Shri Yogeshwarji's comments on Bhagavad Gita

Gita Darshan

Insightful articles on Bhagavad Gita in Gujarati

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પ્રભુશરણની શક્તિ

 

 

પ્રભુના મંદિરના બારણાં સૌને માટે ઉઘાડાં છે. જે ધારે તે તેમાં પ્રવેશ કરી શકે છે, ને પ્રભુની કૃપાનો લાભ લઈ શકે છે.


- શ્રી યોગેશ્વરજી

 

<< BACK | INDEX | NEXT >>

       

ગામમાં બધા કૂવા કાંઈ ખારા નથી હોતા. મીઠા કૂવા પણ કેટલાય હોય છે. પણ કોઈ કોઈ કૂવાનું પાણી તો ખૂબ મીઠું હોય છે. મીઠું મધ જેવું જ સમજી લો. પાણીના રસિયાં માણસો બીજા કૂવા છોડીને ત્યાં પાણી ભરવા દોડી જાય છે. આ ગામની વાત જ એવી છે ને ! આ ગામમાં વાવ છે. તેનું પાણી મીઠું છે પણ લોકોને વાળા નીકળ્યા છે. એટલે તેનું પાણી પીવાનું બંધ કર્યું છે. સારા પાણીના બીજા કૂવા છે પણ વધારે લોકો તો પેલા મીઠા કૂવે જ દોડી જાય છે. કારણ કે મીઠા કૂવાનું પાણી પણ સારું ને પાચક છે. ગીતાનો સ્વાદ પણ એવો મીઠો છે. બીજા શાસ્ત્રો સારાં છે પણ ગીતા તો મીઠા કૂવાની ગરજ સારે છે. અજ્ઞાનનું અજીર્ણ થયું હોય તેવા માણસો તેનો સ્વાદ લઈને તંદુરસ્ત બને છે, ને જે તંદુરસ્ત હોય તે વધારે શક્તિ મેળવે છે.

ગીતાના તો અઢાર અધ્યાય. જાણે અઢાર કૂવા જ સમજી લો. તેમાં નવમા અધ્યાયને અંતે એવું તો મીઠું ઝરણ પ્રકટે છે કે જેનો સ્વાદ આપણા અંતરમાં કાયમને માટે રહી જાય. સમુદ્રમંથનમાંથી જેવું અમૃત નીકળ્યું હતું, તેથી પણ વધારે શક્તિશાળી અમૃત આ અધ્યાયને અંતે નીકળે છે. એનો અર્થ એમ નથી કે ગીતામાં બીજે ક્યાંય એવું અમૃત નથી. અમૃતના છાંટા તો ગીતામાં ઠેરઠેર વેરાયેલા પડ્યા છે. તેમાંના કોઈયે છાંટાથી માણસ અમૃતમય થઈ જાય છે, ને ધારેલો હેતુ સરી રહે છે, પણ આ અધ્યાયને અંતે જે અમૃત વેરાયું છે તે તો બધા અમૃતના અર્ક જેવું છે. તેનું પાન કરવાથી માણસ કૃતાર્થ થાય છે. એ અમૃત કયું છે તેનો વિચાર તો આપણે પાછળથી કરીશું. હાલ તો એટલું જ કહીશું કે ભગવાન જે ગુહ્ય જ્ઞાન આપવા માગે છે, તેનો સાર એમાં સારી પેઠે સમાઈ ગયો છે. તેથી જ આ અધ્યાયને રાજવિદ્યા રાજગુહ્યયોગનું નામ આપવામાં આવ્યું છે.

આ ગુહ્ય જ્ઞાનમાં મુખ્ય સાર વસ્તુ એ છે કે માણસે પ્રભુપરાયણ થઈ જવું. પ્રભુના નામસ્મરણ, ગુણગાન ને ચિંતનમાં તેણે મશગુલ બનવું ને પ્રભુનુ ધ્યાન ધરવું. જો આટલું થાય તો માણસ સુખી બની શકે. પ્રભુનું શરણ લેવાથી તેને પ્રભુકૃપા મળે ને પ્રભુની કૃપાનો અનુભવ કરીને તેનું જીવન ધન્ય બને. જે માણસોને આ વાતમાં શ્રદ્ધા નથી, તે પ્રભુની પ્રાપ્તિ કરી શકતાં નથી.

પ્રભુના મંદિરના બારણાં સૌને માટે ઉઘાડાં છે. જે ધારે તે તેમાં પ્રવેશ કરી શકે છે, ને પ્રભુની કૃપાનો લાભ લઈ શકે છે. પ્રભુની કૃપા મેળવીને તેનું જીવન ધન્ય બની જાય છે. નાતજાતના ભેદ વિના કોઈયે માણસને માટે આ વાત સાચી છે. પ્રભુની કૃપાના એકાદ કિરણની પણ જેને પ્રાપ્તિ થાય છે, તેનું મન સંસારના રસમાં લાગતું નથી. ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય શ્રી હરિદાસજીને ભગવાનની લગની લાગી હતી. ભગવાનના નામના ત્રણ લાખ જપ કરવાનો તેમનો રોજનો નિયમ હતો. એકવાર કેટલાક માણસોએ એક વેશ્યાને તેમને મોહમાં નાખવા મોકલી. વેશ્યાએ હરિદાસજીને પ્રણામ કર્યા ને તેમની પાસે બેઠી. હરિદાસજી તો ભગવાનના પરમ પ્રેમી. સવારના વહેલા જપમાં બેસે તે નક્કી જપ કરતાં કરતાં દિવસ પૂરો થઈ જવા આવે. વેશ્યા તો રાહ જોઈને થાકીને ત્યાંથી વિદાય થઈ. બીજે દિવસે પણ આવીને તે બેઠી પણ હરિદાસજીની તો એ જ દશા. વેશ્યા સામે જોવાનો પણ વખત નહિ, તો વેશ્યાના મોહમાં તો તે ક્યાંથી પડે ? પૂરા ત્રણ દિવસ થઈ ગયા પણ પ્રભુના સ્મરણમાં મસ્ત બનેલા હરિદાસજીને વેશ્યાની સાથે વાત કરવાનો પણ વખત ના મળ્યો. વેશ્યાને ભારે અજાયબી લાગી. તેનું દિલ પલટાઈ ગયું. ગદ્ ગદ્ સ્વરે તેણે હરિદાસજીને પૂછ્યું કે હું તમારી પાસે આટલા બધા વખતથી બેઠી છું, છતાં તમે મારી તરફ જોતા પણ નથી. તેનું શું કારણ ? હરિદાસજીએ જવાબ આપ્યો કે પ્રભુના સ્મરણમાં એવો રસ છે. તેની પાસે બીજા કોઈએ રસની રૂચિ રહેતી નથી. એ વચનોના પ્રભાવથી ને સંત હરિદાસજીના સત્સંગથી વેશ્યાનો નવો અવતાર થયો. તેને પોતાના જીવન પર ઘૃણા થઈ. પછી તો તેણે હરિદાસજીને ગુરૂ કર્યા. તેમની પાસેથી પ્રભુના નામની દીક્ષા લીધી ને પ્રભુસ્મરણમાં પોતાનો સમય પસાર કરવાનું શરૂ કર્યું. ભક્તોમાં તે હરિદાસીના નામથી જાણીતી થઈ. પ્રભુની કૃપાથી તે પણ મહાન બની ગઈ.    Shri Yogeshwarji

----------------------------------------------------------------------------

(શ્રી યોગેશ્વરજી કૃત 'ગીતાદર્શન' માંથી)
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer