|
પૂર્વના કર્મસંસ્કારો કદી છૂપા રહેતા નથી. સ્વાનુભવસંપન્ન સદબુદ્ધિસમૃદ્ધ,
સત્પુરુષો અને શાસ્ત્રો સર્વસંમતિથી જણાવે છે કે માનવના શેષ રહેલા
કર્મસંસ્કારો કદી મિથ્યા થતા નથી. તે ભોગવવા જ પડે છે ને પોતાનું
સારુંનરસું ફળ અવશ્ય આપે છે. સુખ પ્રદાન કરે છે કે દુઃખ. હર્ષ આપે કે
શોક. લાભ પહોંચાડે છે કે હાનિ. આશીર્વાદ બને છે અથવા અભિશાપરૂપ. અમૃત ધરે
છે કે વિષ. અભ્યુત્થાન કરાવે છે કે અધઃપતન. મિત્રતા કરાવે છે કે શત્રુતા.
પ્રેમ અનુભવાવે છે કે વેર. શાંતિ ચખાડે છે અથવા અશાંતિ આપે છે.
અનુકૂળતાને પ્રગટાવે છે કે પ્રતિકૂળતાને. માનવની ઇચ્છા હોય કે અનિચ્છા,
તૈયારી હોય કે પૂર્વતૈયારી ના હોય તો પણ,
એ એમનું કાર્ય દેશકાળના બાહ્ય બંધન કે અન્ય વ્યવધાન વિના કર્યે જ જાય છે.
પેલી લોકોક્તિમાં કહ્યા પ્રમાણે લાડી લંકાની ને વર ઘોઘાનો હોય તોપણ તેમનો
મેળાપ કરાવે છે,
તેમની વચ્ચે પરસ્પર પ્રેમભાવને પ્રગટાવે છે,
અને એમને સ્નેહના સનાતન શક્તિશાળી સૂત્રે બાંધીને એક બનાવે છે.
કણ્વમુનિના એકાંત આહલાદક આશ્રમમાં પ્રવેશનારા રાજા દુષ્યંતના અને
આશ્રમમાં રહેનારી મહર્ષિની પાલક પુત્રી શકુંતલાના શેષ રહેલા કર્મસંસ્કારો,
કોઇપણ પ્રકારની પૂર્વયોજના સિવાય આકસ્મિક રીતે મેળાપ કરાવનારા સાબિત થયા.
મહાભારતના આદિપર્વની અંતર્ગત આવેલા સંભવપર્વમાં એનું વર્ણન કરાયલું છે.
પોતાના મંત્રીઓને અને પુરોહિતને વિદાય આપીને રાજા દુષ્યંત આશ્રમમાં એકલો
જ આગળ વધ્યો. આશ્રમમાં એણે આત્મરતિ આત્મતૃપ્ત મહર્ષિ કણ્વને જોયા નહીં,
એટલે કોઇને બોલાવવા માટે બૂમ પાડી. એનો અવાજ સાંભળીને તપસ્વિનીના વેશવાળી,
સાક્ષાત્ લક્ષ્મીસરખા ચંદન સ્વરૂપવાળી,
શ્યામ આંખથી અલંકૃત,
શકુંતલાએ બહાર આવીને એનું આસન,
પાદ્ય,
અર્ઘ્યથી સમુચિત સ્વાગત કર્યું.
દુષ્યંતે એવા ઉમળકાભરેલા વિધિપૂર્વકના સ્નેહસત્કારથી આનંદ થયો.
દુષ્યંતે મહર્ષિ કણ્વને સમાચાર પૂછ્યા તો શકુંતલાએ સ્પષ્ટીકરણ કરતાં
કહ્યું કે મહર્ષિ વનમાં ફળ લેવા માટે ગયા છે અને થોડા વખતમાં જ પાછા
આવશે.
શકુંતલાને ઉત્તમ કુળવાળી,
શોભાયુક્ત સુમધુર સંમોહક હાસ્યવાળી,
તપ,
ઇન્દ્રિયસંયમ તથા સૌન્દર્ય અને યૌવનથી સભર જોઇને દુષ્યંતે એનો પરિચય
પૂછયો અને અસાધારણ રૂપગુણથી અલંકૃત હોવા છતાં એકાંત અરણ્યના આશ્રમમાં
વસવાનું કારણ જાણવા માગ્યું.
દુષ્યંતે એને જણાવ્યું કે તારા સુમધુર દર્શને મારા મનને મોહિત કર્યું છે
ને હરી લીધું છે.
રાજા દુષ્યંત નીકળેલો મૃગયા કરવા પરંતુ એ જ શકુંતલા
સરખી આશ્રમવાસિનીના સૌન્દર્યનો શિકાર બની ગયો.
કેટલી બધી સહજતાથી અને સરળતાપૂર્વક એણે એ વાતની રજૂઆત કરી !
એ શાને માટે આવેલો,
આશ્રમમાં પ્રવેશેલો,
ને શું કરી બેઠો ?
એનું નામ જ કર્મસંસ્કાર. શેષ રહેલા કર્મસંસ્કારો પોતાનું કાર્ય જ્ઞાત
અથવા અજ્ઞાત અવસ્થામાં પણ કરે જ. કરે છે. તેની પ્રતીતિ થઇ.
|