|
ભૂતમાત્રના કલ્યાણકાર્યમાં સદાય રત રાજા પ્રતીપે ગૌરવવંતા ગંગાકિનારે
રહીને વરસો સુધી જપનો આધાર લેતાં તપ કર્યું.
તપના સમય દરમિયાન એકવાર અતિશય આકર્ષક, સૌન્દર્યવતી, સદગુણોથી સમલંકૃત,
સુકુમારી જલપ્રવાહમાંથી બહાર આવી.
એનું નામ ગંગા.
જલપ્રવાહમાંથી બહાર આવીને ગંગા રાજા પ્રતીપના જમણા સાથળ પર બેસી ગઇ.
વેદાધ્યયન કરી રહેલા રાજા પ્રતીપે આશ્ચર્યચકિત થઇને તે કલ્યાણમયીને
પોતાના મનોરથની અભિવ્યક્તિ કરવા કહ્યું તો ગંગાએ જણાવ્યું કે, હું તમારી
ભક્ત છું અને તમારી કામના કરું છું માટે મારો સ્વીકાર કરો.
ગંગાસરખી રૂપરૂપના અંબાર જેવી પરમ
સૌન્દર્યમયી સ્ત્રી સામેથી પોતાને સ્વીકારવાનો પ્રસ્તાવ મૂકે તોપણ કોઇ
એનો અસ્વીકાર કરે એવું બને
?
હા. એવું જ બન્યું. રાજા પ્રતીપે સંપૂર્ણ સ્વસ્થતાસહિત શાંતિપૂર્વક
જણાવ્યું કે હું પરસ્ત્રીગમન નથી કરતો. પરસ્ત્રીને માતા બરાબર માનું છું.
મારું એવું ધર્મવ્રત છે.
ગંગાએ સ્પષ્ટીકરણ કર્યું કે હું પરસ્ત્રી નથી, દિવ્ય કન્યા છું, ને તમને
જ સાચા દિલથી ચાહું છું, માટે મારો સ્વીકાર કરો.
પરંતુ પ્રતીપનું ચિત્ત ચળ્યું નહીં. એણે જણાવ્યું કે તું મારા જમણા સાથળ
પર બેઠી હોવાથી હું તારો સ્વીકાર તારી ઇચ્છા પ્રમાણે નહીં કરી શકું. જમણા
સાથળ પર સંતાનનો તથા પુત્રવધૂઓનો અધિકાર હોય છે. કામિની માટે તો ડાબું
સાથળ જ સુરક્ષિત રખાયેલું છે. માટે તું મારી પુત્રવધૂ બન. હું તને મારા
પુત્ર માટે પસંદ કરું છું.
ગંગા રાજા પ્રતીપની પુત્રવધૂ બનવા તૈયાર થઇ પરંતુ બોલી કે મારી એક શરત
છે. એ શરતનું પાલન કરાશે તો જ હું તમારી પુત્રવધૂ તરીકે રહી શકીશ. હું જે
કાંઇ કરું તે કર્મોનો તમારા પુત્રે કશો વિચાર કરવો નહીં અને તે કર્મોમાં
કશી ડખલગીરી ના કરવી.
રાજાએ તે શરતને માન્ય રાખી એટલે ગંગા અંતર્ધાન બની ગઇ.
પ્રતીપ રાજાના આદર્શ નિર્મળ જીવનચરિત્રનો પ્રતિઘોષ આ નાનકડા પ્રસંગમાં
ખૂબ જ પ્રાણવાન અને વેધક રીતે પડ્યો છે. એ પ્રતિઘોષ પ્રેરક અને આનંદદાયક
છે. ગંગા સરખી સુંદરી પોતાના ખોળામાં આવીને બેઠી ને વરવા માટે તૈયાર થઇ
તોપણ રાજા પ્રતીપે અચલ રહીને પોતાની સિદ્ધાંતપ્રિયતાને છોડી નહીં. એની
સદબુદ્ધિ સુંદરીની સંમોહિનીથી ચળી નહીં. એને શરીરનો મોહ સતાવતો હોત તો
તોવું ના બનત.
જેનું મનોબળ મજબૂત છે તેની પાસે સર્વ કાંઇ છે.
જેનું મનોબળ કમજોર છે તેની પાસે બીજું બધું હોય તો પણ મહત્વનું કશું જ
નથી.
રાજા પ્રતીપને કાળક્રમે મહાક્ષિષ નામે પુત્ર થયો. રાજા શાંત થઇ રહેલા
વંશવિસ્તારને ચાલુ રાખવા માટે નિમિત્તરૂપ બન્યો હોવાથી તેનું નામ શાંતનુ
પણ કહેવાયું.
પરિપકવાવસ્થા પર પહોંચતાં પ્રતીપે તેનો રાજ્યાભિષેક કરીને વનગમન કર્યું.
|