|
કન્યાવિદ્યાલય, ભાદરણ.
તા. 19 જુલાઈ
’41
વ્હાલા
નારાયણ,
1
આજે
ગામથી દૂર દૂર આવેલા એક ખેતરમાંથી પત્ર લખવામાં આવે છે. સમય સાંજનો છે. સામે જ
વૃક્ષની હાર છે ને તેના પર ઊભેલો સૂર્ય મારાં દર્શન કરતો કરતો કૃતાર્થ થાય છે.
સાથે જ આ સુમધુર પવન વાય છે. એનું ગીત પણ અદભુત છે.
હૃદયમાં આ
વખતે અનેરું ગીત જાગી રહ્યું છે. સંપૂર્ણ સંવાદ છે. દેહથી ભિન્નત્વની દશા
અનુભવાઈ રહી છે. સંપૂર્ણ શાંતિથી આ લખાય છે.
આંખ આગળ
હિંદમાતા આવે છે. હાથમાં સિતાર છે. માથું ઉઘાડું છે. લટેલટ વિખરાઈ ગઈ છે. પગમાં
જોર નથી. માથું ઢળી ગયું છે-એ સિતાર પર નમી પડયું છે. સિતારના તાર તૂટી ગયા છે,
ગીત બંધ પડી ગયું છે. માની આંખમાં દર્દ છે, કરુણા છે, અપાર વેદના છે. એ
પૃથ્વીના ગોળા પર બેઠી છે. એક વખત એ એવી ન હતી. આખી સૃષ્ટિની શક્તિ હતી. સૌને
પ્રેરણા પાનારી એ એક વખત પરમપાવની હતી. આજે એ કેવી છે
?
એના સુમધુર મુખમાંથી આજે એક સ્વર પણ નીકળતો નથી, એક શ્વાસ પણ છૂટતો નથી-અરે,
એની આંખ ભીની છે. આંસુની ધાર પણ ઊઠી શકતી નથી. કેમ આમ થયું
?
એના બાળકોએ એને ધુતકારી કાઢી ?
એનાં છોરુ કછોરુ પાકયાં ?
એક વારની ગંગા હતી-મૈયા હતી. એનાં ધાવણ કેમ સુકાયાં
?
એ કેમ દીન બની ?
એ શાંતિનો અવતાર હતી. ભીષ્મ, કૃષ્ણ, ઋષિવરો એના પુત્રો હતા. સીતા ને સાવિત્રી
એની સાહેલી હતી. દુષ્યન્ત ને અશોક, શિવાજી ને પ્રતાપ તથા જનક એના કુંવર હતા.
એને ખોળે કોણ ન હતાં ?
નદીનાં મીઠાં તીર હતાં ને તટે તટે તીર્થ હતાં. આજે એ કયાં ગયાં?
આંખમાં
આંસુ આવે છે. માતાની આ દશા નથી જોઈ શકાતી. શું જે હજારોની પ્રેરણા હતી, જે
હજારોની માતા હતી, હવે તે ફરી નહિ ઊઠે
? એની
આંખ નહિ ઊઘડે ?
એ
વિશ્વનો પ્રાણ છે ને એ વિશ્વની શક્તિ છે. બીજાએ એને હલકી ગણી, જંગલી કહી. ભલે,
એને સુધરવું નથી. કટ્ટર દુશ્મન બની એકમેકની કતલ કરવી, લાખોની સંખ્યામાં ગુનેગાર
કે બિનગુનેગારને ગોળીએ ઉડાડવા, કુમળાં કુસુમોને પળવારમાં હતાં ન હતાં કરવાં,
લક્ષ્મી ને સત્તાનાં સિંહાસનો માંડવાં, પાશવી લાલસાઓનાં ટોળેટોળાં કાઢવાં, આ જો
સુધારો હોય તો એને એ નથી જોઈતો. ભલે એ ગૌ રહી. એને વાઘણ થવું નથી. એને આંચળે
એક વાર અવની વળગી હતી, એક વાર ફરી એ અવનીને નોતરશે, ફરી એનું પય ચખાડશે.
પેલે
દિવસે દ્રૌપદીનાં ચીર ખેંચાયાં હતાં, આજે શાંતિનાં વસ્ત્ર ખેંચાઈ રહ્યાં છે.
કયો કૃષ્ણ એની વહારે ધાય ?
મારા ભાઈ, આપણે તો એ માના બાળકો રહ્યાં. આપણો ધર્મ એ માતાની સારવાર કરવાનો
રહ્યો. પણ આપણને એનો શો હક છે ?
એ પવિત્ર પુરુષોની જનનીને, એ પતિતપાવનીને, સ્પર્શ પણ કરવાનો આપણને શો અધિકાર છે
?
આપણે તો એની ગોદમાં લપાઓ. એને સમજો. એના આદર્શને જીવનમાં ઉતારો.
એનો
મંત્ર ત્યાગનો છે;
વિલાસ ને વૈભવને છોડવાનો, જીતવાનો છે, શુદ્ધ થવાનો છે. આટલું કર્યા પછી એને
કહો- ઓ મા, હું તારો છું, તું મારી છે. એ જરૂર હસશે-ઊભી થશે.

(
શ્રી યોગેશ્વરજી લિખિત 'હિમાલયના
પત્રો'માંથી ) |