Mahabharat - India's greatest epic

महाभारत

A timeless creation of Sage Ved Vyas

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

Mahabharat

Principal stories of Mahabharat in Gujarati

  Mahabharata - Greates epic of India  
< BACK

Adi Parva

NEXT >

52. Meeting with Sage Vyasa

 

When Ghatotkach became young, Pandavas along with Bhima resumed their journey into the forest. They met Sage Vyasa on their way. Vyasa, revealed that he knew ahead of time that Kauravas would not let Pandavas stay peacefully in Hastinapur. However Vyasa advised Pandavas to remain calm and watch the situation for time being. He pacified Pandavas and advised them to go to nearby town and stay at a Brahmin's place. He further predicted that a day would come when Yudhisthir would rule over the kingdom of Hastinapur. Vyasa promised to meet them again and left the place.

 

52. વ્યાસનો મેળાપ

 

દિવસો પછી દિવસો. મહિના પછી મહિના, વરસો પછી વરસો.

કાળચક્ર એમ અબાધિત રીતે પોતાનું કામ કરતું રહ્યું.

પાંડવો પોતાના જ્યોતિર્મય જીવનના અવનવા અનુભવો કરતા રહ્યા.

ઘટોત્કચે એમની અનુમતિ મેળવીને ઉત્તર દિશા તરફ ચાલતાં પહેલાં જણાવ્યું કે પૂર્વકાળમાં રાવણ અને ઇન્દ્રજિત પરમ સમર્થ યોદ્ધાઓ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે તેમ શરીરબળમાં તેમના જેવો બનીને હું પણ પ્રસિદ્ધિ પામીશ. સંસારમાં કોઇ મારી બરાબરી કરનારો યોદ્ધો નહિ હોય. મારા પિતાને જ્યારે પણ મારી આવશ્યક્તા લાગશે ત્યારે હું તેમની પાસે આવીને, મારાથી બનતી બધી જ મદદ કરવા માટે, વિના વિલંબ ઊભો રહીશ.

એ મહામહિમાવાન મહારથીનું સર્જન અસીમ સામર્થ્યસંપન્ન મનાતા કર્ણનો યુદ્ધમેદાનમાં મુકાબલો કરવા અને એની લોકોત્તર શક્તિને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવેલું.

પાંડવોએ પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો. એક વનમાંથી બીજા વનમાં પ્રવેશતા, મૃગયા દ્વારા મૃગોને હણતા, એ આગળ વધ્યા.

એમણે જટાઓ વધારેલી અને વલ્કલ તથા મૃગચર્મનાં વસ્ત્રો પહેરેલાં. તપસ્વીઓનો વેશ ધારણ કરેલો.

એક વાર એમને માર્ગમાં એમના પિતામહ કૃષ્ણદ્વૈપાયન વ્યાસનો મંગલ મેળાપ થયો. માતા કુંતીએ તથા પાંડવોએ એમને પ્રેમપૂર્વક પરમ પૂજ્યભાવે પ્રણામ કર્યા.

સત્પુરુષનો સ્વર્ગીય સમાગમ કદી નિષ્ફળ નથી જતો. એ એક અથવા બીજી રીતે આશીર્વાદરૂપ, અમોલ, ઉપયોગી ઠરે છે. ચિરસ્મરણીય બને છે.

મહર્ષિ વ્યાસે પાંડવોને પોતાની અપરિમિત પ્રગલ્લભ પ્રજ્ઞાશક્તિના પરિપાકરૂપે જણાવ્યું કે તમારી સાથે કૌરવો તથા ધૃતરાષ્ટ્ર સારો વ્યવહાર નહિ કરે તેની મને પ્રથમથી જ માહિતી હતી. તમને અત્યાર સુધી પડેલું કષ્ટ તમારા હિત માટે છે. એનો શોક કે ખેદ ના કરશો. તમારે માટે પરમ સ્નેહ હોવાથી જ હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. અમારા જેવા માનવો તમારા જેવા દીન તથા બાળકો પર સવિશેષ પ્રેમ રાખે છે. અહીં બાજુમાં આવેલા સુંદર શાંત કોલાહલરહિત નગરમાં તમે ગુપ્તવેશે વાસ કરજો. ત્યાં હું તમને ફરી વાર મળીશ.

મહર્ષિ વ્યાસે એમને ધીરજ તથા હિંમત આપીને એકચક્રા નગરીમાં આવીને આશ્વાસન આપ્યું. એમણે કહ્યું કે યુધિષ્ઠિર સઘળા રાજાઓને વશ કરશે. ભીમ અને અર્જુનની મદદથી સમુદ્રરૂપી મેખલાવાળી પૃથ્વીને જીતશે ને ભોગવશે. તારા અને માદ્રીના મહારથી પુત્રો સ્વરાજ્યમાં સુખપૂર્વક પ્રસન્ન મનથી વિહાર કરશે; રાજસૂય અને અશ્વમેઘ જેવા અતિ ભારે દક્ષિણાવાળા યજ્ઞોનો આશ્રય લેશે; સ્નેહીસંબંધીઓને ભોગ, ઐશ્વર્ય, સંપત્તિ, સુખ આપશે; અને એમના પૂર્વજોના રાજ્યને ભોગવશે.

એમણે એમના માટે એક બ્રાહ્મણના ઘરમાં રહેવાની વ્યવસ્થા કરીને જણાવ્યું કે એક મહિના સુધી મારી પ્રતીક્ષા કરજો અને દેશકાળને વિચારીને શાંતિથી રહેજો. હું તમને જરૂર મળીશ.

એ પછી વિદાય થયા. પાંડવોને માટે એમનો સમાગમ સુખદ અને પ્રેરક થઇ પડ્યો.

સત્પુરુષોનો સમાગમ હોય છે જ પરમપ્રેરક, સુખદ, શક્તિસંચારક એ નવજીવનનું દાન દે છે અને સર્વ સ્થળે, સર્વાવસ્થામાં તારક બને છે.

 

(From Shri Yogeshwarji's book entitled 'Mahabharat Na Moti')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer