|
સાહિત્યનો રસ મારા જીવનમાં કેવી રીતે ઉત્પન્ન થયો તે પણ જાણવા જેવું છે.
નાની ઉંમરમાં મને વાંચનનો શોખ હતો. બહારનાં સારાં સારાં પુસ્તકો ને
માસિકો વાંચવામાં મને આનંદ આવતો. અમારા આશ્રમમાં જ પુસ્તકાલય હતું. તેનો
લાભ સૌને મળતો. તેમાં સારાં સારાં માસિકો પણ આવતાં. દર રવિવારે તેમનો લાભ
લેવાની છૂટ મળતી. છાત્રાલય, શિક્ષણ પત્રિકા, બાલમિત્ર, બાલજીવન, કુમાર,
પ્રસ્થાન, શારદા, નવચેતન ને ગુજરાત જેવાં સારાં સારાં માસિકો હું ખાસ
રસપૂર્વક વાંચતો. તેમાં પ્રગટ થતાં કાવ્યો ને લેખોમાં મને રસ પડતો. મારી
ઉંમર લગભગ બાર તેર વરસની હતી ત્યારે એક પ્રસંગ બન્યો. આશ્રમમાં કેટલાક
મોટી ઉંમરના સાહિત્યરસિક ભાઈઓએ હસ્તલિખિત માસિક કાઢવાની શરૂઆત કરી. તેના
તંત્રી ભાઈ શ્રી શંકરલાલ ચોક્સી હતા. તે બહુ સારા ને સદગુણી વિદ્યાર્થી
હતા. તે માસિક જોઈને મને પણ કંઈક લખવાનો વિચાર થયો. એક દિવસ હિંમત કરીને
મેં ગામઠી નિશાળના શિક્ષક વિશે એક નાનો લેખ લખી નાખ્યો. ભાઈ શંકરલાલને તે
વંચાવતા તે ઘણા પ્રસન્ન થયા, મને ઉત્સાહ આપ્યો, ને વિદ્યાર્થીઓમાં મારા
વખાણ કર્યા. 'વખાણી
ખીચડી દાંતે વળગે'
એ કહેવત આપણે ત્યાં જાણીતી છે. કેટલીક વખત તે સાચી પણ ઠરતી હશે. પરંતુ તે
કહેવતને દૃષ્ટિ સામે રાખીને જેની તેની ને જ્યારે ત્યારે ટીકા કરવાની
પદ્ધતિ બહુ સારી નથી. ઘણી વાર સામેનો માણસ નિરાશ થઈ જાય છે. કેટલાક
માણસોની પદ્ધતિ જ એવી હોય છે. ટીકાકાર કે વિવેચક બનવાનો પ્રસંગ આવે
ત્યારે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવાના હોય તે રીતે સાહિત્યકૃતિમાંથી
દોષ ઊભા કરે છે ને તેના પર સખત શબ્દોના પ્રહાર કરવા માંડે છે. તેમાં જ
તેમને આનંદ આવે છે. કોઈ હાથી મદોન્મત બનીને કોઈ કમળને સૂંઢમાં ઉપાડી લઈને
ધરતીમાંથી ખેંચી કાઢે ને ફેંકી દે તેવી તેમની દશા હોય છે. તે દશા સારી
નથી. તેને લીધે કેટલીય કુમળી કળીઓ અકાળે કરમાઈ જાય છે. તેને બદલે વિવેચકો
જરાક માયાળુ ને સહાનુભૂતિવાળા બને તે જરૂરી છે. તે યાદ રાખે કે તેમનું
કામ કેવળ લેખકની કૃતિના ગુણદોષ બતાવવાનું નહિ પણ લેખકને પ્રોત્સાહિત
કરવાનું ને તેના લેખનને સુધારવાનું પણ છે. એનો અર્થ એમ નથી કે તે લેખકના
ગમે તે લખાણનાં નિરર્થક વખાણ જ કર્યા કરે અને એ રીતે એકાદ ભાટની યાદ
અપાવે. સ્તુતિ ને ટીકાના કેફથી દૂર રહીને તે પોતાનું કામ કરે એ આવશ્યક
છે. પણ લેખકને ઉત્સાહ આપવા તેણે તેના દોષની સાથે ગુણ બતાવવામાં પણ રસ
લેવો જોઇએ. તે ઉપરાંત ઉગતા લેખકોની પીઠ થાબડવાનું પવિત્ર કામ પણ તેણે
કરવાનું છે. એ રીતે કહીએ તો કહી શકાય કે તેણે એક માતાની જેમ હૃદયમાં
મમત્વ રાખીને જીવવાનું ને વર્તવાનું છે.
નાના
સરખા મારા લેખના વખાણથી મને ઉત્સાહ ચઢ્યો. જો તેની કડક ટીકા કે અવગણના થઇ
હોત તો મારા હૃદયનો લેખન માટેનો ઉત્સાહ કાયમને માટે ઓસરી જાત. પ્રશસ્તિએ
મારા પર જાણે કે પ્રેરણારૂપી પાણી રેડવાનું કામ કર્યું. પછી તો મેં બીજા
એક-બે લેખો લખી નાખ્યા અને એક-બે ગીતો પણ લખ્યાં. ધીરે ધીરે
વિદ્યાર્થીવર્ગમાં મારી વાતો થવા માંડી. પછી તો ચૌદેક વરસની ઉંમરે અમે
હાઇસ્કૂલમાં 'ચેતન'
નામે એક સ્વતંત્ર હસ્તલિખિત દ્વિમાસિક કાઢવાની શરૂઆત કરી. તેમાં મને તે
વખતે મારી સાથે અંગ્રેજી ચોથા ધોરણમાં ભણતા ભાઇઓએ ને ખાસ કરીને મારા
વિદ્યાર્થી મિત્ર ભાઇ નારાયણ જાનીએ મદદ કરી. એવી રીતે મારા સાહિત્યલેખનની
સાધારણ શરૂઆત થઇ. તે ક્રમે ક્રમે વધતી જ ગઇ. આજે પણ તે ચાલુ જ છે. એક
ગામઠી નિશાળના શિક્ષક પરના નાના સરખા લેખરૂપે શરૂ થઇને લેખનની એ કળા આજે
આત્મકથાના અભિનવ સર્જનમાં પરિણમે છે એ પરથી એની પ્રતીતિ થશે.
|