|
પાંડવો સાથે કેવો વ્યવહાર રાખવો જોઇએ એ સંબંધી પોતાના મંત્રી કણિકની સલાહ
લેવાની ધૃતરાષ્ટ્રને માટે કોઇ આવશ્યક્તા ન હતી. ધૃતરાષ્ટ્રને માટે પોતાની
નીતિનો નિર્ણય કરવાનું ને નીતિવિષયક યોજનાને ઘડવાનું કાર્ય કઠિન નહોતું.
પાંડવો કાંઇ એના જન્મજાત શત્રુ નહોતા કે કોઇએ ભૂલેચૂકે પણ એમનો ભય રાખવો
પડે અથવા એમના માટે કશી આશંકા સેવવી પડે. એમના દિનપ્રતિદિન વધતા જતા
પરાક્રમને પેખીને એણે પ્રસન્ન થવું જોઇતું હતું. એણે કૌરવોને તથા
પાંડવોને પોતાની બે આંખ બરાબર માનીને સમદૃષ્ટિપૂર્વક જોવા જોઇતા હતા. એને
બદલે કૌરવોને પોતાના માન્યા અને પાંડવોને પરાયા. કૌરવોના અભ્યુદયથી આનંદ
અનુભવ્યો અને પાંડવોના ઉત્કર્ષથી શોક. એટલે કોઇ પણ પ્રકારના વિશેષ
નોંધપાત્ર કારણ વિના હાથે કરીને અશાંતિ વહોરી લીધી.
મંત્રી કણિકે જે નીતિનો ઉપદેશ આપ્યો. એ નીતિ પોતાના કટ્ટર વિરોધી,
હિતશત્રુ કે દુશ્મનને લાગુ પડે તેવી વધારે હતી. તે નીતિનો અમલ પાંડવોના
સંબંધમાં કરવા જેવો નહોતો. ધૃતરાષ્ટ્રને માટે પાંડવો પ્રિયજનો અથવા
હિતેચ્છુઓ હતા. એ કદી પણ એનું અમંગલ નહોતા ઇચ્છતા. છતાં પણ ધૃતરાષ્ટ્રને
એમને માટે પૂર્વગ્રહયુક્ત ભેદભાવ તથા દુર્ભાવના હોવાથી એણે કણિકની
નીતિવિષયક સલાહ લીધી.
એ સલાહ એને માટે સુખદ બનવાને બદલે દુઃખદ બની.
બીજાને માટેનો દ્વેષભાવ સદા દુઃખ આપે છે ને પ્રેમભાવ સુખ.
જે અન્યના અભ્યુદયને ઇચ્છે છે અને અન્યના અભ્યુદયને અવલોકીને આનંદે છે કે
તે સુખી થાય છે. અન્યની ઉન્નતિને જોઇને જલે છે તે દુઃખી બને છે.
સુખ આપવાથી સુખ સાંપડે છે ને દુઃખી કરવાની ઇચ્છા, યોજના કે કોશિશ માનવને
પોતાને જ દુઃખી કરે છે.
એવી રીતે સુખી થવાનું કે દુઃખી બનવાનું માનવના પોતાના હાથમાં છે.
જેવી જેની ઇચ્છા ને જેવો જેનો પ્રયત્ન.
કણિકે રાજનીતિનો ઉપદેશ આપીને ઘેર જવા પ્રયાણ કર્યું, પરંતુ એ ઉપદેશનો
પ્રભાવ ધૃતરાષ્ટ્ર પર ખૂબ જ પ્રતિકૂળ પડયો. ધૃતરાષ્ટ્રનું અંતર અતિશય
શોકાતુર બની ગયું.
કણિકે કહેલી રાજનીતિને લક્ષમાં લઇને દુર્યોધન, કર્ણ અને શકુનિ ભેગા મળીને
પાંડવોને પીડા પહોંચાડવાના આશયથી પરસ્પર વિચાર વિનિમય કરવા લાગ્યા.
એમની વિવેકબુદ્ધિનો નાશ થયો હોવાથી અને એ પોતાના હિતાહિતનો યથાર્થ વિચાર
કરી શકે તેમ ના હોવાથી, એમણે એક અમંગલ યોજના બનાવી.
એ યોજનાનુસાર ધૃતરાષ્ટ્રની અનુમતિ મેળવીને એમણે કુંતીને પાંડવો સાથે બાળી
મૂકવાનો નિર્ણય કર્યો.
ધૃતરાષ્ટ્રે એ નિર્ણયને આવકાર્યો એના પરથી ધૃતરાષ્ટ્રની બુદ્ધિ કેટલી બધી
દીન અને હીન બનેલી તેની પ્રતીતિ થાય છે.
પરંતુ કુંતી સાથે પાંડવો એક અસાધારણ અમંગલમાંથી ઊગરી ગયા.
વિદુરે એમના પ્રત્યેના પ્રેમભાવથી પ્રેરાઇને એમને મહત્વની મહામૂલ્યવાન
મદદ કરી.
મહાભારતના એ વિષયક વર્ણનનું વિહંગાવલોકન કરવાનું રસપ્રદ થઇ પડશે.
ભીમ તથા અર્જુનને ખૂબ જ બળવાન અને અસ્ત્રશસ્ત્રવિદ્યાસિદ્ધ થયેલા જોઇને
દુર્યોધન બળવા લાગ્યો.
એમાં અધૂરામાં પૂરું જાણે કે બળતામાં ઘી હોમાતું હોય એમ હસ્તિનાપુરના
નગરજનો પાંડવોના પ્રતાપને સંપૂર્ણપણે સમજીને યુધિષ્ઠિરને રાજ્યગાદી મળે
તેવી ઇચ્છા કરવા લાગ્યા. પાંડુના વારસ તરીકે યુધિષ્ઠિરની યોગ્યતા એમને
સૌથી વધારે લાગી.
એ માહિતીને મેળવીને દુર્યોધનની પીડાનો પાર રહ્યો નહીં.
એણે ધૃતરાષ્ટ્ર સાથે વિચારવિનિમય કરીને પાંડવોને ગમે તેમ કરીને વારણાવત
નગરમાં ખસેડવાનો નિર્ણય કર્યો.
પાંડવો વારણાવત નગરની સુંદરતા તથા સમૃદ્ધિની પ્રશંસાને સાંભળીને ત્યાં
રહેવા જવા તૈયાર થયા.
ધૃતરાષ્ટ્રે એમને ત્યાં જવા માટે તૈયાર કર્યા.
ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય અને અન્ય સૌના શુભાશીર્વાદ મેળવીને એ
હસ્તિનાપુરની બહાર નીકળ્યા.
એમના એ પ્રયાણથી પ્રસન્ન થઇને દુર્યોધને મંત્રી પુરોચને બોલાવીને
જણાવ્યું કે તું મારો પરમસહાયક તથા વિશ્વાસપાત્ર હોવાથી તને ગુપ્ત અને
અગત્યનું કામ સોંપી રહ્યો છું. તું ખચ્ચર જોડેલા વાયુવેગી રથમાં બેસીને
વહેલી તકે વારણાવત નગરમાં જઇને એક સુંદર ભવનનું નિર્માણ કર. એ ભવનના
નિર્માણમાં શીઘ્ર સળગી ઊઠે એવા પદાર્થોનો ઉપયોગ કરજે. એની દીવાલો પર ઘી,
તેલ, ચરબી, લાખ જેવાં દ્રવ્યોનો માટીમાં મેળવીને લેપ કરાવજે. એની ચારે
તરફ ઘી, તેલ, શણ, લાખ તથા લાકડાં નંખાવજે. એમાં અલૌકિક આનંદદાયક આસનો,
વાહનો, શય્યાઓ તૈયાર કરાવીને પાંડવોને રહેવા માટે બોલાવજે. વારણાવતના
વાસીઓને તથા પાંડવોને એના ગુપ્ત રહસ્યની અને એની ભયંકરતાની પૂર્વમાહિતી
ના મળી જાય તેનું ખાસ ધ્યાન રાખજે. પાંડવો એમાં નિશ્ચિંતતાપૂર્વક સૂતા
હોય ત્યારે એને રાતે આગ લગાડજે. એથી કુંતી સાથે પાંડવો બળીને નાશ પામશે.
કોઇ આપણને કશો દોષ નહીં દે. આપણા પરાક્રમની કોઇને ગંધ પણ નહીં આવે.
પુરોચન દુર્યોધન જેવો જ દુર્બુદ્ધિયુક્ત હોવાથી વારણાવત જઇને એ આદેશનું
પાલન કરવા તૈયાર થયો.
પાંડવો પ્રયાણ માટે તૈયાર થયા ત્યારે હસ્તિનાપુરના સમજુ લોકોને શંકા થઇ.
એ ધૃતરાષ્ટ્રના દુર્વિચાર, દુર્ભાવ અને પાંડવો પ્રત્યેના દુર્વ્યવહારની
ટીકા કરીને વારણાવત જવા તૈયાર થયા, પરંતુ યુધિષ્ઠિરે એમને સમજાવીને
હસ્તિનાપુરમાં જ રોકી રાખ્યા.
|