|
આદિપર્વમાં એક સામાન્ય દેખાતી છતાં પણ ફળશ્રુતિ દૃષ્ટિથી અતિશય અગત્યની
અસામાન્ય કથા આવે છે. એનું વિહંગાવલોકન કરવાથી લાભ થાય તેમ છે.
કથાના આરંભમાં આલેખાયા પ્રમાણે રાજા પરિક્ષિતના શરીર ત્યાગ પછી તેમના
પરમપ્રતાપી સુપુત્ર જનમેજયે પોતાના ભાઇઓ સાથે,
કુરુક્ષેત્રમાં વિશાળ તથા સુદીર્ઘ સમયના યજ્ઞનું આયોજન કર્યું.
વિખ્યાત વિરાટ યજ્ઞના અનુષ્ઠાન માટે એમના શ્રુતસેન,
ઉગ્રસેન,
ભીમસેન નામના ત્રણ ભાઇઓ બેઠેલા.
યજ્ઞના અનુષ્ઠાન દરમિયાન યજ્ઞની એ પવિત્ર ભૂમિમાં એક કૂતરો પહોંચી ગયો.
જનમેજયના ભાઇઓએ તેને મારવાથી તે રડતાં ને બૂમો પાડતાં પોતાની માતા પાસે
પહોંચ્યો.
માતાએ તેના રુદનનું કારણ પૂથતાં તેણે પોતાની કથા કહીને જણાવ્યું કે મને
જનમેજયના બંધુઓએ માર્યો છે.
માતાએ કહ્યું તેં કોઇક અપરાધ કર્યો હશે.
"મેં કશો જ અપરાધ કર્યો નથી." એણે સ્પષ્ટીકરણ કર્યું;
"મેં
યજ્ઞનાં હવિદ્રવ્યોને નિહાળ્યાં નથી ને ચાટયાં પણ નથી."
એ શબ્દોને સાંભળીને પોતાના પુત્રના દુઃખે દુઃખી થયેલી માતા સરમા તરત જ
યજ્ઞસ્થાનમાં પહોંચી અને જનમેજયને કહેવા લાગી કે,
મારા પુત્રે કોઇ અપરાધ કર્યો નથી,
હવિદ્રવ્યોને જોયાં કે ચાટયાં નથી તોપણ તેને શા માટે માર્યો
?
જનમેજયે કશો જવાબ ના આપ્યો એટલે સરમાએ આગળ કહ્યું : "નિર્દોષ પર પ્રહાર
કર્યો છે તેથી તમને અણચિંતવ્યો મહાન ભય આવી મળશે."
સરમાના શબ્દોથી જનમેજયને ચિંતા થઇ. યજ્ઞની સુખદ પરિસમાપ્તિ પછી દુઃખી
હૃદયે હસ્તિનાપુરમાં પ્રવેશીને એ શાપનું નિર્વિધ્ને નિવારણ કરવાની
શક્તિવાળા કોઇક સુયોગ્ય પુરોહિતની શોધ માટે એમણે પ્રયત્ન કર્યો.
એ કથા સૂચવે છે કે માનવની પેઠે માનવેતર જીવોનું જીવન પણ મૂલ્યવાન અને
એમને એટલું જ પ્રિય હોવાથી,
અને માનવ સંસ્કૃતિનો સર્વશ્રેષ્ઠ સંદેશાવાહક તથા અન્યનો આશ્રયદાતા હોવાથી,
એણે સર્વ જીવો પ્રત્યે સારો વ્યવહાર કરવો જોઇએ. અનાવશ્યક હિંસા,
યાતના અને અન્યાય-અત્યાચારથી દૂર રહેવું જોઇએ. માનવ એક તરફ જીવનના
ઉત્કર્ષ માટે કર્તવ્યનો મહાયજ્ઞ કરે ને બીજી તરફ ષડરિપુઓનો શિકાર બને અને
નિર્દોષને રંજાડે તો તેનો સાધનાયજ્ઞ અપૂર્ણ રહે અથવા અભિશાપરૂપ ઠરે.
યજ્ઞ જનમેજયની ઇચ્છાથી એમના તત્વાવધાનમાં થઇ રહેલો તેથી તેના દોષની
જવાબદારી એમની પણ માની લેવાઇ.
પ્રાણીમાત્ર પ્રત્યેના પ્રેમ,
સદભાવ તથા સદવ્યવહારની સદાય આવશ્યકતા છે.
|