|
ઋષિકેશ,
તા. ૨૧ ફેબ્રુ. ’૪૫
પ્રિય આત્મન્ (બાબુભાઈ)
તારો પ્રેમભર્યો પત્ર પણ મળ્યો.
વાંચી આનંદ થયો જે થોડાક વિશિષ્ટ આત્માઓ આ શરીર પર પ્રેમ રાખે છે તેમાં તું પણ
છે. બહુ જ થોડા વખતમાં તારો સંબંધ ખૂબ ખૂબ દૃઢ બન્યો છે. એ તારી યોગ્યતા જ
બતાવે છે.
તારામાં વ્યાકુળતા વિશેષ લાગે છે.
પણ એકલી વ્યાકુળતાથી ચાલશે નહીં. ધીરજ પણ જોઈએ. માણસે સાક્ષાત્કાર કે દર્શનને
માટે બહુ ઉતાવળા ના થવું. પ્રેમનો પરમ આસ્વાદ એ જ જીવનની ધન્યતા છે. તે પ્રેમની
વિશેષ ને વિશેષ અનુભૂતિમાં જ સંતોષ હોવો જોઈએ. પ્રેમ પ્રાપ્ત થાય તો બીજા કયા
ઈશ્વરની ઈચ્છા રહે ? પ્રેમ
જ પરમ ઈશ્વર છે. કદાચ કોઈની કૃપાથી દર્શન આદિ થઈ ગયું તો પણ પ્રેમ નહિ હોય તો
તેવા જીવનમાં આનંદ શો ?
પ્રેમ પ્રકટાવો, ઈશ્વર તો એની મેળે આવશે. તે આવ્યા વિના રહી શકતો જ નથી. કમલ
ખીલે એટલે ભ્રમર તો આપોઆપ આવે. તેમને કાંઈ બોલાવવા પડે નહિ. તેવું જ ઈશ્વરનું
છે. એટલે મૂળ વાત એ છે કે પ્રેમ પ્રકટાવવો, પ્રેમમય થવું. પ્રેમમાં જ મસ્ત
રહેવું. આ પ્રેમ હૃદયમાં પ્રકટાવવો, તે મય થવું, ને તેને જગતના પ્રત્યેક
સ્વરૂપમાં જોતાં શીખવું અને એ રીતે એકત્વનો અનુભવ કરવો એ જ સાક્ષાત્કાર છે. આ
પ્રેમ પ્રકટે તો તમે ગમે તે રીતે તેનું દર્શન કરી શકો છો ને ન કરો તો પણ માત્ર
આ પરમાનુભવથી જ શાંત ને કૃતકૃત્ય બની શકો છો.
આ પ્રેમ સંતમહાત્માઓના જીવનના
પરિશીલનથી તેમ જ ઈશ્વર પ્રણિધાનથી હૃદયશુદ્ધિ થતાં પ્રકટે છે.
સાધકે હમેશાં ધીરજ રાખવી જોઈએ.
અક્રોધ એ ખૂબ ઉંચો ગુણ છે. પણ સંસારમાં તેટલાથી ના ચાલે તો ફુંફાડો રાખવાની
જરૂર છે. તેથી કાંઈ બગડી જતું નથી. જો કે ફુંફાડો પણ ના રાખવો પડે એ વધારે સારી
સ્થિતિ છે. |