|
મહાત્મા ગાંધીજીનો
અનુભવાત્મક અભિપ્રાય પણ આ મહાગ્રંથ વિશે જાણવા જેવો છે. તે લખે છે:
"મેં આ પહેલાં મહાભારતનો
સંપૂર્ણ ગ્રંથ વાંચ્યો ન હતો. કોઇ કોઇ વાર થોડું થોડું જોયું હોય તે જુદી
વાત. મેં તો ઊલટો એની વિરુદ્ધમાં જ મત બાંધી દીધો હતો કે એમાં મારપીટ,
લડાઇ અને ઝગડાઓની કહાણીઓ હશે.....પરંતુ પછી જ્યારે મેં એને વાંચવું શરૂ
કર્યું ત્યારે તો પછી અમુક ભાગ સિવાય એ એટલું બધું મનમોહક થઇ પડ્યું, એમાં
એટલી બધી લેહ લાગી ગઇ, કે એકવાર શરૂ કર્યા પછી એ ગ્રંથ પૂરો કરવાને હું
અધીરો જ બની ગયો, અને એ સંપૂર્ણ વાંચી રહ્યા પછી એ વિશેના મારા પહેલાંના
ખ્યાલો ખોટા ઠર્યા."
"એ ગ્રંથ મેં યરોડા જેલમાં
ચાર મહિનામાં પૂરો કર્યો ત્યારે મને લાગ્યું કે આ મહાભારતને કાંઇ ઉપમા
આપવી હોય તો તે ગણ્યાંગાઠ્યાં સુંદર જવાહીરોની એકાદ તિજોરીની ના આપી શકાય
પણ અમૂલ્ય રત્નોની એકાદ અખૂટ ખાણ સાથે જ સરખાવી શકાય, કે જે ખાણ જેમ જેમ
વધુ ને વધુ ઊંડી ખોદીએ તેમ તેમ તેમાંથી કીમતી જવાહીર વધુ ને વધુ નીકળતાં
જ જાય."
મહાત્મા ગાંધીજીના
સેવાનિષ્ઠ કર્મયોગી સમકાલીન સંત ભિક્ષુ અખંડાનંદે લખ્યું છે :
"ભારતવર્ષમાં મહાભારતના
નામથી કોઇક જ હિંદુ-આર્ય અજાણ્યો હશે. આ ગ્રંથ રચાયો ત્યારથી માંડીને
અદ્યાપિ સુધીનાં હજારો વર્ષ દરમિયાન હિંદુ જાતિમાં જે જે પ્રાચીન ગ્રંથો
અતિઆકર્ષક, માર્ગદર્શક અને ઉપકારક ગણાતા આવ્યા છે; તેમાં મહાભારત ગ્રંથ
સદા પ્રથમ શ્રેણીમાં જ રહ્યો છે અને રહેશે."
પંડિત રામજીલાલ શર્માએ
લખ્યું છેઃ
"જે જાતિ પાસે આ મહાભારત
જેવો જગતભરમાં જોટા વગરનો અનુપમ ગ્રંથ હયાત હોય, તે કદી પણ પડતી દશામાં
રહી શકે નહીં. જે જાતિ પાસે પોતાના પૂર્વજોનાં એવાં તેજસ્વી,
સ્ફુર્તિદાયક અને અનુકરણીય વીરચરિત્રો હોય, તેનું નામ સભ્ય જાતિઓની
શ્રેણીમાંથી બાતલ રહી શકે નહીં. પરંતુ ત્યારે એ ઉપરથી તો અહીં એ જ પ્રશ્ન
ઊભો થાય છે કે મહાભારત જેવો ગ્રંથ હયાત હોવા છતાં પણ આજે હિંદુ જાતિ
કર્તવ્યભ્રષ્ટ કેમ થતી જાય છે ? ભગવાન શ્રીકૃષ્ણ, બાલબ્રહ્મચારી
ભીષ્મપિતામહ, મહાયોદ્ધો અર્જુન, મહાબલી ભીમ, ધર્માત્મા યુધિષ્ઠિર,
મહાપંડિત સહદેવ, મહાનીતિજ્ઞ વિદુર, મહાપરાક્રમી કર્ણ અને યુદ્ધવિશારદ
દ્રોણાચાર્ય આદિ મહાત્માઓની અનેકાનેક વીરકથાઓ ધરાવનારો મહાભારત ગ્રંથ
મોજુદ છતાં પણ આજે હિંદુ જાતિ શા માટે ડૂબી રહી છે ? ગીતા જેવું અમૃતમય
શિક્ષણ હયાત હોવાં છતાં હજી પણ હિંદુ જાતિ પોતાના પૂર્વજોનાં નામ ઉપર શા
માટે કલંક લગાડી રહી છે ?
કારણ એનું માત્ર એ જ છે
કે, હિંદુ જાતિએ મહાભારત ગ્રંથ વાંચવો-સાંભળવો છોડી દીધો છે. અને પોતાના
પૂર્વજોની ગુણગાથાઓનું ગાન બંધ કરી દીધું છે."
મહાભારત વિશે પંડિત
ઇશ્વરીપ્રસાદ શર્માના વિચારો :
"મહાભારતમાં સર્વ રસોનો
યથાસ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે. શૃંગારથી તે વૈરાગ્ય સુધીના બધા રસોનું
એમાં એવું સુંદર મિલન થયું છે કે ભારતના પ્રાચીન વીરોની આ પવિત્ર કથા બહુ
જ મનમોહક, હૃદયગ્રાહી અને પ્રભાવશાળી બની રહી છે; અને તેથી કરીને અત્યંત
પ્રાચીનકાળથી અદ્યાપિપર્યંતના બધા પંડિતોનો એ જ મત છે કે, જે કંઇ
મહાભારતમાં છે તે જ બીજે સ્થળે જોવામાં આવે છે; અને જે તેમાં નથી તે
ક્યાંય પણ નથી."
મહાભારત મહાગ્રંથ વિશેના
વિવિધ વિદ્વાનોના એવા એવા અભિપ્રાયોને અથવા વિચારોને રજૂ કરીએ તો
અતિવિસ્તાર થઇ જાય. એટલે આ પ્રકરણને આટલેથી જ પરિસમાપ્ત કરીએ. વિદ્વાનોના
એવા અનેકવિધ અભિપ્રાયો અથવા પ્રગલ્ભ વિચારો પ્રદર્શાવે છે કે એ
મહામૂલ્યવાન મહાગ્રંથ પંડિતો, વિદ્વાનો અને મહાપુરુષોમાં અતિશય આદરપાત્ર
મનાય છે અને એની પ્રશસ્તિ કરતાં એ થાકતા કે ધરાતા નથી.
એ મહાગ્રંથનો અભ્યાસ સૌને
માટે આવશ્યક છે.
|