ્યમાં પ્રેરાય છે. બાકી ઈશ્વર પોતે પાપ ને પુણ્ય કરાવે
છે એમ માનવું ખોટું છે. દુર્યોધન કાંઈ એમ નથી કહેતો, પરમેશ્વર તેને અધર્મમાં
પ્રેરે છે. તે તો હૃદયમાં રહેલા કોઈ એક દેવનો ઉલ્લેખ કરે છે. તે જ તેને દોરે છે
એમ તે કહે છે.
પણ તેના હૃદયમાં શું પરમેશ્વરનો વાસ હતો કે
?
તેના અંતરના આસન પર તો ઈશ્વરે નહિ પણ કુટિલકર્મી શયતાને અડ્ડો જમાવ્યો છે. તેના
હૃદયમાં અધર્મનો જ વાસ છે. એને તે દેવતા માનવાની ભૂલ કરતો હોય તો ભલે;
બાકી તેના દિલનો દેવ શયતાન છે, ને તેના જ અવાજને સાંભળી તે પ્રમાણે તે ચાલી
રહ્યો છે. સ્થિતિ એટલી હદે પહોંચી ગઈ છે કે પોતાના દિલમાં ખરેખર કોણ બેઠું છે,
ને પોતાના પર ખરેખર કોણ રાજ્ય ચલાવે છે, દેવતા કે દાનવ, તે જ કદાચ તેને ખબર
નથી, પણ વિવેકી માણસને તેની ખબર પડ્યા વિના રહેશે કે
?
માણસ ગમે તેટલું છુપાવે, પણ તેના કર્મો છૂપાં રહી શકતાં
નથી. તે કર્મો પરથી તેને દોરનાર કે પ્રેરણા આપનાર શક્તિ કેવી છે, દૈવી કે
આસુરી, તે સહેજે સમજી શકાય છે. અધર્મ, અનીતિ, અન્યાય, પાખંડ ને પાપ કરનાર માણસ
મોહાસુરની સત્તાથી વશ થયેલો છે ને પોતાની અંદર દેવતાનો સ્વાંગ સજીને બેઠેલા પાપ
ને અધર્મરૂપી દાનવની દોરવણી પ્રમાણે ચાલે છે એ નક્કી સમજજો. આ પ્રમાણે વિચાર
કરશો તો દુર્યોધનના શબ્દોનું રહસ્ય વધારે સ્પષ્ટ સમજાઈ જાશે. માણસના દિલમાં જે
કામ ને ક્રોધરૂપી રાક્ષસ છે તે જ માણસને બળજબરીથી પાપમાં પ્રેરે છે. તેની ઈચ્છા
ના હોય તો પણ તે અધર્મ કરાવે છે. કામવાસના કે કામના માણસને ભાન ભૂલાવે છે.
તેની અસર નીચે આવીને માણસ વિવેકને વિસરી જાય છે.
કહે છે કે કામથી માણસ અંધ બને છે. કામી માણસ રાતદિવસ કે સ્વજનસ્નેહી કશાનો
વિચાર કરતો નથી. ક્રોધ પણ માણસને અંધ બનાવે છે.
ક્રોધી માણસને બોલવાનું, ચાલવાનું ભાન નથી રહેતું. તે ભયંકરમાં ભયંકર કામ કરી
નાખે છે. ખુની પણ થઈ જાય છે. આ બંનેનો સરદાર અજ્ઞાન છે. આ ત્રણેનો અંત આણવામાં
આવે તો જ જીવન સફળ થાય.
એક બીજી વાત પણ સમજવા જેવી છે. માણસે જે કર્મો કર્યાં
છે તેના પ્રભાવથી તેની ઈચ્છા ના હોય તેવા સ્થળમાં ને કલ્પના ના હોય તેવી
પરિસ્થિતિમાં રહેવું પડે છે.
તે કર્મો તેને સારીનરસી દશામાં દોરી જાય છે. છતાં એ વસ્તુ સાચી છે કે કર્મ
કરવામાં માણસ સ્વતંત્ર છે. તે ધારે તો સારાં કામ કરી શકે છે, ને ઉજ્જવલ ભાવિ
ઘડી શકે છે. કેવલ કર્મોને દોષ દઈને બેસી રહેવાનું બરાબર નથી. ઈશ્વરને પણ દોષ
દેવો ઠીક નથી. કેટલાક માણસો કાળને દોષ દે છે ને કહે છે શું કરીએ
?
કલિયુગના દોષો જ એવા છે કે માણસ તેમાં સપડાયા વિના રહી જ ના શકે. સત્યયુગ કે
ત્રેતા-દ્વાપર
યુગમાં જન્મ મળ્યો હોત તો
સારું;
પણ એ કથન પણ પાયા વિનાનું છે. યુગ ગમે તેવો હોય તેમાં રહીને જ આપણે કામ કરવાનું
છે, ને ઉત્તમ માનવ બનીને જીવનનું ધ્યેય મેળવવાનું છે. યુગ ગમે તેવો હોય, તમે
કેવા છો, ને કેવા બનવા માગો છો, તે જ પ્રશ્ન છે.
દૃઢ
નિશ્ચય કરીને પ્રયાસ કરો તો યુગની ચિંતા તમને નહિ રહે.
તુલસીદાસજી કહે છે કે કલિયુગમાં એક મોટી વિશેષતા એ છે કે તેમાં માનસિક પુણ્ય
થાય છે, પણ પાપ થતું નથી.
। मानस पुण्य होई नहि पापा ।
શરીર ને ઈન્દ્રિયોનો સંયમ કરો, ને તે દ્વારા થતા પાપનો ત્યાગ કરો. તો પ્રભુની
કૃપા મેળવી શકો. ખોટા દસ્તાવેજ ને સહીસિક્કા કરવાનું, ભેળસેળ કરવાનું, લાંચ
લેવાનું ને આપવાનું, ચોરી, લૂંટ, હિંસા ને વ્યભિચાર કરવાનું તથા જૂઠું બોલવાનું
બંધ કરો તો બેડો પાર થઈ જાય. રસ્તો ઘણો સરળ ને સાફ છે. નબળાઈને છોડીને આગળ વધો
તો જીવન કૃતાર્થ બની જાય. યુગનો કે કોઈનો દોષ ના કાઢશો. દોષ તમારો જ કાઢજો. શું
ચૈતન્ય, નાનક ને કબીર કલિયુગમાં જ નથી થયાં
?
રામકૃષ્ણદેવ, તુકારામ, મીરાં ને નરસિંહ આ યુગમાં જ નથી થયા
?
દયાનંદ ને ગાંધીજી શું આ યુગમાં જ નથી જન્મ્યા
?
વિવેકાનંદ ને રામતીર્થ કલિયુગની જ ઉપજ ન હતા
?
છતાં તે મહાન થયા. તમે પણ તેમની જેમ તમારી નબળાઈઓનો નાશ કરો, તમારા દોષો દૂર
કરો, તો મહાન બની શકો. કયા માર્ગે જવું એ તમારા હાથની વાત છે.

(શ્રી
યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
|