Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

Heart churning Prayers from 'Prakash Na Panthe'

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

નવરાત્રીના ઉપવાસ

 

< Back | Index | Next >

 

 

દિન ૧૧

રોજ આની આ પ્રાર્થના કરતાં તમારી કૃપાને માટે ઝંખતા બેસી રહેવું પડે છે તે શું સારું લાગે છે ?

મારું મોઢું તો જુઓ, કેટલું સૂકાઇ ગયું છે ?

આંખો ઊંડે ઉતરી ગઇ છે, ને શરીરનાં હાડકાં ઉપર ઉપસી આવ્યા છે.

આ દશામાં તમે મને ક્યાં લગી તલસાવવા માંગો છો તે પણ કહી દેશો ?

માતાજી મૂંગે મોઢે કેટલી ચિંતા ને પ્રાર્થના કરે છે ?

તમારી કૃપાસુધા વહેલામાં વહેલી તકે વરસી જાય એવું તે પણ ઇચ્છે છે.

તેમના હૃદયમાં આટલો પ્રેમ ને આટલી કરુણા તથા લાગણી છે તો તમે માતાના પણ માતા ને જગદંબા છો. તમારા દિલમાં તો તમારા બાળકોને માટે કેટલો બધો પ્રેમ હોય !

અરે તમે તો પ્રેમરૂપ જ છો. છતાં પણ મારી યાતનાને ઠંડે કલેજે જોયા કરતાં હો તેમ હજી પણ મૂક કેમ રહ્યાં છો ?

એક તો આ હિમાલયની દૈવી ભૂમિ છે.

તેમાંય વળી માયાપુરીના આ પ્રદેશનો મહિમા શાસ્ત્રોમાં ઘણો પ્રસિદ્ધ છે.

વળી પતિતપાવની ગંગાનો કિનારો છે.

વળી નવરાત્રીના અનુસંધાનના પવિત્ર પર્વદિવસો છે.

આ બધા ઉત્તમમાં ઉત્તમ યોગ મળ્યા છે તો પણ તમારી કૃપા કેમ નથી થતી ?

મારી યોગ્યતા તો કદી પૂરી થવાની જ નથી. એટલે તે તરફ તો તમે જોશો જ નહિ.

ફક્ત તમારી યોગ્યતાનો વિચાર કરો. તો એક ક્ષણનો પણ વિલંબ કરવાનો તમને ઉચિત નહિ લાગે.

આ સાધારણ જગતમાં પણ, તમને જેની સાથે વધારે કૈં જ લાગતું વળગતું ના હોય તેવા કોઇ સાધારણ સાંસારિક હેતુને માટે કોઇ ઉપવાસ પર ઉતરે છે તો મિત્રો ને સ્નેહીઓ તેને ઘેરી વળે છે, કેટલાય સહાનુભૂતિ બતાવે છે ને આશ્વાસન આપે છે; તથા લાગતાંવળગતાં માણસો તેમને સંતોષ આપવા ને તેમનું સારી પેઠે સમાધાન કરવા દોડાદોડ કરીને પોતાનાથી બનતાં બધા જ પ્રયાસ કરી છૂટે છે.

તો આ તો દૈવી અને આધ્યાત્મિક જગત છે. તેના નિયમો તો વધારે નક્કર છે.

વસ્તીમાં કે વસ્તીથી દૂર જંગલ કે એકાંતમાં જે તમારે માટે બેસે છે તેને પણ તમારી મદદ મળે છે. તો પછી ગંગાતટના એકાંત સ્થાનમાં બેસીને આજે દિવસોથી તમારા કૃપાકટાક્ષની આશા કરતાં વખત વીતાવી રહ્યો છું છતાં તમારા પાર્ષદ કે પ્રતિનિધિ જેવા સિદ્ધપુરુષો કે યોગીઓ ફરકતાં જ નથી તેનું કારણ ?

શું હિમાલયમાં સિદ્ધ યોગીવરોની ખોટ પડી છે ?

શું આ બ્રહ્માંડમાં પણ તેમનો દુકાળ પડ્યો છે ?

તો પછી આટલા સાધારણ કામમાં પણ તે કેમ મદદ કરવા દોડતા નથી.

તમે તમને કેમ મોકલતા નથી ?

તમારી જ પ્રેરણાથી આ વ્રત મેં શરૂ કર્યું છે. છતાં તમે તેને સફળ કરવાનો સક્રિય પ્રયાસ કેમ કરતાં નથી ?

મેં સાફ સાફ કહી દીધું છે કે તમારા પ્રત્યક્ષ મિલનનો દિવસ કોઇ કારણથી હજી જરા દૂર હોય તો છેવટે તે દિન ક્યો છે તે વાત કોઇ સિદ્ધ મહાપુરુષ દ્વારા પ્રત્યક્ષ રીતે મને જણાવી દો. તો પણ મને કૈંક નિરાંત વળે ને મારો પ્રયાસ સફળ બને.

છતાં તમે તેનો જવાબ પણ આપતા નથી એથી વધારે દુઃખકારક બીજું શું હોઇ શકે ?

-  આસો સુદી ૧૧ રવિવાર તારીખ ૧૮-૧૦-૧૯૫૩

 

☼         ☼         ☼         ☼         ☼

Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી લિખિત 'પ્રકાશના પંથે'માંથી )

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer