|
કૌરવોને અને પાંડવોને શિષ્ય તરીકે સ્વીકાર્યા પછી દ્રોણાચાર્યે એમને
ધનુર્વિદ્યાનું અને અલૌકિક શસ્ત્રાસ્ત્રોનું શિક્ષણ આપવા માંડયું.
પોતાના અસાધારણ અમોઘ અનુભવના આધાર પર એમણે એમને તાલીમ આપવા માંડી.
હસ્તિનાપુરનો નિવાસ અને પરમપ્રતાપી ભીષ્મ સરખા સત્પુરુષનો સમાગમ એમને
સારુ સંપૂર્ણપણે શ્રેયસ્કર થઇ પડ્યો.
એમને લીધે કૌરવ-પાંડવોને અનેરો લાભ થવા લાગ્યો. એમનો જીવનપ્રવાહ પલટાયો.
પરંતુ હસ્તિનાપુરના અસાધારણ સુખસમૃદ્ધિભર્યા,
સંપત્તિછલેલા,
જીવનને સાર્થક કરવાની શક્યતાવાળા,
પરમ જાજ્વલ્યમાન જીવનમાં પણ એ ભૂતકાળના કટુ અનુભવપ્રસંગનું વિસ્મરણ ના
કરી શક્યા.
એ પીડાજનક પ્રતિકૂળ પ્રસંગને એ વારંવાર વાગોળવા લાગ્યા. રાજા દ્રુપદ
દ્વારા કરવામાં આવેલા પોતાના અસહ્ય અપમાનનો પ્રસંગ.
એને દિનપ્રતિદિન તાજો રાખીને અને અવનવો બનાવીને એમણે દ્રુપદ પ્રત્યેના
પ્રતિશોધભાવને વધારેલો કે બળવાન બનાવેલો. યજ્ઞકુંડની અગ્નિજ્વાળામાં ઘીની
આહુતિ પડે તેમ.
દ્રુપદના દુર્વ્યવહારનો બદલો લેવાની લાગણીએ એમના અંતઃકરણમાં જોરપકડેલું.
એમના શબ્દકોશમાં ક્ષમા નામનો શબ્દ જાણે લખાયેલો જ નહીં.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્ એ પરંપરાગત પ્રચલિત સુપ્રસિદ્ધ સૂત્રનો એમને મન જાણે
કે કશો અર્થ જ નહોતો. એ સૂત્ર એમને માટે નિરર્થક બની ગયેલું.
દ્રુપદે મિત્ર તરીકે મદદ કરવાને બદલે,
મદદનો મનોરથ લઇને મળ્યા ત્યારે,
પોતાની ઘોર અતિઘોર અવહેલના કરી એ પ્રસંગ એમના પ્રાણને પાર વિનાની પીડા
પહોંચાડી રહેલો.
એ પીડાને શાંત કરવાનો એમણે સંકલ્પ કરેલો. એટલે તો કૌરવો અને પાંડવોને
એકાંતમાં બેસાડીને એમણે એકવાર જણાવ્યું કે મેં જે કરવા ધાર્યું છે તે
મારા મનમાં ઘોળાયા કરે છે. તમારે સૌએ શસ્ત્રાસ્ત્ર વિદ્યાને શીખીને મારું
તે કાર્ય પૂર્ણ કરવાનું છે. દ્રુપદને કોઇપણ પ્રકારની દયા વિના દંડ
દેવાનું કાર્ય. તે કાર્ય પૂરું થશે ત્યારે જ મને શાંતિ થશે.
દ્રોણાચાર્યના શબ્દોને સાંભળીને સઘળા કૌરવશિષ્યો શાંત રહ્યા પરંતુ
અર્જુને એમના કાર્યને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લીધી.
એ પ્રતિજ્ઞાથી દ્રોણાચાર્ય પ્રસન્ન થયા અને અર્જુનને ભેટી આનંદમાં અશ્રુ
સારવા લાગ્યા.
ગુરુ શિષ્યની અંદર પ્રતિશોધ ભાવ જગાવવા અને દૃઢાવવાને બદલે દયા,
પ્રેમ તથા ક્ષમાના દિવ્ય ભાવોને પોષે છે ને વધારે છે. પરંતુ દ્રોણાચાર્ય
એવા સદગુરુ ન હતા,
ધનુર્વિદ્યાના ગુરુ હતા. જીવનમાં બીજી ભૌતિક સ્થૂળ વિદ્યાઓની અને
સુખોપભોગની સાધનસામગ્રી કે સંપત્તિની સાથે સાથે આધ્યાત્મિકતાની અભિરુચિ
અને અભિવૃદ્ધિ પણ હોવી જોઇએ. તો જ જીવન આદર્શ અને અનુકરણીય બની શકે. એવું
જીવન જ પોતાને ને બીજાને મંગલ માર્ગદર્શન ધરે. એવા જ્યોતિર્મય જીવનનો
મહામંત્ર વેર નહિ પણ પ્રેમ,
ભયને બદલે નિર્ભયતા,
હોય.
|