|
મહર્ષિ વ્યાસના નામ અને
કામને કોણ નથી જાણતું ? એમના વિના ભારતીય સંસ્કૃતિ ખરે જ અનાથ હોત અને
વિશ્વસંસ્કૃતિને પણ મોટી ખોટ પડત. બ્રહ્મસૂત્ર તથા ગીતા જેવા ચિંતનશીલ
મહાગ્રંથોની જેમ એમણે કેટલાંક પુરાણોની પણ રચના કરી છે. એ પુરાણોમાં
ભાગવત અને મહાભારત મુખ્ય છે. પોતાના સનાતન જ્ઞાન-સંદેશથી એ અમર છે.
બીજું કેટલુંય સાહિત્ય
કાળના વહેવા સાથે, કાળના મહોદધિમાં મળી ગયું છે, પરંતુ મહર્ષિ વ્યાસનું
સરજેલું એ સાહિત્ય શાશ્વત છે અને આજે પણ એટલું જ ઉપયોગી અથવા આશીર્વાદરૂપ
થઇને પ્રકાશી રહ્યું છે. એને નથી વૃદ્ધાવસ્થા કે નથી વ્યાધિ. દેશ, કાળ કે
અવસ્થાની અસર એને નથી થતી. વરસો પહેલાં, અતીતકાળમાં રચાયું હોવા છતાં, એ
આજે પણ એવું જ અવનવું લાગે છે. એનું સ્વરૂપ જ એવું છે અને એનો આત્મા એવો
અનેરો, અસાધારણ અથવા અલૌકિક છે કે કદી પુરાણું નથી થયું પરંતુ નિત્ય નૂતન
રહ્યું છે. પ્રજાને સાંસ્કૃતિક ને નૈતિક સંદેશ પૂરો પાડવાનું તથા
પ્રેરણાપીયૂષ પાવાનું કામ એ વરસોથી કરી રહ્યું છે.
સમુદ્રમાં મોતી થાય છે એ
વાત સુવિદિત છે. એ મોતી પરિશ્રમસાધ્ય છે અને જીવનમાં એટલાં બધાં આવશ્યક
પણ નથીઃ પરંતુ જ્ઞાનવિજ્ઞાનથી ભરેલા મહાભારતરૂપી સમુદ્રનાં મોતી તો મહર્ષિ
વ્યાસે પ્રખર પરિશ્રમ કરીને વિશ્વના હિતને માટે બહાર કાઢ્યાં છે. એ મોતી
માનવમાત્રને માટે એટલાં બધાં કીમતી તથા કલ્યાણકારક છે કે વાત નહિ. એ મોતી
કેવળ પહેરવાનાં નથી પરંતુ જીવનમાં આત્મસાત્ કરવાનાં છે. એ જ એમની વિશેષતા
કે ખૂબી છે. એ મોતીને આપણે આપણી દૃષ્ટિથી મૂલવીએ તો સાચેસાચ લાભ જ થાય,
અને ઘણો મોટો લાભ થાય, એમાં સંદેહ નથી. કામ ઘણું મોટું કે ભગીરથ છે : છતાં
પણ મૂલ્યવાન છે માટે કરવું જ રહ્યું.
એકંદરે એ લાભકારક સાબિત
થશે.
મહાભારતની મહત્તા
તથા ઉપયોગિતા વિશે એના આરંભના આદિપર્વના પહેલા અધ્યાયમાં જે વિવરણ છે તેનો
વિચાર ખાસ ધ્યાનપૂર્વક કરવા જેવો છે. આ રહ્યું એ વિવરણ :
"ધર્મ, અર્થ, કામ તથા
મોક્ષનું જેમાં સંક્ષેપમાં તથા વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે,
એવા મહાભારતરૂપી સૂર્યે અજ્ઞાનરૂપી ઘોર અંધકારમાં અથડાતા લોકોની આંખ
જ્ઞાનના અલૌકિક અંજનની સળીથી ઉઘાડીને એમનો અનાદિ કાળનો અંધકાર દૂર કર્યો
છે. પુરાણરૂપી આ પરિપૂર્ણ ચંદ્રે શ્રુતિરૂપી કૌમુદીને પ્રકટાવી,
માનવબુદ્ધિરૂપે કુમુદવનને વિકસાવ્યું છે. આ ઇતિહાસરૂપી દીપકે મોહરૂપી
આવરણને હઠાવી, લોકોની અંતઃકરણરૂપી ગુફાઓની અંદર પ્રકાશ પાથર્યો છે. મેઘ
જેવી રીતે પ્રાણીમાત્રનો આશ્રય છે, તેવી રીતે આ મહાભારતરૂપી વૃક્ષ સર્વે
મોટા મોટા કવિઓનું આશ્રયરૂપ રહેશે. મેઘની જેમ આ મહાભારત વૃક્ષ સૌને શાંતિ
આપશે."
|