|
કણિકે ધૃતરાષ્ટ્રને એક નાની સરખી કથા કહી સંભળાવી : "મહારાજ, વરસો પહેલાં
વનમાં નીતિશાસ્ત્રના સિદ્ધાંતોને જાણનારું એક શિયાળ રહેતું. એ
યુક્તિપ્રયુક્તિ દ્વારા પોતાના હેતુ સુદ્ધ કરવામાં કુશળ હતું. એ ચતુર
શિયાળ એના ચાર મિત્રો વાઘ, ઊંદર, ઘેટું તેમ જ નોળિયા સાથે વનમાં વાસ
કરતું.
એક વાર એ પાંચે મિત્રોએ વનમાં વિહાર કરતા એક બળવાન, યુવાન, હૃષ્ટપુષ્ટ
હરણને જોયું. એને મારવાની ઇચ્છા થઇ. પણ આક્રમણ કરીને મારવાનું મુશ્કેલ
લાગવાથી અંદરોઅંદર મંત્રણા કરી.
શિયાળે કહ્યું : "વાઘ, તેં આ હરણને મારવાના કેટલાય ઉપાયો કરી જોયા, પરંતુ
એ ચતુર, યુવાન અને દોડવામાં હોંશિયાર હોવાથી નથી પકડી શકાયું. એ જ્યારે
સૂતું હોય ત્યારે આપણો મિત્ર ઊંદર જો એના પગનું માંસ ખાઇ જાય તો એ નાસી
શકે નહિ. પછી તું એને સહેલાઇથી મારી શકે ને આપણે બધાં ભેગાં મળીને એનું
માંસ ખાઇ શકીએ."
શિયાળની સલાહ સૌને પસંદ પડી. એ સલાહ પ્રમાણે ઊંદરે સૌથી પહેલાં જઇને
હરણના પગનું માંસ ખાઇ લીધું. પછી વાઘે એને મારી નાખ્યું. હરણનો નાશ થયેલો
જોઇને સૌને આનંદ થયો. શિયાળને એની અસાધારણ બુદ્ધિશક્તિને માટે સૌએ
ધન્યવાદ આપ્યાં. શિયાળે સૌને સ્મિત કરીને કહ્યું કે, "તમે બધા ભોજન કરતાં
પહેલાં સ્નાન કરી આવો. તમે પાછા આવશો ત્યાં સુધી હું મૃગના મૃત શરીરની
ચોકી કરીશ."
સૌ નદીમાં નહાવા ગયા. મહાબળવાન વાઘ સ્નાનાદિથી નિવૃત થઇને સૌથી પહેલાં
પાછો આવ્યો ત્યારે શિયાળને ચિંતામગ્ન જોઇને એને પણ ચિંતા થઇ. એણે
ચિંતાનું કારણ પૂછયું.
"વીર વાઘ, ઉંદર હજુ હમણાં જ મને કહી ગયો કે વાઘને ધિક્કાર છે. મૃગને તો
મેં માર્યું છે. છતાં એ મારા બાહુબળના પરિણામરૂપે આજે પોતાનું પેટ ભરશે.
મિત્ર, ઉંદરનાં એવાં અહંકારયુક્ત વચન સાંભળ્યાં પછી મને તો માંસ ખાવાની
જરા પણ રુચિ નથી રહી."
વાઘે જણાવ્યું : "મિત્ર, ઊંદરના શબ્દોએ મારી આંખ ઉઘાડી નાખી છે. હું હવે
વનમાં વિહરનારાં પ્રાણીઓનું માંસ મારા બાહુબળથી જ એમનો શિકાર કરીને ખાધા
કરીશ." એટલું કહીને વાઘ ચાલ્યો ગયો.
ત્યાર પછી આવેલા ઊંદરને શિયાળે કહ્યું, "મિત્ર, તારું મંગલ હો. મને હમણાં
નોળિયાએ જણાવ્યું છે કે વાઘે આ મૃગને માર્યું હોવાથી એના દાંતનું ઝેર એના
માંસમાં ભળી ગયું છે એટલે એ માંસને હું નહીં ખાઉં. હું તો ઊંદર ખાઇને જ
પેટ ભરવાની ઇચ્છા રાખું છું. તું મારી ઇચ્છાનું અનુમોદન કર."
શિયાળની વાત સાંભળીને ઊંદર ડરી ગયો ને દરમાં પેસી ગયો. એટલામાં તો ઘેટું
આવ્યું. શિયાળે એને કહ્યું : "વાઘને તારા પર ગુસ્સો ચઢયો છે માટે અહીં
રહેવામાં તારું શ્રેય નથી. એ એની સ્ત્રી સાથે થોડીવારમાં આવી પહોંચશે.
માટે જેમ ઠીક લાગે તેમ કરી લે."
ભયનું માર્યું ઘેટું ત્યાંથી એ જ વખતે નાસી ગયું. છેલ્લે આવેલા નોળિયાને
જોઇને શિયાળ બોલ્યું : "મેં મારા બાહુબળથી વાઘ-ઘેટાં વગેરેને હરાવી નસાડી
મૂક્યા છે. મારી સાથે લડી, મને હરાવીને તું ચાહે તો માંસ ખાઇ શકે છે."
નોળિયાએ કહ્યું : "બળવાન વાઘ અને બુદ્ધિમાન ઊંદર પણ તારી આગળ હારી ગયા.
તો પછી મારો હિસાબ જ શો
?
" અને એ પણ પલાયન થઇ ગયો.
આ પ્રમાણે પોતાની અપ્રિતમ ચતુરાઇથી બીજા બધાંને નસાડી મૂકીને શિયાળે
મૃગના માંસનો સ્વાદ લીધો. કુરુનંદન, શિયાળની નીતિથી ચાલનાર રાજા
ઉત્તરોત્તર સુખી થાય છે. કાયરને ભય આપી, ને નીચ તથા સરખે સરખાને શક્તિ
બતાવીને પોતાનું કાર્ય સિદ્ધ કરવું જોઇએ. મહારાજ, સામ, દામ, દંડને ભેદનું
આ દૃષ્ટાંત મેં તમને સંક્ષેપમાં કહી સંભળાવ્યું.
મહાભારતનું એ દૃષ્ટાંત જરા અનોખું છે. મહાભારત કાળને વીત્યે આજે કેટલો
વખત વીતી ગયો છે. મહાભારતકાળનાં અને આજનાં મૂલ્યોમાં ફેર પણ પડયો છે. એ
દૃષ્ટિએ વિચારીએ તો ડગલે ને પગલે દગાફટકા, વિશ્વાસઘાત અને છેતરપિંડીની
પ્રથાનો આપણે પુરસ્કાર નહિ કરી શકીએ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જીવનની
તંદુરસ્તી અને સમૃદ્ધિ માટે એવી પ્રથા અત્યંત અમંગલ અથવા અનર્થકારક થઇ
પડશે. ધૃતરાષ્ટ્રની પેઠે આપણે બીજાનાં સુખશાંતિ, સમુન્નતિને સમૃદ્ધિ
જોઇને જલીશું નહિ, અને શિયાળ જેવા એકલપેટા પણ નહિ થઇએ. પરંતુ જે આપણી
સુખસમૃદ્ધિ જોઇને જલે છે અને શિયાળ જેવા સ્વાર્થી કે સર્વલક્ષી બનીને
આપણા વ્યક્તિગત, સમષ્ટિગત કે રાષ્ટ્રીય જીવનમાં અશાંતિની આગ સળગાવવા તેમજ
આપણા પર તરાપ મારીને આપણા હક્કના હિસ્સાને હડપી લેવા માગે છે, તેમના
પ્રત્યે ગાફેલ નહિ જ રહીએ. એટલું જ નહિ, એમને પરાસ્ત કરવા, એમને
નાકામિયાબ બનાવવા, બનતું બધું જ કરી છૂટીશું. એટલી ચતુરતા તો જોઇશે જ.
દેશમાં જ્યારે બાહ્ય અને આંતર આક્રમણ અથવા અવ્યવસ્થાના ઓળા ઊતર્યા હોય
ત્યારે મહાભારતની એ શિક્ષા ખાસ યાદ કરવા જેવી છે.
|