Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૫૨. 'મા'ની પ્રેરણા

 

આત્મકથાનું ક્રમિક વાંચન-મનન કરનારાને 'મા'ની પ્રેરણા પ્રમાણે - એ ગયા પ્રકરણને અંતે લખેલા શબ્દો કાંઇ નવા નહીં લાગે. મારું જીવન વરસોથી ખરેખર એ રીતે જ ચાલે ને તે વાત આ કથા પરથી સહેજે સમજી શકાશે. 'મા' જ તેને પ્રેરે છે, દોરે છે કે ચલાવે છે. એટલે પ્રેરણા શબ્દને કેવળ લખવા ખાતર નથી લખતો. તેને લખવાની ટેવ પડી છે એમ પણ નથી. આધ્યાત્મિક પુરુષો કે સાધકોના જીવનમાં અત્યંત વિરલ કે ભાગ્યે જ આવતી અંતઃપ્રેરણા કે ઇશ્વરીય આદેશની આવી વાતો મારા જીવનમાં ડગલે ને પગલે આવે છે ને તેમનો ઉલ્લેખ મેં ઠીક લાગ્યો ત્યાં ત્યાં કરી બતાવ્યો છે. તેની પાછળ મારી વ્યક્તિગત વિશેષતાને કહી બતાવવાનો લેશ પણ ખ્યાલ નથી; પરંતુ જે સત્ય હકિકત છે તેને રજૂ કરવાની જ દૃષ્ટિ છે. ઇશ્વરી શક્તિ જીવનમાં કેવી રીતે કામ કરે છે ને મદદરૂપ બને છે તેનો ખ્યાલ આપી, એ રીતે તેનો થોડોઘણો મહિમા બતાવી, તેના પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને આદરભાવ ઉત્પન્ન કરવાનો ગૌણ વિચાર પણ તેની પાછળ કામ કરી રહ્યો છે. આત્મિક વિકાસને પંથે પ્રવાસ કરનારની ઇચ્છા રાખનારાને તે વત્તેઓછે અંશે કામ લાગશે એવી આશા છે. તેમ થશે તો આ પંથના એક શરૂઆતના ને સાધારણ પ્રવાસી તરીકે મને ખરેખર આનંદ થશે.

આત્મકથાનું લેખન બીજા પ્રકારના લેખનથી સહેલું છે કે અઘરું એ પ્રશ્નને છોડી દઇએ અથવા અણઉકલ્યો જ રહેવા દઇએ તો પણ એક વાત તો નક્કી ને વિવાદ વગરની છે કે આત્મકથાનું લેખન હાથવણાટની કે એવી કોઇ કળાની જેમ અત્યંત શાંતિ, સમજ ને સંયમ સાથે કરવું પડે છે, ને તેથી ભારે ધીરજ, હિંમત ને વિવેચનશક્તિ માગી લે છે. જીવનના ઇતિહાસને જેવો છે તેવો રજૂ કરવાની વૃતિ કે દૃષ્ટિ આત્મકથાના આલેખનકારે નજર સામે રાખવાની આવશ્યકતા છે. વાસ્તવિકતાને વધારીને ના હોય તેવા સ્વરૂપમાં રજૂ કરવાની અથવા તો વાસ્તવિકતાને કોઇ કારણે વેરવિખેર કરીને, કાપીને કે ઘટાડી દઇને બીજા રૂપમાં ચીતરવાની એ ઉભયવિધ વૃત્તિ, દૃષ્ટિ અથવા તો આદતમાંથી એણે મુક્તિ મેળવવાની જરૂર છે. નહિ તો તે સાહિત્યને સારુ સાહિત્ય સમજી શકશે પરંતુ જીવનનો ઇતિહાસ નહિ આપી શકે કે જીવનને ન્યાય પણ નહિ કરી શકે.

બીજી વાત એ પણ છે કે દરેક લેખકને પોતાનો આગવો જીવનઇતિહાસ હોય છે. તેમાં કેટલાય મુદ્દાઓ નવા લાગે તેવા ને સામાન્ય લોકો જલ્દી ના સમજે ને ના સ્વીકારે તેવા હોય છે. તેમાંથી કોઇને માટે વિવાદ કે શંકા પણ થવાનાં. પણ તેનો જ વિચાર કરીને લેખકે - ને ખાસ કરીને આત્મિક સાધનાના લેખકે પોતાની હકીકતને વિકૃત રૂપે રજૂ કરવાની કે છેક જ છૂપાવવાની જરૂર નથી. ઊંડા વિચાર પછી જીવનનો જે ઇતિહાસ તેને રજૂ કરવા જેવો લાગે તે તેણે પૂરી પ્રામાણિકતાથી રજૂ કરવો જોઇએ. લોકોના આઘાત પ્રત્યાઘાતોનો વિચાર તે ભલે કરે પરંતુ તેથી જ પ્રેરાઇને કે પ્રભાવિત થઇને લખવા બેસે નહિ. તેથી જ એ કામમાં ભારે ધીરજ, હિંમત, સંયમ, સમજ ને શાંતિની આવશ્યકતા પડે છે એ વાતનો ઉલ્લેખ આપણે આગળ ઉપર કરી ગયા છીએ.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer