|
ધૃતરાષ્ટ્ર, પાંડુ તથા વિદુરના જન્મથી સર્વત્ર સુખશાંતિ સમૃદ્ધિની નવી
લહર ફરી વળી.
કુરુઓ, કુરુમંગાલ દેશ તથા કુરુક્ષેત્ર ત્રણે સમુન્નતિને પામ્યાં.
ભૂમિ ધાન્યવતી બની અને ધાન્ય રસકસવાળાં બન્યાં. વૃક્ષો ફૂલ તથા ફળવાળાં
થયાં.
એ ત્રણે પુણ્યાત્માઓના જન્મને સમસ્ત પ્રકૃતિએ જાણે મંગલમય મહોત્સવ કરીને
પરમપ્રસન્ન બનીને ખૂબ જ કૃતજ્ઞતાપૂર્વક વધાવી લીધો.
વરસાદ યથાસમય વરસવા લાગ્યો. પશુપક્ષી આનંદમગ્ન બન્યાં. શૂરવીર, વિદ્વાન
તથા સંત સુખી થયા. રાજ્યમાં ક્યાંય ચોર નહોતા દેખાતા. કોઇ અનાચારી નહોતા.
કોઇને અધર્મમાં અભિરુચિ નહોતી દેખાતી.
પ્રજા પરસ્પર પ્રીતિવાળી, સત્યપરાયણ, યજ્ઞશીલ તથા ધર્મવાન હતી. કામ,
ક્રોધ, લોભાદિ વિચારોથી મુક્ત હતી. એ ધર્માનુસાર પવિત્ર પ્રાણવાન
પ્રવૃત્તિ કરતી.
કુરુઓએ સમૃદ્ધ કરેલા તે રમણીય પાવન પ્રદેશમાં કોઇ કૃપણ નહોતું. કોઇ
સ્ત્રી વૈધવ્યને પામતી નહીં.
તે દેશ મહાપરાક્રમી ભીષ્મથી સારી પેઠે સુરક્ષિત થયેલો. યજ્ઞસ્થંભોથી
ચિત્રિત તથા રમણીય બનેલો. રાષ્ટ્રમાં ભીષ્મે પ્રારંભેલું અને
પ્રવર્તાયેલું ધર્મચક્ર ચાલી રહેલું.
ત્રણે કુમારોને જાતકર્માદિ સંસ્કારક્રિયાઓ કરવામાં આવી ત્યારે સર્વત્ર
આનંદ આનંદ છવાઇ ગયો. દાન આપો અને ભોગ ભોગવો એવા ઉદગારો ચારે તરફ ફરી
વળ્યા.
સંસ્કારસંપન્ન, વ્રત તેમજ અધ્યયનપરાયણ, શ્રમ તથા વ્યાયામકુશળ ત્રણે
બંધુઓએ યૌવનમાં પ્રવેશ કર્યો. એમણે વેદમાં, ધનુર્વેદમાં, ગદાયુદ્ધમાં,
ઢાલ-તલવારમાં, ગજવિદ્યામાં અને નીતિશાસ્ત્રમાં પ્રવીણતા પ્રાપ્ત કરી.
ઇતિહાસ, પુરાણાદિમાં નિપુણ બનીને વેદવેદાંગની પટુતા મેળવી.
પાંડુ ધનુર્વિદ્યામાં સૌથી ઉત્તમ કે પારંગત હતો, ધૃતરાષ્ટ્ર સૌથી વધારે
વીર્યવાન, અને વિદુર સૌથી અધિક ધર્મપરાયણ તથા પરમ તત્વજ્ઞ.
ધૃતરાષ્ટ્ર જન્માંધ હોવાથી ને વિદુર દાસીપુત્ર હોવાથી પાંડુને રાજગાદીને
માટે યોગ્ય ગણીને રાજ્યનો અધીશ્વર બનાવવામાં આવ્યો.
એ ઉલ્લેખ પરથી સ્પષ્ટ થાય છે કે વિદુર બીજી રીતે યોગ્ય અને ઉત્તમ હોવાં
છતાં દાસીપુત્ર કે શૂદ્ર હોવાથી રાજ્યાધિકારથી વંચિત રહ્યો. એ ઘટનામાં એ
વખતની સામાજિક પરિસ્થિતિનો પડઘો પડેલો છે. એક દાસી દ્વારા વિદુરનો જન્મ
થયો એ શું સૂચવે છે
?
એ જ કે કાદવમાંથી કમળ થાય તેમ મહામાનવો કોઇને પણ નિમિત્ત બનાવીને પ્રગટી
શકે. અંધકારના ઓળા વચ્ચેથી ચંદ્ર જાગી શકે. વરસાદના ઘોર વાદળની વચ્ચે
ઇન્દ્રધનુની સૃષ્ટિ થઇ શકે.
|