Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

Heart churning Prayers from 'Prakash Na Panthe'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ઉપવાસના દિવસના મનોભાવો

 

Ambe Ma | Goddess Amba | અંબા માતા

< Back | Index | Next >

 

 

દિન ૪

ભલભલા મથ્યા પણ તમારી કૃપા વિના પડદો દૂર થઈ શક્યો નહિ.

યોગી, મુનિ, તપસ્વી ને વૈરાગી પ્રયત્ન કરીને થાક્યા પણ તમારી કૃપા વિના પડદો દૂર થઈ શક્યો નહિ.

અંતર ને આંખ બંનેની આગળનું આવરણ માણસ હજારો પ્રયત્ન કરે તો પણ તમારી કૃપા વિના ટળી શકે તેમ નથી.

તમારી કૃપાનો મહિમા એવો ભારે છે.

છતાં તમારી તરસ જગાવીને ને તમારી શ્રદ્ધાથી સંપન્ન બનીને જે જીવે છે, ને તમારે માટે નમ્ર બનીને બને તેટલો પુરુષાર્થ પણ કરે છે, તેને તમારી કૃપાનો અધિકારી ગણી, તમારી પરિપૂર્ણ કૃપાથી કૃતાર્થ કરી દો છો, એ વાત પણ સાચી છે, ને તમારા જ પ્રેમમાં મસ્ત થયેલા ને તમારી જ કૃપાસુધા સારુ તરસ્યા બનેલા મહાપુરુષોએ કહેલી છે.

એટલે જ હું તમને પૂછું કે તમારા પ્રેમી પુરુષોએ ઉચ્ચારેલી એ વાણી શું સાચી નથી ?

શું તે વાણીને સાર્થક કરીને તમારા પ્રેમી પુરુષોનું માન રાખવાની તમારી ઈચ્છા નથી ?

તો તમે શું કામ વાર કરો છો ?

તમારી કૃપાની વૃષ્ટિ કરવામાં આટલો બધો વિલંબ કેમ કરો છો ?

તમારા સુધા ઝરતા પ્રકાશનાં પૂંજ જેવા રૂપ સાથે અત્યારે પ્રકટ થઈને મારી આંખને આનંદ અને અંતરને આરામ કેમ આપતાં નથી ?

મારી ઈચ્છા પૂર્ણ થાય તેના પર ઘણું ઘણું અવલંબે છે.

આજની અને ભવિષ્યની પેઢીઓને માટે મારું જીવન એક આરસીરૂપ બનશે.

ખુદ તમારે માટે પણ તે કસોટીરૂપ બનશે.

તમારી કૃપાથી વંચિત રાખશો તો માનવજાતિની શ્રદ્ધા તમારામાં ક્યાંથી થશે, ને જર્જર જેવી બની ગયેલી આધ્યાત્મિક પ્રકાશની પ્રભા ને તમારી પ્રેમભક્તિ જડતા તરફ આગળ ને આગળ વધી રહેલા જગતમાં ક્યાંથી ફેલાશે ?

આમાં મારું તો હિત છે જ પણ તમારું ને તમારા જગતનું હિત પણ રહેલું છે. માટે હવે વિલંબ ના કરો.

શું તમારી દુનિયામાં ન્યાય નથી ?

તમે જ કહો છો કે જેની જે કામના છે તે કામના હું પૂરી કરું છું તો શુ તે વાત સાચી નથી ?

તો પછી આમ ઉપરાઉપરી મને વેદનાની જ્વાળામાં શું કામ જલાવો છો ?

વિરહ અને પરિતાપની ભઠ્ઠીમાં શું કામ તપાવો છો ?

હું તો તમારા વિના રહી શકીશ નહિ. તમારા વિના મને આનંદ નહિ મળે ને ચેન પણ નહિ પડે એટલે તમારે માટે હું પ્રાર્થના કર્યા કરીશ ને તલસ્યા કરીશ, ને ભૂખ્યું બાળક 'મા'ને માટે અધીરું બનીને આક્રંદ કર્યા કરે છે તેમ તમારે માટે અંતરના અંતરતમમાં આક્રંદ કર્યા કરીશ.

મારો તો આ સ્વાભાવિક ગુણધર્મ થયો પણ તમારો ગુણધર્મ પણ કાંઇ છે કે નહિ ?

જગતની જનની તરીકે તમારા પ્રેમી કે અપ્રેમી, સાધારણ કે અસાધારણ ને મેલાં કે ઉજળાં બાળકોની સંભાળ લેવાની તમારી પણ કાંઇ ફરજ છે કે નહિ ?

એ ફરજ તમે જાણો છો.  છતાં દુઃખને લીધે મારે તમને એની યાદ આપવી પડે છે.

હું તો તલસ્યા ને પ્રાર્થ્યા કરું છું. પણ તમે ક્યાં સુધી તલસવા ને પ્રાર્થવા દેશો ?

તમારા મિલનનો ચોક્કસ દિવસ ને સમય જણાવો તો પણ મને કૈંક શાંતિ વળે.

પણ મારી એટલી નાની સરખી માંગણી પણ હજી તમે સંતોષી શકતાં નથી.

એ શું બતાવે છે ? શું તમારું હૃદય કઠોર છે ?

- આસો સુદી ૩, રવિવાર તારીખ : ૧૧-૧૦-૧૯૫૩

 

☼         ☼         ☼         ☼         ☼

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'પ્રકાશના પંથે'માંથી )

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer