Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૨૧. નવરાત્રી પર બાર દિવસના ઉપવાસ

 

ગયા વખતની જેમ આ વખતે પણ લાંબો સમય ઋષિકેશમાં જ રહેવાનું થયું. પરિણામે મને ખાતરી થઈ કે ઋષિકેશનું સ્થાન પણ સુંદર ને સાધના કરવા માંગનારને માટે અનુકૂળ છે. ગંગાનો રમણીય વિશાળ પટ ને નાના સુંદર લીલાછમ પર્વતો એ સ્થાનની શોભામાં મુખ્ય ભાગ ભજવે છે. હિમાલયની એ પ્રારંભિક કે પ્રતિનિધિ જેવી ભૂમિમાં આજે પણ કેટલાક સારા ને સાચા સંતો નિવાસ કરે છે ને કોઈ પણ જિજ્ઞાસુને તેમના દર્શનનો લાભ મળી શકે છે. એ અલૌકિક ભૂમિમાં ભરત મંદિરનું સ્થાન મને ઘણું અનુકૂળ લાગ્યું ને તેથી તે સ્થાનમાં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે અમે આનંદપૂર્વક નિવાસ કર્યો.

શ્રાવણ મહિનામાં એકવાર જમ્યા છતાં સાધનાની સફળતા બાબત કોઈ સમાધાન મળ્યું ન હતું, એટલે 'મા'ની કૃપા માટે નવરાત્રિના પવિત્ર દિવસોમાં કેવળ પાણી પીને વ્રત કરવાનો નિર્ણય કર્યો. આજ સુધી એવાં વ્રતો કેટલાંય થઈ ચૂકેલાં. છેલ્લા છ વરસમાં એવા ઉપવાસ ઉપરા ઉપરી થયા હતા. કોઈક જ વરસ લાંબા કે ટૂંકા ઉપવાસ વિના ખાલી ગયેલું. છતાં જે હેતુ માટે ઉપવાસ કે વ્રત થતાં હતાં તે જગદંબાની કૃપા હજી પૂર્ણપણે થઈ ન હતી.

પણ તેથી શું ? સારું કે નરસું જે પણ કરવામાં આવે છે તેનું ફળ વહેલું કે મોડું જરૂર મળે છે, એ શ્રદ્ધા મારા દિલમાં કાયમ હતી. મને ખાતરી હતી કે સાધનાની સિદ્ધિને માટે કરેલો પ્રત્યેક પ્રયાસ ઈશ્વરના દરબારમાં નોંધાઈ જશે અને આજે નહિ તો કાલે પણ તે પ્રયાસોનું સરવૈયું નીકળતાં મારી ઈચ્છા જરૂર પૂરી થશે. આમ ના હોય તો ઈશ્વરની દુનિયા ચાલે જ નહિ. એમાં અવ્યવસ્થા ઊભી થાય. સાધકે આ વાત ગાંઠે બાંધી લેવાની છે. હૃદયના છુપામાં છુપા ખૂણામાં ઉત્પન્ન થતી ઘર શોધતી સાધારણ જેવી નિરાશાને પણ તેણે દૂર કરવાની છે અને આશા, શ્રદ્ધા ને હિંમતને હંમેશા ધારણ કરવાની છે. યોગ્ય શક્તિના અભાવને લીધે કેટલીય નાવ મધદરિયામાં ડૂબી જાય છે, તેમ શ્રદ્ધા ને આશાની મદદ વિના કેટલાય સાધકો અધવચ્ચે જ અટકી જાય છે ને સાધનાની આખરી મંઝિલે પહોંચી શકતા નથી. 'મા'ની મહાન કૃપાથી મારા દિલમાં શ્રદ્ધા, આશા તથા ઉત્સાહની જ્યોતિ નિરંતર જલતી રહી છે, ને તેના પૂણ્યમય પ્રકાશથી પ્રેરિત થઈને મેં મારી જીવનયાત્રા સદાય ચાલુ રાખી છે. એ જ પ્રકાશથી  પ્રેરીત થઈને નવરાત્રિના પવિત્ર દિવસોમાં ને પાણી પર રહીને ફરી ઉપવાસ શરૂ કર્યા. પહેલાંના બીજા ઉપવાસોની જેમ એ ઉપવાસ પણ 'મા'ની કે ઈશ્વરની પ્રેરણાના ફળરૂપે જ શરૂ થયા. તેની ઊડતી નોંધ અહીં રજૂ કરું છું જેથી એ દરમ્યાન જે ભાવના હતી તેનો પરિચય મળે.

પ્રાર્થનાઓ :

દિન ૧ | દિન ૨ | દિન ૩ | દિન ૪ | દિન ૫ | દિન ૬ | દિન ૭ |

દિન ૮ | દિન ૯ | દિન ૧૦ | દિન ૧૧ | દિન ૧૨ | દિન ૧૩ |

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer