|
મહાભારતમાં આલેખાયેલું મહારાજા યયાતિનું ચરિત્ર સરસ, સારગર્ભિત,
સુપ્રસિદ્ધ છે.
એનું વિહંગાવલોકન કરી લઇએ.
નહુષપુત્ર યયાતિએ સમ્રાટ થઇને વરસો સુધી પૃથ્વીનું પાલન કરેલું. એણે અનેક
યજ્ઞો કરેલા.
તે સદા અત્યંત ભક્તિપૂર્વક પિતૃઓ અને દેવોની ઉપાસના કરતો. તે અજેય યયાતિ
સઘળી પ્રજા ઉપર દયા રાખતો. તેને દેવયાની તથા શર્મિષ્ઠા દ્વારા મહા
ધનુર્ધારી અને સર્વ ગુણથી યુક્ત એવા પુત્રો થયા. યદુ અને તુર્વસુ દેવયાની
દ્વારા જન્મ્યા અને શર્મિષ્ઠા દ્વારા દ્રુહ્યુ, અનુ અને પૂરુનો જન્મ થયો.
પૂર્વકાળમાં દેવો તથા દાનવો વચ્ચે ઐશ્વર્યની અભિવૃદ્ધિ માટે મહાભયંકર
યુદ્ધ થયેલું ત્યારે દેવોએ વિજય મેળવવાની મહેચ્છાથી પ્રેરાઇને યજ્ઞ માટે
અંગિરાના પુત્ર બૃહસ્પતિને પુરોહિતપદે પ્રતિષ્ઠિત કર્યા અને દાનવોએ
કવિપુત્ર શુક્રને પસંદ કર્યા.
બૃહસ્પતિ તથા શુક્ર આચાર્ય અને બ્રાહ્મણ હોવાં છતાં એકમેકની સ્પર્ધા
કરતા.
એ જમાનામાં ભારતમાં સંજીવની વિદ્યાની શોધ થયેલી અને દાનવોના ગુરુ
શુક્રાચાર્ય એ અલૌકિક વિદ્યામાં નિષ્ણાત મનાતા.
યુદ્ધમાં ભાગ લેનારા જે દાનવોનો દેવો નાશ કરતા તેમને દાનવો તરફથી ગુરુ
શુક્રાયાર્ય પોતાની સંજીવની વિદ્યાની સહાયતાથી સત્વર જીવતા કરતા. એવી
રીતે તે દાનવ યોદ્ધાઓ મરવા છતાં પણ મરતા નહિ અને ફરીવાર યુદ્ધ કરવા માટે
તૈયાર થતા.
યુદ્ધના મેદાનમાં દેવો પણ મરાતા, પરંતુ દેવોના ગુરુ બૃહસ્પતિ પાસે
મૃતસંજીવની વિદ્યા ના હોવાથી એ એમને શુક્રાચાર્ય જેમ પુનર્જીવિત નહોતા
કરી શકતા. એને લીધે દેવો ખૂબ જ ઉદ્વિગ્ન રહેતા.
એમણે વિચાર્યું ને નક્કી કર્યું કે શુક્રાચાર્ય પાસે પહોંચીને ગમે તેમ
કરીને સંજીવની વિદ્યાને શીખી લેવી જોઇએ.
પરંતુ શુક્રાચાર્ય પાસે પહોંચે કોણ
?
દેવોએ એને માટે પોતાના ગુરુ બૃહસ્પતિના સુપુત્ર કચની પસંદગી કરીને
દાનવોના રાજા વૃષપર્વાને ત્યાં રહેતા શુક્રાચાર્ય પાસે પહોંચવા પ્રાર્થના
કરી : "તમે જ શુક્રાચાર્ય પાસે પહોંચીને એ મહાન વિદ્યાને શીખી શકશો. તે
દેવોને નથી રક્ષતા;
દાનવોને રક્ષે છે. એથી અમે મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ તો અમે તમારા
શરણે આવ્યા છીએ તો અમને મદદ કરો. શુક્રાચાર્યને દેવયાની નામે પુત્રી છે.
તમે તેને શીલ, દાક્ષિણ્ય, માધુર્ય, સદાચાર અને ઇન્દ્રિયનિગ્રહથી પ્રસન્ન
કરશો એટલે સંજીવની વિદ્યાની પ્રાપ્તિમાં મદદ મળશે."
બૃહસ્પતિપુત્ર કચે લાગણીને અને માગણીને માન્ય રાખી.
એ કથા કહેવા માગે છે કે વિરોધી, પ્રતિસ્પર્ધી કે શત્રુ પાસે પણ કોઇ પણ
વિદ્યા હોય તો તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો. ગમે તેમ કરીને પોતાનો
સ્વાર્થ સાધવો ને પોતાનું સંરક્ષણ કરવું. કચની પેઠે પોતાના સમાજના લાભ
માટે તૈયાર રહેવું અને એને માટે કોશિશ કરતાં કે ગમે તેવું બલિદાન આપતાં
અચકાવું નહીં. સમાજની સમુન્નતિના કલ્યાણકાર્યમાં સદા ઉપયોગી બનવું. તેને
માટે સ્વસ્થ ચિત્તે શાંતિપૂર્વક યોજના બનાવવી અને તે યોજનાને છેવટ સુધી
વળગી રહેવું.
|