Mahabharat - India's greatest epic

महाभारत

A timeless creation of Sage Ved Vyas

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

Mahabharat

Principal stories of Mahabharat in Gujarati

  Mahabharata - Greates epic of India  
< BACK

Adi Parva

NEXT >

11. Curse turned out to be true

 

When parikshit came to know about the curse, he realised his mistake. He decided to try his best to stay away from the impact of the curse. He build an isolated place with stock of medicine for snake bite and expert doctors. But who can avoid a certain death ?

Takshak assumed the form of a small worm inside a fruit and reached Parikshit's protected place. King Parikshit saw the worm but was too arrognat to recognize it. Takshak did his part and the curse proved to be true. The moral of the story is that death spares nobody and misconduct of any kind with sages brings dreadful consequences.

 

11. શાપ સાચો ઠર્યો

 

શાપની વાતને સાંભળીને મહારાજા પરીક્ષિતને ખૂબ જ સંતાપ થયો.

પરીક્ષિતના પશ્ચાતાપનો પાર રહ્યો નહીં.

એમાંય જ્યારે એને શમીકમુનિના મૌનવ્રત વિશે માહિતી મળી ત્યારે તો પોતાના દુર્વ્યવહાર બદલ ખૂબ જ દુઃખ થયું.

પોતાના મંત્રીઓ સાથે ચર્ચાવિચારણા કરીને એણે એક સુરક્ષિત એકદંડિયા મહેલનું નિર્માણ કરાવ્યું. એમાં વૈદો, મંત્રસિદ્ધ બ્રાહ્મણો અને ઔષધોની સંપૂર્ણ વ્યવસ્થા કરીને એના સંરક્ષણની યોજના બનાવી.

એવી રીતે સર્વ તરફથી સંપૂર્ણપણે સુરક્ષિત બનીને એ રમણીય રાજપ્રાસાદમાં રહીને મંત્રીઓની મદદથી રાજ્યકાર્ય કરવા માંડયો. રાજપ્રાસાદમાં રહેતા એને કોઇ જોઇ શકતું નહોતું. બહાર નીકળનારી હવા પણ તેમાં પુનઃ પ્રવેશી નહોતી શકતી.

મૃત્યુ અવશ્યંભાવિ છે એવું જાણવા છતાં પણ મોટા ભાગના માનવોને મરવાનું ગમે છે ? મૃત્યુ આત્માનું નથી હોતું, શરીરનું હોય છે, એ જાણ્યા છતાં પણ શરીરને છોડવા કોણ તૈયાર થાય છે ? માનવ વધારે ને વધારે જીવવા માગે છે. અને એ છતાં પણ કાળ ક્યાંથી ક્યારે આવે છે તેની ખબર નથી પડતી. એકાદ અપવાદ સિવાય કાળ માનવ ઇચ્છે કે ના ઇચ્છે તોપણ પોતાનું કાર્ય ચોક્કસ રીતે કર્યે જ જાય છે.

પરીક્ષિતના સંબંધમાં પણ એવું જ બન્યું.

મરવાનું કોને ગમે છે ? કોઇકને જ ! જગતના મોટા ભાગના મનુષ્યો તો જીવનને વધારે દીર્ઘ, અને સુખી જીવનને જ ઇચ્છે છે. અમર જીવનની અભિલાષા પણ કેટલાક રાખતા હોય છે.

રાજા પરીક્ષિત પણ એમાં અપવાદરૂપ ન હતા. પોતાને તક્ષક નાગના કરડવાથી સાત દિવસમાં મૃત્યુ થવાનો શાપ મળ્યો છે, એ જાણીને તેઓ ચિંતામાં ડૂબી ગયાં. પોતાના મંત્રીઓની સલાહ પ્રમાણે એક સ્તંભની ઉપર એક સુરક્ષિત ભવન બનાવડાવ્યું. એ ભવનમાં એમણે રહેવા માંડયું. અને એમાં પોતાની સાથે અનેક અનુભવી વૈદ્યો, ઔષધિઓ તથા મંત્રની મદદથી સાપના વિષને દૂર કરવાની વિદ્યા જાણનારા બ્રાહ્મણોને રાખવામાં આવ્યા.

મંત્રીઓ અને અંગરક્ષકો પ્રતિપળ એમની પાસે રહીને એમની રક્ષા કરતા. રાજાની અનુજ્ઞા વિના એમની પાસે કોઇ પણ ના જઇ શકતું.

એવી પૂર્ણ તૈયારીમાં છ દિવસ પસાર થઇ ગયા પછી સાતમે દિવસે કાશ્યપ નામે એક વિદ્વાન બ્રાહ્મણ રાજા પરીક્ષિત પાસે જવા તૈયાર થયો. રાજાને મળેલા શાપની ખબર હોવાથી એણે નક્કી કર્યું કે રાજાને આજે તક્ષક નાગ કરડશે, તે પછી મારા મંત્રબળથી હું એમને જીવતા કરી દઇશ. કાશ્યપ મહાન મંત્રવેત્તા હતો.

બીજી બાજુથી તક્ષક પણ પોતાનું કામ પૂરું કરવા માટે ચાલી નીકળ્યો. એણે ઇચ્છાનુસાર રૂપ ધારણ કરવાની પોતાની શક્તિથી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું ને કાશ્યપની આગળ આવીને પૂછયું :

 ‘આજે તમે કોઇ અગત્યના કામે જઇ રહ્યા હો એવું લાગે છે. તમારી ચાલ ઝડપી છે. એવું કયું કામ આવી પડયું છે ?'

કાશ્યપે કહ્યું,

રાજા પરીક્ષિતને આજે તક્ષક નાગ કરડવાનો છે. એમને જીવતા કરવાની અભિલાષાથી હું એમની પાસે જઇ રહ્યો છું.'

તો તમે એમને જીવતા કરી શકો એમ છો ?’

જરૂર.'

કેવી રીતે ?'

'મારી પાસે મૃતસંજીવની વિદ્યા છે. સાપના વિષને દૂર કરવાની વિદ્યાનું પણ મને જ્ઞાન છે.'

તક્ષકે થોડોક વિચાર કરીને કહ્યું, ' મારા દંશથી નિષ્પ્રાણ બનેલાને જો તમે જીવાડી શકતા હો, તો મને તમારી એ શક્તિનો પરચો બતાવો. આ પાસેના વૃક્ષને મારા ઝેરથી જલાવી દઉં છું. તમે તેને પુનર્જીવિત કરો.'

કાશ્યપે કહ્યું, ' તમે વૃક્ષને ખાખ કરશો તોપણ મારી શક્તિથી હું તેને લીલુંછમ કરી દઇશ.'

તક્ષકે એ વિશાળ વૃક્ષને દંશ દીધો કે તરત જ એ એના વિષના પ્રભાવથી સળગી ઊઠયું.

પરન્તુ કાશ્યપે તરત પોતાની જ વિદ્યાનો પ્રયોગ કરી બતાવ્યો. એણે એ વૃક્ષની રાખને ભેગી કરી અને પોતાના મંત્રપ્રયોગથી જોતજોતામાં એ વૃક્ષને પહેલાંની જેમ લીલુંછમ કરી દીધું.

તક્ષકને ભારે આશ્ચર્ય થયું . એને વિશ્વાસ થઇ ગયો કે કાશ્યપ પોતાનું કર્યું કરાવ્યું ધૂળમાં મેળવશે.

એણે એક બીજી યુક્તિ અજમાવી.

' તમે રાજાને જીવતા કરવા જાવ છો તે કોઇક વસ્તુપ્રાપ્તિની કામનાથી જ જતા હશોને ? તમારી કામના દુર્લભ હશે તોપણ હું એની પૂર્તિ કરી દઇશ. એને માટે તમારે રાજા પાસે નહિ જવું પડે. બ્રહ્મશાપથી રાજાના આયુષ્યનો નાશ થયો હોવાથી એમને પુનર્જીવિત કરવાના કામમાં તમને સફળતા ના પણ મળે. તો એ પરિસ્થિતિમાં તમારો આજ સુધીનો ઉજ્જવળ યશ ફીકો પણ પડી જાય'

તક્ષકની એ યુક્તિ સફળ નીવડી. કાશ્યપે જણાવ્યું.

' રાજાને પુનર્જીવિત કરવા પાછળનું મારું પ્રયોજન ધનની પ્રાપ્તિ કરવાનું છે.

' તો પછી હું તમને જેટલું જોઇએ તેટલું ધન આપું.'

કાશ્યપે ધ્યાન ધરીને જોયું તો રાજાનું આયુષ્ય ક્ષીણ થયેલું લાગ્યું. એટલે એમને જીવાડવાનો પુરુષાર્થ કરવાને બદલે એ તક્ષક પાસેથી ઇચ્છાનુસાર ધન લઇને વિદાય થયો.

તક્ષકે પોતાના અનુચરોને એ બધું જણાવ્યું એટલે એ પણ રાજી થયા. રાજા પરીક્ષિતના મૃત્યુની ભૂમિકા તૈયાર થઇ ગઇ.

કાશ્યપને તક્ષકના મેળાપનો મહાભરતનો આ પ્રસંગ આપણને સૂચવે છે કે ધનની લિપ્સાથી પ્રેરિત થઇને માણસ શું નથી કરતો ? એ લિપ્સા આગળ એની વિદ્યા, સમજ, શક્તિ, ધીરજ, નિષ્ઠા, વીરતા તથા પવિત્રતા બધું જ ગૌણ બની જાય છે, ઝાંખુ પડી જાય છે. ધનની લાલસામાં અટવાયેલો માણસ પોતાના સાચા સ્વાર્થને ભૂલી જાય છે. બીજાના હિતને ભૂલી જાય છે ને કેટલીક વાર ના કરવાનાં કામ પણ કરી બેસે છે. સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં આવાં ઉદાહરણો અનેક બને છે. એ બધાં ભયસ્થાનોમાંથી માણસે બચવું જોઇએ, વ્યક્તિ, સમષ્ટિ કે રાષ્ટ્રના જીવનનો નાશ કરવા માગનારા અને એને માટેની પોતાની અનર્થકારક યોજનાઓની આગળ કોઇએ કાશ્યપની કર્તવ્યપરાયણતાને ફાવવા ના દેનારા તક્ષકોથી સૌએ ચેતતા રહેવાનું છે.

કાશ્યપે કર્તવ્યપરાયણ થઇને રાજાની પાસે જઇને ધારેલું કર્યું હોત તો ઇતિહાસ જુદો જ હોત. ધન તો એને રાજા પાસેથી પણ મળી રહેત, એનો યશ પણ અક્ષય રહેત, અને સમાજને લાભ થાત. તક્ષકના કરડવાથી શાપ તો સફળ થાત જ, પરન્તુ કાશ્યપ રાજાને ભલે થોડો વખતને માટે પણ પુનર્જીવિત કરત.

તેથી એનું ને એની વિદ્યાનું ગૌરવ વધત. પરંતુ એની લાલસાને લીધે એવું ના થઇ શક્યું.

                         *                         *                       *

કાશ્યપ ઋષિને એમની ઇચ્છાનુસાર ધન પ્રદાન કરીને, પાછા વાળીને, તક્ષક પોતાનું ધારેલું કામ કરવાના ઉદ્દેશથી ઉત્સાહિત થઇને હસ્તિનાપુરની દિશામાં ચાલી નીકળ્યો.

એને પોતાના કાર્યમાં સફળતા મેળવવા સંબંધી કોઇ પ્રકારનો સંદેહ ના રહ્યો.

રસ્તામાં એને સમાચાર મળ્યા કે રાજા પરીક્ષિતે એક વિશેષ પ્રકારના ભવનનું નિર્માણ કરાવીને એમાં રહેવાનું શરૂ કર્યું છે અને અનેક જાતના વૈદ્યો, ઔષધિશાસ્ત્રજ્ઞો, અસ્ત્ર-શસ્ત્રધારી અંગરક્ષકો તેમ જ સાપના વિષને ઉતારવામાં કુશળ ઉસ્તાદો આઠે પ્રહાર એમની રક્ષા કરે છે.

એવા સંપૂર્ણપણે સુરક્ષિત રાજાની પાસે પહોંચવાનું કામ દેખીતી રીતે મુશ્કેલ હોવા છતાં તક્ષક હિંમત ના હાર્યો, ન ડર્યો, અથવા ગભરાયો પણ નહિ. એણે શાંતિપૂર્વક વિચાર કરીને પોતાની અદભુત રહસ્યમયી માયાથી રાજાને સાંપડેલો શા સફળ કરવાની યોજના ઘડી કાઢી.

એ યોજનાનુસાર એણે એના અનુચર જેવા બીજા નાગને તપસ્વીઓના વેશમાં રાજાની પાસે મોકલ્યા. તક્ષકે એમને આદેશ આપ્યો કે તમે કોઇ પણ પ્રકારના ભય કે સંકોચ વિના મુનિઓનો વેશ ધારણ કરીને રાજાની પાસે જાવ અને એમને આશીર્વાદ રૂપે ફળ, ફુલ, કંદમૂળ અર્પણ કરો. પછી આગળનું કામ હું કરી લઇશ.

તક્ષકના અનુચર નાગ તપસ્વીઓનો વેશ ધારણ કરીને રાજા પરીક્ષિત પાસે જઇ પહોંચ્યા. એમણે રાજાને શુભાશીર્વાદ આપિને ફળફૂલ અર્પણ કર્યા.

એમની વિદાય થયા પછી એમના પ્રસાદરૂપે પ્રાપ્ત થયેલા એ ફળમાંથી થોડાક ફળ ખાવાની ઇચ્છા રાજાએ પોતાના ચતુરમંત્રીઓ પાસે પ્રગટ કરી.

મંત્રીઓની સંમતિથી રાજાએ ખાવા માટે એક ફળ લીધું.

એ ફળનું ભક્ષણ કરતાં એમની દૃષ્ટિ એની અંદરના એક કીડા પર પડી.

એ કીડો એકદમ નાનો હતો. એની આંખ કાળી હતી અને એના શરીરનો રંગ લાલ હતો.

એ કીડાને પકડીને રાજા પરીક્ષિતે પોતાના મંત્રીઓને કહ્યું કે, સૂર્યાસ્ત થઇ રહ્યો હોવાથી મને વિષનો ડર નથી લાગતો. આ કીડો જો તક્ષક બનીને મને કરડે તોપણ શું થયું ? એ મને કરડે તો ઋષિપુત્રે આપેલો શાપ સફળ થાય.

મંત્રીઓના મન પણ એ વખતે જાણે કે મોહિત થઇને  ભાન ભૂલ્યાં હોય તેમ એ કશું જ ના બોલ્યા.

વૈદ્યો તથા ઔષધિશાસ્ત્રજ્ઞો પણ મૂક રહ્યા.

ઘડીના છઠ્ઠાભાગમાં, અરે નિમીષમાત્રમાં, જે નાટક થઇ ગયું તેની કોઇને ખબર જ ના પડી.

કેવું વિચિત્ર નાટક ?

રાજા પરીક્ષિત જાણેકે ભાન જ ના રહ્યું હોય તેમ, એ કીડાને એમણે પોતાની ગરદન ઉપર મૂક્યો. એમને સમજાયું નહિ કે કીડાનું રૂપ તક્ષકે જ ધારણ કરેલું છે.અથવા કીડાના રૂપમાં બીજું કોઇ જ નથી પરન્તુ તક્ષક પોતે જ છે.

મંત્રીઓ અને અંગરક્ષકોને જો એની સહેજ પણ ગંધ આવી હોત તો કીડાને કદાચ ત્યાં જ કચડી નાખત. એ એને ગમે તે ઉપાયે પણ જીવતો ના જવા દેત. પરન્તુ એ પણ રાજાની આજુબાજુ એમનો વિચિત્ર અભિનય જોતાં મંત્રમુગ્ધ બનીને ઉદાસીનની જેમ ઊભા જ રહ્યા.

રાજાએ કીડાને પોતાની ગરદન પર મૂક્યો કે તરત જ કીડાના રૂપમાં રહેલા તક્ષકે પોતાનું મૂળસ્વરૂપ ધારણ કર્યું.

એને જોઇને બધા ચમક્યા.

પરન્તુ એથી વધારે કાંઇ પણ થઇ શકે એ પહેલાં તો તક્ષક વિકરાળ રૂપ ધારણ કરીને રાજાની ગરદનની આજુબાજુ વીંટળાઇ વળ્યો. શાપથી પ્રેરિત થયેલા એ ભયંકર તક્ષકે રાજાને દંશ દઇને પોતાનું કામ પૂરુ કર્યું.

મંત્રીઓ રડવા લાગ્યા.

બીજા કેટલાક ભયભીત બનીને છુપાવા અને નાસવા લાગ્યા.

થોડા વખતમાં તો લાલ કમળના રંગવાળા નાગરાજ તક્ષકને સૌએ આકાશમાર્ગથી ચાલ્યો જતો જોયો.

એના વિષના પ્રભાવથી સ્તંભના આધારે ટકી રહેલું એ સુંદર ભવન પણ સળગવા લાગ્યું. એટલે રાજાને છોડીને સૌ નાસવા માંડયાં.

રાજા નિષ્પ્રાણ બની ગયા.

પહેલાનાં ઋષિઓના આશીર્વાદ અથવા શાપ નિષ્ફળ નહોતા જતા એ તો સાચું જ. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે જે થવાનું છે તે કદી પણ કોટિ ઉપાયે પણ અન્યથા નથી થતું. માણસ ગમે તેટલી કોશિશ કરે કે સુરક્ષાની ગમે તેવી યોજનાઓ ઘડે તોપણ કાળ પોતાનું કામ કરવાનો જ. મૃત્યુ એને મહાત કરવાનું જ. એવું વિચારીને નમ્ર બનવાનું છે. જાગ્રત થવાનું છે. ને જીવનનું શ્રેય સાધવા કટિબદ્ધ બનીને અનેક જાતનાં દુષ્કર્મોમાંથી છૂટવાનું છે.

 

(From Shri Yogeshwarji's book entitled 'Mahabharat Na Moti')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer