|
ધૃષ્ટદ્યુમ્ન તથા દ્રૌપદીના જન્મની કથાને સાંભળીને પાંડવોને ચિત્રવિચિત્ર
લાગણીનો અનુભવ થયો.
ખાસ કરીને ધૃષ્ટદ્યુમ્નની જન્મકથાને સાંભળીને.
ધૃષ્ટદ્યુમ્નનો જન્મ દ્રોણાચાર્યના નાશ માટે છે;
દ્રુપદ દ્વારા એ પ્રયોજનની પૂર્તિ માટે જ યજ્ઞ કરાવવામાં આવેલો;
એ યજ્ઞકાર્ય સંપૂર્ણપણે સફળ થયું;
અને એના અંતે અલૌકિક આકાશવાણી થઇ;
એ અલૌકિક આકાશવાણીએ ધૃષ્ટદ્યુમ્નના જન્મનું રહસ્ય સ્પષ્ટપણે શંકારહિત
રીતે કહી સંભળાવ્યું;
એ બધું જાણીને એમને અતિશય દુઃખ થયું.
સવિશેષ તો એટલા માટે કે એમને દ્રોણાચાર્ય પ્રત્યે પુષ્કળ પ્રેમ હતો.
દ્રોણાચાર્ય એમના અસ્ત્રવિદ્યાગુરુ બનેલા.
એમના તથા દ્રુપદના મિત્રભાવને અને અમિત્રભાવને, દ્રુપદ સાથેના યુદ્ધને
અને દ્રુપદના પરાભાવને એ જાણતા હતા.
એ પરાભાવના પરિણામે દ્રુપદના મનમાં અસાધારણ પ્રતિશોધભાવ પેદા થાય, અને એ
અતિપ્રખર પ્રતિશોધભાવ દ્રોણાચાર્યના નાશ માટેની યોજના બનાવીને એ યોજનામાં
આંશિક રીતે સફળ થાય, તેની માહિતી મેળવીને એમનાં હૈયાં હચમચી ઊઠયાં. એ
અતિશય અસ્વસ્થ બની ગયા.
પરંતુ હવે એનો કોઇ ઉપાય નહોતો રહ્યો.
વાત ધાર્યા કરતાં ખૂબ જ આગળ વધી ગયેલી.
હવે તો આકાશવાણી અસત્ય ઠરે તો જ કશુંક અન્યથા થઇ શકે. ઘટનાચક્ર ધાર્યા કે
માન્યા કરતાં જુદી રીતે ચાલવા લાગે.
એ એક જ આકાંક્ષા શેષ રહી.
એકચક્રા નગરીમાં નિવાસ કરતાં કરતાં સુદીર્ઘ સમય પસાર થઇ ગયો. જે જે
સુરમ્ય વનો તેમજ ઉપવનો હતાં તે પણ સંતોષકારક રીતે જોવાઇ ગયાં. પાંડવોને
ભિક્ષા પણ આવશ્યકતાનુસાર બરાબર નહોતી મળતી. એટલે માતા કુંતીના કથનાનુસાર
પાંડવોએ સર્વસંમતિથી પાંચાલદેશમાં પહોંચવાનો નિર્ણય કર્યો. ત્યાં એ વખતે
સુકાલ પ્રવર્તતો હતો એ પણ સારું હતું.
પાંડવોએ પાંચાલ દેશ માટે પ્રસ્થાન કર્યું તે પહેલાં, પોતાના પૂર્વવચનને
અનુસરીને, એમને મહર્ષિ વ્યાસ મળ્યા.
કુંતી તથા પાંડવો એમનાં દર્શન-સમાગમથી પ્રસન્નતા પામ્યાં.
મહર્ષિ વ્યાસે એમને પાંચાલ દેશમાં પહોંચીને પાંચાલ નગરમાં રહેવાનો ને
સર્વપ્રકારે સુખશાંતિને પામવાનો શુભાશીર્વાદ આપ્યો.
તેમને ત્યાં કૃષ્ણા કે દ્રૌપદી મળશે એવું પણ જણાવ્યું.
પાંડવો એમની પ્રેરણા પ્રમાણે પાંચાલદેશમાં જવા માટે તૈયાર થયા.
જે વખતે જે થવાનું હોય છે તે થઇને જ રહે છે, માનવ તો નિમિત્ત માત્ર છે, એ
લોકોક્તિને સાચી થવાનો સમય શરૂ થયેલો તે આગળ ચાલ્યો.
|