|
એટલામાં કૃષ્ણ અને બળદેવ કુંભારની કર્મશાળામાં પાંડવો પાસે પહોંચ્યા. એ
પાંડવોને સ્વયંવરના અને એ પછીના યુદ્ધપ્રસંગ પરથી ઓળખી ગયેલા.
પાંડવોને એમણે એમના લાક્ષાગૃહમાંથી થયેલા બચાવ માટે તથા લોકોત્તર દિવ્ય
પરાક્રમ માટે અભિનંદન આપીને એમની વિદાય લીધી.
દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન સ્વયંવર પછી કુંભારગૃહે જવા નીકળેલા ભીમ અને
અર્જુનની પાછળ કુતૂહલથી પ્રેરાઇને પહોંચેલો. એ કોઇની પણ નજરે ના પડાય
તેમ, સંપૂર્ણ સાવચેત રહીને, કુંભારના ગૃહમાં પાંડવોની પાછળ છુપાઇને
બેઠેલો.
પાંડવોની પરિસ્થિતિ જોઇને તેને ખૂબ જ નવાઇ લાગી. વિધિની વિચિત્રતાને
વિચારીને દુઃખ પણ થયું.
તે પાછો દ્રુપદ પાસે પહોંચ્યો ત્યારે દ્રુપદની પાંડવોને માટેની
જિજ્ઞાસાના જવાબમાં એણે ભીમ અને અર્જુનની કુંભારગૃહમાં પ્રવેશ્યાની,
ત્યાં પાસે પાસે જ બેઠેલા ત્રણ યુવાનો તથા તેમની જનનીને જોયાની,
દ્રૌપદીને ત્યાં જ મૂકીને ચાર પાંડવોના ભિક્ષા માટે બહાર જવાની, પાછાં
ફરતાં ભોજન કર્યાની, શયન કરવાની, અને પરસ્પરના ક્ષત્રિયોચિત વાર્તાલાપની
વાત કહી સંભળાવી, અને એ બધા લાક્ષાગૃહમાંથી ઊગરેલા કુંતી સાથેના પાંડવો જ
છે એવું અનુમાન પણ રજૂ કર્યું.
એ સમાચારથી પ્રસન્ન બનેલા દ્રુપદે પાંડવોની વધારે તપાસ કરવા તથા સાચી,
વિશ્વાસનીય, વિશેષ માહિતી મેળવવા માટે પોતાના પુરોહિતને મોકલ્યો.
પુરોહિતે યુધિષ્ઠિરને તેમની જાતિ વગેરે જણાવવાની પ્રાર્થના કરી અને
જણાવ્યું કે પાંડુરાજા અને દ્રુપદ રાજામાં ગાઢ મિત્રતા હોવાથી કૃષ્ણાને
પાંડુરાજાની પુત્રવધૂ બનાવવાનો રાજા દ્રુપદનો મનોરથ હતો. વળી દ્રુપદ એવું
ઇચ્છે છે કે વિશાળ દીર્ઘબાહુથી યુક્ત અર્જુન જો મારી કન્યાને ધર્મપૂર્વક
પ્રાપ્ત કરી લે તો તેથી મારું મહાન હિત જ સધાશે.
યુધિષ્ઠિરે ભીમસેનને પુરોહિતનું પાદપૂજન કરવાની આજ્ઞા કરી. એમણે
પુરોહિતને જણાવ્યું કે દ્રુપદરાજાએ પોતાની કન્યાને કાજે ક્ષાત્રધર્મને
અનુસરીને કરેલા સ્વયંવરમાં લક્ષ્યભેદ કરીને મેળવવામાં આવેલી કન્યા માટે
ચિંતા કરવાની આવશ્યકતા નથી. ધનુષને પ્રત્યંચા ચઢાવવાનું કાર્ય કોઇ દુર્બળ
મનુષ્યથી ના થઇ શકે એ દેખીતું જ છે. અસ્ત્રવિદ્યામાં નિપુણ ના હોય અને
અધમ કુળમાં જન્મેલો હોય તે લક્ષ્યને પૃથ્વી પર પાડી શકે નહીં. એ
લક્ષ્યભેદ કરનારને હરાવવાની શક્તિ આજે સંસારમાં કોઇની નથી.
એટલામાં દ્રુપદને ત્યાં ભોજન તૈયાર હોવાના સમાચાર આવવાથી, દ્રૌપદીનું
પાણિગ્રહણ કરવાનું ત્યાં જ સૂચવાયાથી, પાંડવો દ્રુપદે મોકલેલા
મહામૂલ્યવાન રથોમાં બેસીને દ્રુપદના રાજભવનમાં ભોજન માટે ગયા. કુંતી તથા
દ્રૌપદીએ પણ બીજા રથમાં બેસીને પ્રયાણ કર્યું.
ત્યાં પાંડવોના વ્યવહાર પરથી તે રાજકુમાર જ હોવા જોઇએ એવું દ્રુપદાદિએ
નિશ્ચયાત્મક રીતે માની લીધું.
દ્રુપદના આગ્રહને માન આપીને યુધિષ્ઠિરે સર્વે પાંડવોની સાચી ઓળખાણ આપી
એથી દ્રુપદની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં. એને પોતાનું જીવન ધન્ય
લાગ્યું. એણે અર્જુનને પોતાના કુળધર્મને અનુસરીને દ્રોપદીનું પાણિગ્રહણ
કરવા કહ્યું.
યુધિષ્ઠિરે જણાવ્યું કે દ્રૌપદી અમારા સૌની પત્ની થશે. મારી માતાએ પણ
એવું જ સૂચવ્યું છે. હું અને ભીમ હજુ અવિવાહિત છીએ. તારી રત્નસમાન
કન્યાને અર્જુને જીતી હોવાં છતાં, રત્નોનો ઉપભોગ સાથે મળીને કરવાની અમારી
આકાંક્ષા છે.
દ્રુપદે એ શબ્દોને સાંભળીને સત્વર સ્પષ્ટીકરણ કર્યું કે એક પુરુષ ઘણી
સ્ત્રીઓ કરી શકે એવું તો કહેલું છે, પરંતુ એક સ્ત્રી અનેક પતિ કરે એવું
તો કોઇ કાળે ક્યાંય સાંભળ્યું નથી. એવી બુદ્ધિ શા માટે થાય છે
?
એવો શિષ્ટાચાર તથા શ્રુતિથી વિરુદ્ધ વ્યવહાર કરવાનું ઉચિત નથી લાગતું.
દ્રુપદની
એટલી બધી સ્પષ્ટતા પછી પણ યુધિષ્ઠિરે જણાવ્યું કે ધર્મની ગતિ ખૂબ જ
સૂક્ષ્મ હોય છે. અમારી અંદર એને જાણવાનું સામર્થ્ય નથી. પૂર્વકાળના
પુરુષો જે માર્ગે ગયા છે તે માર્ગે અમે પણ જઇશું. મારી વાણીથી કદી પણ
અસત્યોચ્ચારણ નથી થયું. મારી મતિ અધર્મ તરફ નથી જતી. મારી માતા એમ જ કહે
છે અને મારો પણ એવો મનોરથ છે. એ નિશ્ચિત
ધર્મ છે. માટે ચિંતા કે શંકા ના કરતાં એનું આચરણ કરવાનું છે.
|