|
દિન
૮
જેના પર તમારી
પરમ કૃપા થઇ જાય છે તેના ચરણોમાં રિદ્ધિ ને સિદ્ધિ રમવા માંડે છે ને મુક્તિ
તેની દાસી થઇ જાય છે.
વૈભવ ને
વિભૂતિના દ્વાર તેને માટે સદાને માટે ઉઘડી જાય છે, ને શાંતિ તથા આનંદ તેના
અંગેઅંગમા ફરી વળે છે.
એટલે
બુદ્ધિમાન માણસ તો બીજી બધી જ વાતોને કોરે મુકીને તમારી કૃપાનો ચાતક બનીને બેસી
રહે છે, ને તમારા દૈવી દર્શન દ્વારા જીવનને ધન્ય ને ઉજ્જવળ કરવા ઝંખે છે.
જગતમાં તે જ
સાચો પંડિત, જ્ઞાની, શાસ્ત્રી ને સાક્ષર છે.
જેને તમારી
મોહિની લાગી જાય છે તે જ ધની, માની, ને બડભાગી છે.
- પોષ
સુદી ૫, રવિવાર, ૨૧-૧૨-૧૯૫૨
☼
☼ ☼ ☼ ☼
દિન ૧૩
તમારી કૃપા
વિનાના જીવનનું મૂલ્ય ખરેખર કાંઇ જ નથી.
જેમ મીઠાશ
વિનાનું મધ, પ્રકાશ વિનાનો સૂરજ, ને ફોરમ વિનાનું ફુલ ગમે તેવું સુંદર હોય તોયે
તે મંગલ ને મનહર બનતું નથી, તેમ તમારા વિનાનું જીવન ગમે તેવું સુંદર કે સમૃદ્ધ
હોય છતાંય સફળ બનતું નથી.
જે જીવનમાં
તમે કે તમારી કૃપા નથી તે જીવન જીવતા મરણ વિના બીજું કાંઇ જ નથી, એવું માનીને
મહાપુરુષો તમારી કૃપાસુધાના ચાતક બને છે, ને તમારા મંગલ દર્શનને માટે ભેખ ધારણ
કરી જગતમાં જીવે છે.
તમારા મંગલમય
દર્શનમાં જ તેમનું સુખ ને તમારી કૃપાસુધાના આસ્વાદમાં જ તેમના જીવનની સમૃદ્ધિ
ને ધન્યતા રહેલી છે.
આ જ પુરુષો
સંસારમાં સાચા અર્થમાં બડભાગી છે, ને તેમની હરોળમાં બેસવાની લગની લગાડીને તમે
મારા પર ખરેખર કૃપા કરી છે.
હવે એ કૃપા
ખુલ્લાં દિલથી, ને પૂરીપૂરી રીતે વરસાવી દો, એ જ પ્રાર્થના તમારે હૃદયદ્વારે
પહોંચાડવાનો પ્રયાસ હું કરી રહ્યો છું.
- પોષ સુદી ૯, ગુરુવાર
૨૫-૧૨-૧૯૫૨
☼
☼ ☼ ☼ ☼
દિન
૧૪
સંસારની
મોહમાયામાં મારો પ્રાણ કદીયે આસક્ત ના બને, ને તમારાથી એક ઘડી વાર પણ દૂર ના
રહે, એવો આશીર્વાદ દઇ દો.
તમારી
રૂપસુધાનું પાન કરતાં લોચન સદાયે પ્યાસાં ને પ્યાસાં જ રહે, ને શરીર તમારા મંગલ
ને સુખદ સ્પર્શસુખથી પ્રસન્નતા ને ધન્યતા અનુભવે, એવો આશીર્વાદ દઇ દો.
બીજા માણસોના
જીવનનું ગમે તે થતું હો, મારું જીવન તો એક તમારી પૂજાનું ગીત બને, ને તમારી
પરિપૂર્ણ કૃપાપ્રાપ્તિથી પુલકિત ને પ્રસન્ન તથા પ્રશાંત બની રહે, એવો આશીર્વાદ
દઇ દો, હે અંતર્યામી ! એવો આશીર્વાદ દઇ દો.
- પોષ સુદી ૧૧, શનિવાર, ૨૭-૧૨-૧૯૫૨ |