|
પદ્મ પાણીની વચ્ચે પ્રકટે છે,
પરંતુ એની અસરથી દેખીતી રીતે જ અલિપ્ત રહે છે. એનાં પત્રોને પાણીની અથવા કાદવની
અસર થતી નથી. શ્રીમદ્ ભગવત ગીતામાં એની સ્મૃતિ કરાવતાં કહેવામાં આવ્યું છે કેઃ
पद्मपत्र मिवांभसा
.
અગ્નિને ઉધઇ નથી લાગતી. મહામણિની
પાસે મેલ નથી ટકતો. ચંદ્રની ચારે તરફ અભ્રોનાં આવરણો આવે છે તો પણ ચંદ્રની કે
ચંદ્રની ચારુતા પર એમનો અલ્પ પણ પ્રભાવ નથી પડતો. ચંદ્ર અને એની ચારુતા એથી
અલિપ્ત જ રહે છે. શાસ્ત્રો તથા સત્પુરૂષોએ સંસારના વિરોધાભાસી વાયુમંડળની વચ્ચે
પાર વિનાની પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચે એવી રીતે અસંગ રહેવાનો સંદેશો પૂરો
પાડ્યો છે, અને એને અનાસક્તિનું નામ આપ્યું છે. અનાસક્તિ મનની અવસ્થા કે ભૂમિકા
છે. એનો અર્થ પદાર્થોનો બાહ્ય પરિત્યાગ નથી. ઘર, કુટુંબ કે પરિવાર પ્રવૃતિને
ત્યાગીને દૂર સુદૂરવર્તી સરિતાપ્રદેશ, ગિરિગલ્ધર અથવા અરણ્યમાં જતાં રહેવું એવો
પણ નથી. જગતને ધિક્કારવું અને કર્તવ્યના અનુષ્ઠાનને તિરસ્કારવું એવો પણ નથી.
એનો અર્થ તો સૌમાં રહેવું છતાં પણ સૌથી પર બનીને રહેવું, સૌની વચ્ચે વસવું છતાં
પણ હૃદયમાં - અંતરના અંતરતમમાં કોઇને પણ ના વસાવવું, કોઇની મમતા અથવા આસક્તિ ન
રાખવી એવો થાય છે. તન સંસારમાં પરંતુ મન પરમાત્મામાં. શ્વાસ સ્થૂળ જટિલ જગતમાં
પરંતુ વાસ સૂક્ષ્માતિસૂક્ષ્મ જગતના અધીશ્વરમાં.
પરમાત્માની પ્રીતિ વિના, અલૌકિક
આત્મજ્ઞાન વિના અથવા આત્મનિરીક્ષણ વિના એવી અનાસક્તિનો આવિર્ભાવ નથી થતો અને
થાય છે ત્યારે સાચી સુખાકારી, શાંતિ તથા પ્રસન્નતાની પ્રાપ્તિ સહજ બને છે. જગત
જગદીશ્વરની લીલા લાગે છે. બાધક બનવાને બદલે સાધક લાગે છે. પ્રવૃતિ અભિશાપરૂપ
નહિ પરંતુ આશીર્વાદરૂપ ઠરે છે.
સમાજમાં ધનની, પદની, પ્રતિષ્ઠાની,
સત્તાની, ઐશ્વર્યની, બાહ્ય સુખોપભોગની સ્પર્ધા અને એમાંથી પરિણમનારી રાગાસક્તિ
વધી જાય છે ત્યારે સમાજજીવન અસ્થિર, અવ્યવસ્થિત અશાંત બને છે. એને સ્વસ્થ,
સુવ્યવસ્થિત શાંત રાખવા માટે પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના સ્થાનમાં સમ્યક રીતે
શ્વાસ લેતાં, અનાસક્ત પ્રયાસ કરવો જોઇએ. આરંભમાં એવો પ્રયાસ કરવો પડે છે અને
આગળ પર એ પ્રયાસ સહજ બને છે.
આસક્તિ બંધન છે, અનાસક્તિ
જીવનમુક્તિની કલ્યાણકારી કેડી છે.

(શ્રી
યોગેશ્વરજી કૃત 'પ્રભુપ્રાપ્તિનો પંથ' માંથી)
|