|
એમના
અવસાનથી સૌ કોઇને દુઃખ થયું છે. સૌએ એમને ભાવે ભરાઇને અંજલિ આપી છે. સૌને
પોતાના સ્વજનની વિદાય થઇ હોય તેવી ખોટ પડી છે. એમનું અવસાન સૌને સાલ્યું
છે. એમ કેમ બન્યું ?
એ આટલા બધા લોકપ્રિય કેમ બન્યાં
?
કારણ કે એ નિસ્વાર્થ, ભેદભાવ તથા પક્ષાપક્ષીથી રહિત, સૌને માટે કાંઇ ને
કાંઇ કરી છૂટનારા અને સૌના પર સ્નેહ રાખનારા હતા. એમનું દિલ સૌને માટે
લાગણીનો અનુભવ કરતું. જીવનમાં એમણે કોઇની સાથે શત્રુતા નહોતી રાખી.
વિરોધીઓ પણ એમને માટે પ્રેમ રાખતા તથા માન આપતા, એ એમની વિશેષતા હતી.
એમનામાં સમજ હતી, સૂઝ હતી, દૃષ્ટિ હતી, ભાવના હતી ને નવી નવી યોજના
કરવાની- વિચારવાની શક્તિ હતી. ભાવનાઓ તથા યોજનાઓને સિદ્ધ કરવા માટે એ
બનતું બધું જ કરી છૂટતાં.
કાળનો
અકાળ પડદો વહેલો મોડો સૌના પર પડવાનો છે. તેવી રીતે એમના પર પણ પડી
ચૂક્યો છે. કોઇ એનાથી મુક્ત નથી. આજે કે કાલે સૌએ જવાનું જ છે એ નક્કી
છે. સંસારમાં કોઇનુંય શરીર સનાતન નથી, સૌની ઘડીઓ ગણાય છે. કાળ સૌનો હિસાબ
કરી રહ્યો છે. જે વખત જાય છે તે સોનાનો વીતે છે અને જીવનને વધારી નહિ પણ
ઘટાડી રહ્યો છે. એમ કરતાં છેલ્લી સફરમાં, અંતિમ કૂચમાં જોડાઇ જવાની વિપળ
પણ આવી પહોંચશે. છતાં પણ એવા વિચાર કરીને ડરવાની, ગભરાવાની, નાહિંમત
થવાની કે બેચેન બનવાની જરૂર નથી. ઉલટું, જીવનને ઉત્તમોત્તમ બનાવવાના ને
ધરતીને સરસ તેમજ સુખશાંતિમય કરવાના પ્રયાસમાં લાગી જવાની જરૂર છે. જીવનના
રૂપમાં જે મળ્યો છે તે સમય ખરેખર બહુમૂલ્ય છે એવું સમજી લઇ, એની પ્રત્યેક
પળનો સદુપયોગ કરવાનો સંકલ્પ કરવામાં આવે તો જીવન યાદગાર, સફળ અને પ્રેરક
થાય એમાં સંદેહ નથી. એવું જીવન સૌ કોઇને માટે આદર્શરૂપ અને પ્રશંસનીય બની
શકે. કબીરે કહ્યું છે કે 'જગતમાં
આવ્યો ત્યારે તું રડતો હતો, અને બીજાં બધાં હસતાં'તાં.
હવે એવા ઉત્તમ કર્મો કર અને જીવનનો સદુપયોગ કર કે જગતમાંથી વિદાય થતી
વખતે તું તારા જીવનને સફળ કર્યાના સંતોષ સાથે સ્મીત કરે અને બીજા તારી
ખોટનો અનુભવ કરતાં રડે. એમની આંખ ભીની બને તથા એમનાં અંતર ઘેરી કરુણાનો
અનુભવ કરે.'
કર્મવીરોના જીવન એવાં જ અસરકારક હોય છે. ચંપકભાઇ એવાં જ ઉત્તમ કર્મવીર
હતા. પોતે શાંત રહીને બીજાને રડાવતાં એ વિદાય થયા છે. પરંતુ વખત રડવાનો
કે શોક કરવાનો નથી, જીવનની ઉજ્જવળતાને સારું સંકલ્પ કરીને કામે લાગી
જવાનો છે. એમના આત્માનું એ સૌથી સુંદર, ઉત્તમ તર્પણ થશે. એથી એ પ્રસન્નતા
અનુભવશે.
એમના
આત્માને શાંતિ તો મળી જ છે. ઇશ્વર એવા આત્માને શાંતિ ના આપે તો બીજા કોને
આપે ?
એવી શાંતિના એ અધિકારી હતા.
રીક્ષાના અકસ્માતથી ભયંકર રીતે ઘવાયા પછી ચંપકભાઇને હોસ્પિટલ લઇ જવામાં
આવ્યા ત્યાં તેમણે ભાનમાં આવ્યા પછી રીક્ષાવાળાના સમાચાર પૂછ્યા. એના
સમાચારને સાંભળીને એમણે સત્વર જણાવ્યું કે રીક્ષાવાળો ખૂબ જ ગરીબ છે. એને
કોઇ પ્રકારની હેરાનગતિ ના થાય કે કોઇ સજા કરવામાં ના આવે તેનું ધ્યાન
રાખજો.
જે થઇ
ગયું તે થઇ ગયું;
હવે અન્યથા નથી થવાનું, એવું સમજીને જ એમણે એવા શબ્દો ઉચ્ચારેલા. એ
શબ્દોમાંથી એમની દયા, નિર્વેરતા, સહાનુભૂતિ તથા સેવાભાવના ટપકે છે.
એમને
નાળિયેરનું પાણી આપવામાં આવ્યું ત્યારે પણ એમણે તરત જ જણાવ્યું કે
રીક્ષાવાળાને પાણી આપો. એની સ્થિતિ વધારે ખરાબ છે. રીક્ષાવાળાને પાણી
આપવામાં આવ્યું ત્યારે જ એમને સંતોષ થયો. એ એવી અનોખી માટીના બનેલા. એ
આદર્શ માનવ હતા. એમણે સમય પર શાંતિથી આંખ મીંચી દીધી. જેમને જીવતાં જ
શાંતિ તથા સદગતિ સાંપડેલી એમની મરણોત્તર શાંતિ તથા સદગતિની ચિંતા કે
કામના કરવાની હોય જ નહિ. એ વાસનારહિત, સ્વાર્થરહિત બનીને જીવનને અને
મરણને જીવી તેમજ જીતી ગયા. એમની સ્મૃતિ સદાય સજીવ રહેશે.
|