|
દિન
૬
હે મહાવીર
હનુમાન, હે રામના એકનિષ્ઠ સેવક !
દીનજનોની
રક્ષા કાજે દિનરાત જાગ્રત રહેવાની પ્રતિજ્ઞા શું તમે મૂકી દીધી કે
?
ભગવાન રામની
ભૂમિમાં આ રીતે એક બાળક-બીજી કોઇ ધૂળ જેવી લૌકિક નહિ પરંતુ પરમશાંતિ ને પૂર્ણતા
તેમ જ ઇષ્ટસિદ્ધિની કામનાથી તપી રહ્યો છે, તો પણ તમે તેની વહારે કેમ આવતા નથી
?
મારી બધી જ
સાધનાત્મક ઇચ્છા આજે ને આજે પૂરી થાય તે માટે તમે બનતું બધું કરી દો, ને મને
કૃતકામ કરી આ પુણ્યભૂમિને વધારે મહિમાવંતી બનાવો.
છેવટે તમે
પોતે આજે મારી સામે પ્રકટ થાવ, સાક્ષાત રીતે પધારો ને શાંતિ આપો.
હે મા,
પૂર્વકાળમાં નચિકેતા નામનો બાળક યમદેવના દ્વાર પર ત્રણ દિવસ ભૂખે તરસે ઊભો
રહ્યો હતો તેટલાથી પણ યમદેવને કેટલું દુઃખ થયું, ને પોતાના અપરાધના પ્રાયશ્ચિત
સારું નચિકેતાને તેમણે ત્રણ વરદાન આપ્યાં ત્યારે જ તેમને કૈંક શાંતિ વળી.
તો પછી મારા
તો પાંચ પાંચ દિવસ તમારે દ્વારે તલસતાં વીતી ગયા છે, છતાં તમે હજી આવતા નથી એ
કેવા આશ્ચર્યની વાત છે ?
તમારું સુમધુર
રૂપ હું આંખ ભરીભરીને જોયા કરીશ ને એ રીતે અલ્પતા ને બંધનને ટાળી દઇશ, તેમાં
તમને શું ખોટું લાગે છે ?
શું એક
'મા'નું
હૃદય આવું કઠણ હોઇ શકે છે ?
આજે વિનાવિલંબ
તમારી કૃપા જરૂર જરૂર કરી દો ને મારા સર્વ દુઃખનો અંત લાવો એ જ માગું છું.
-
કારતક વદ ૭, બુધવાર.
તા
:
ર૧-૧૧-પ૧
☼
☼ ☼ ☼ ☼
દિન ૧ર
તમે ભક્ત કે
પ્રેમીને અભય આપવાનું વ્રત લઇને ઊભેલાં છો એ તમારું રૂપરહસ્ય તમારા ભક્તોમાં
પ્રસિદ્ધ છે.
ભક્ત કે
પ્રેમીને માટે તમારો હાથ હરહમેશ લંબાયેલો ને લંબાયેલો જ રહે છે, ને તમારા
ઉપરાંત બીજી કોઇ પણ વસ્તુ તેમને આપતાં તમે અચકાતાં નથી, એ તમારો મહિમા ભક્તોમાં
સારી પેઠે વખણાયેલો છે.
ભક્તોની
વેદના, ચિંતા ને વિપત્તિને ટાળવા તેમજ તેમના બંધનનો નાશ કરવા તમે હાથમાં ખડગ
ધારણ કરેલું છે : તેથી તમારા ભક્તોએ ત્રિલોકમાં કોઇથી ડરવાનું રહેતું નથી.
આવી તમારી
અગાધ ગુણપ્રસિદ્ધિ છતાં પણ આજે બાર બાર દિવસથી મારે તમારે દ્વારે તલસવું પડે
છે, ને વેદના તથા ચિંતાને ઘોળીને પીતાં તમને ઝંખવું પડે છે, ત્યારે ઘડીભર
આશ્ચર્ય થાય છે.
એમ થાય છે કે
તમારા આવા સ્વભાવ ને શું તમે વિસરી ગયાં કે
?
શરણાગતની
રક્ષા કરવાની તમારી જુગજૂની ને સ્વભાવગત ખાસિયત શું તમે છોડી દીધી
?
તમારો એક બાળક
તમારા વિના ભુખે ને તરસે ટળવળે, છતાં તમે તેની સંભાળ લેવા દોડી ના આવો, એ શું
તમારા જેવી જગન્માતાને માટે બરાબર છે ?
હવે તો મારી
સંભાળ જલદી જલદી લો, આજે ને અત્યારે જ લો, ને મને તેમ જ સંસારના બીજા લોકો ને
ભક્તોની રક્ષા કાજે તમારી ચિંતા ને જાગૃતિનો પુરાવો જલદી જલદી આપી દો.
-
કારતક વદ ૧૩, મંગળવાર. ર૭-૧૧-પ૧ |