|
કાળની ગતિ અતિશય ગહન છે.
એ ગતિને પ્રમાથિ, મહા બળવાન, દૃઢ પવનની ગતિ સાથે સરખાવીએ કે બીજા કોઇક
પદાર્થની ગતિ સાથે પરંતુ એ ગતિ હોય છે અતિશય અનિર્વચનીય, અકલ્પનીય અને
વેગવાળી એમાં સંદેહ નથી.
દિવસ પછી મહિના, મહિના પછી વરસ, કાળ પોતાનું કાર્ય અબાધિત રીતે કર્યે જ
જાય છે.
દ્રુપદના ઐતિહાસિક શકવર્તી પરાજ્યના પ્રસિદ્ધ પ્રસંગને એક વરસ વીતી ગયું
એટલે પાંડવોની સદભાગ્યશ્રી વળી પાછી ચમકી ઊઠી. એમને લૌકિક રીતે એક વિશેષ
લાભ થયો.
યુધિષ્ઠિરની ધીરતા, સ્થિરતા, સહનશીલતા, મૃદુતા, સાત્વિકતા, સરળતા,
દયાભાવના તથા સહૃદયતાને લક્ષમાં લઇને ધૃતરાષ્ટ્રે એમનો યુવરાજપદે અભિષેક
કર્યો.
યુધિષ્ઠિરે સ્વલ્પ સમયમાં પોતાના શીલ, સદવ્યવહાર તથા સેવાભાવથી પોતાના
પિતા પાંડુના નામને પણ પાછળ પાડી દીધું અને વિશેષ ઉજ્જવળ કર્યું.
ભીમ બળરામ પાસેથી ખડગયુદ્ધનું અને રથયુદ્ધનું સતત તેમજ વિશેષ શિક્ષણ
મેળવવા લાગ્યો.
અર્જુન ધનુર્વિદ્યામાં ને લક્ષ્યવધમાં કુશળ થયો. અસ્ત્રવિદ્યાના ક્ષેત્રે
અજોડ બન્યો.
સહદેવે દ્રોણાચાર્ય પાસેથી સફળ નીતિના શિક્ષણને પ્રાપ્ત કર્યું.
નકુલ ચિત્રયોધીના બિરદને પામીને અતિરથી તરીકે પ્રખ્યાતિ પામ્યો.
એ દિવસો દરમિયાન દ્રોણાચાર્યે અર્જુન પાસે ગુરુદક્ષિણા માગી.
અર્જુને ગુરુદક્ષિણા આપવાની તૈયારી બતાવી એટલે દ્રોણાચાર્યે જણાવ્યું કે
ગુરુદક્ષિણામાં એટલું માગું છું કે કોઇ વાર યુદ્ધમાં હું તારા વિરોધી
તરીકે વર્તું કે પ્રતિસ્પર્ધીના પક્ષમાં જઉં તો તારે મારી સાથે યુદ્ધ
કરવું.
અર્જુને એ માગણીને માન્ય રાખીને દ્રોણાચાર્યને એવું વચન આપ્યું.
દ્રોણાચાર્યે અર્જુન પાસેથી માગેલી ગુરુદક્ષિણાનો એ પ્રસંગ સૂચક છે.
દ્રોણાચાર્યે એવી ગુરુદક્ષિણાની માગણી શા માટે કરી
?
શું એમની વિરુદ્ધ અલૌકિક આંતરદૃષ્ટિને લીધે એમને કોઇ ભાવિ યુદ્ધનો અને
એમાં અર્જુનના પ્રતિપક્ષી બનવાનો કોઇ અણસાર આવેલો
?
કે પછી એમનાથી એવી માગણી આપોઆપ થયેલી
?
માનસશાસ્ત્રની દૃષ્ટિએ મૂલવીએ તો કહી શકાએ કે એમના આંતરમને ભાવિ
યુદ્ધપ્રસંગની શક્યતાનો પ્રતિઘોષ પાડયો. ગમે તેમ પણ ભવિષ્યમાં લડાનારા
કોઇક યુદ્ધમાં દ્રોણાચાર્ય અને અર્જુન, એટલે કે એક મહાન સિદ્ધહસ્ત અને
મહાન સુપાત્ર શિષ્ય એકમેકના શત્રુ બનીને વિપક્ષમાં રહી શકે એવી શક્યતા
ઊભી થઇ. કાળની લીલા અતિશય ગહન છે. એણે પોતાનો માર્ગ કર્યો. આગળનો રસ્તો
સરળ કર્યો. એટલે જ દ્રોણાચાર્યે એવું માગી શક્યા. નહિ તો અર્જુન પાસે
એવું માગત કે ભવિષ્યમાં કોઇ વાર યુદ્ધ થાય તો પણ આપણે એકમેકના વિરોધી કે
પ્રતિસ્પર્ધી તરીકે ના વર્તીએ ને વિપક્ષમાં રહીને ના લડીએ;
એવા યુદ્ધમાં બનતાં સુધી ભાગ જ ના લઇએ.
તો ભવિષ્યનું ઘટનાચક્ર જુદી જ દિશામાં કાર્ય કરત.
પરંતુ કાળની ગતિ કે લીલા અતિશય ગૂઢ હોય છે. એની પ્રતીતિ ગુરુદક્ષિણાના એ
પ્રસંગ પરથી સહેલાઇથી થઇ રહે છે.
|