પાંડવો હસ્તિનાપુરમાં
અર્જુનનું દ્રૌપદી સાથે લગ્ન થયું છે એવું નિહાળીને દુર્યોધનને અવનવી લાગણી થઇ આવી. એ પોતાના પ્રિય ભાઇઓ, અશ્વત્થામા, કર્ણ, શકુનિ, કૃપાચાર્ય સાથે પાંચાલનગરથી મ્લાન મુખે, નિરાશ અને હર્ષરહિત હૈયે, દીનહીનની પેઠે પાછો ફર્યો.
અતિશય શરમિંદા બનેલા દુઃશાસને એને જણાવ્યું કે અર્જુને બ્રાહ્મણના સ્વરૂપમાં સ્વયંવરમાં ભાગ લીધો ના હોત તો દ્રૌપદીને કદાપિ ના મેળવી હોત. સ્વયંવરમાં ઉપસ્થિત રહીને પ્રખર પરાક્રમ બતાવવા છતાં પણ કોઇ એને અર્જુન તરીકે ઓળખી શક્યું નહીં એ કાંઇ જેવું તેવું આશ્ચર્ય ના કહેવાય. એનું મુખ્ય કારણ અર્જુનનું અને પાંડવોનું દૈવ છે. મને તો લાગે છે કે દૈવ જ મહત્વનું છે ને પુરુષાર્થ તો ગૌણ, નિરર્થક કે નકામો છે. આપણે એમને હસ્તિનાપુરમાંથી એક અથવા બીજા કારણે બહાર મોકલ્યા અને પુરોચનને આગળ કરીને અનેક પ્રકારની ગુપ્ત યુક્તિપ્રયુક્તિપૂર્વક લાક્ષાગૃહમાં બાળી નાખવાની યોજના બનાવી, પરંતુ આપણી એ યોજના નિષ્ફળ ગઇ. નહિ તો પરિસ્થિતિ તદ્દન જુદી હોત. મને તો એમનું પ્રારબ્ધ જ જોર કરતું લાગે છે એટલે એ દિનપ્રતિદિન બળવાન બનતા જાય છે. હવે તો સ્વયંવરમાં વિજયી બનવાથી એમનો દ્રુપદ સાથે અતૂટ સ્નેહસંબંધ સ્થપાઇ ગયો. વિધિની કેવી બલિહારી છે ? જે પાંડવોએ દ્રોણાચાર્યના આદેશથી રાજા દ્રુપદનો ઘોર પરાજય કરેલો તે જ પાંડવોને તે જ દ્રુપદે સ્વયંવરને યોજીને પોતાના પ્રેમથી પુરસ્કૃત કર્યા છે. દ્રુપદને જાણે કે પોતાની જીવનની તાજેતરની ઘટનાનું વિસ્મરણ થયું.
એવી રીતે વિવિધ વિચારોમાં ડૂબેલા ચિંતાતુર કૌરવોએ હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો.
અર્જુને સ્વયંવરમાં લક્ષ્યવેધ કરીને દ્રૌપદીને મેળવી છે તથા ધૃતરાષ્ટ્રપુત્રો સ્વયંવરમાં હારી, હતાશ તથા ગર્વરહિત બનીને હસ્તિનાપુરમાં વીલા વદને પાછા ફર્યા છે એવા સમાચારને સાંભળીને વિદુરની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં.
એ પાંડવોના સાચા સ્વજન તથા પરમહિતચિંતક હતા. પાંડવોના અભ્યુદયને એ પોતાનો અભ્યુદય સમજતા.
એમણે ધૃતરાષ્ટ્રની પાસે પહોંચીને પોતાની પ્રાકૃતિક પ્રસન્નતાને પ્રગટ કરતાં કહ્યું કે આપણું સર્વોત્તમ સદભાગ્ય છે કે કુરુઓનો અભ્યુદય થાય છે !
વિદુરના એ શબ્દોને સાંભળીને વિસ્મય પામેલા રાજા ધૃતરાષ્ટ્રે એમાં પ્રસન્નતાપૂર્વક પૂરણી પૂરતાં જણાવ્યું કે સદભાગ્ય છે, સાચેસાચ સદભાગ્ય છે.
પ્રજ્ઞાચક્ષુ રાજા ધૃતરાષ્ટ્રે એવું અનુમાન કરેલું કે તેનો મોટો પુત્ર દુર્યોધન દ્રૌપદી સાથે પરણ્યો છે એટલે એણે એના અંતરાત્માના અસાધારણ આનંદની અભિવ્યક્તિ કરતાં દુર્યોધનને બોલાવીને કહેવા માંડયું કે દ્રૌપદીને અનેક પ્રકારનાં અલૌકિક આભૂષણો આપીને મારી પાસે લઇ આવો.
ત્યારે વિદુરે એમને સાચી માહિતી પૂરી પાડી, ને કહ્યું કે દ્રૌપદી સ્વયંવરમાં પોતાના પરાક્રમને પ્રદર્શાવનાર અર્જુનને વરી છે તથા પાંડવો કુશળ છે. એમને વિશાળ સૈન્યબળવાળા અનેક અવનવા મિત્રો અને સંબંધીઓ પણ પ્રાપ્ત થયા છે.
એટલા સ્પષ્ટીકરણ પછી પણ ધૃતરાષ્ટ્રે સંતોષને વ્યક્ત કરતાં જણાવ્યું કે પાંડવો મને પાંડુ કરતાં પણ વધારે પ્રિય છે. એ અતિશય કુશળ, વીર, અને મિત્રોવાળા છે. એમના અનેક સંબંધીઓ પણ ખૂબ જ શક્તિશાળી છે. દ્રુપદને એનાં સ્વજનો સાથે મિત્ર તરીકે મેળવીને સંપત્તિ વગરના કોઇપણ રાજાને ઐશ્વર્યવાન થવાની આકાંક્ષા થાય તેમ છે.
ધૃતરાષ્ટ્રના શબ્દોને સાંભળીને સંતોષ પામેલા વિદુરે ઉદગાર કાઢયા કે તમારી બુદ્ધિ સદાને માટે આવી રહેજો.
વિદુરે ધૃતરાષ્ટ્રની વિદાય લીધી એટલે દુર્યોધન તથા કર્ણ ત્યાં જઇને બોલ્યા કે તમે આ પરિસ્થિતિને આપણો અભ્યુદય સમજો છો એ અતિશય આશ્ચર્ય છે. શત્રુના ઉદયને તમે તમારો ઉદય માનો છો ? તમે વિદુરની આગળ પાંડવોની પ્રશંસા કરી. તમારે તો એમની શક્તિનો નાશ થાય એવો પ્રયત્ન કરવો જોઇએ તેને બદલે તમે તેમને મદદ મળે એવી ભળતી જ પ્રવૃત્તિ કરી રહ્યા છો. આપણે સૌ સાથે મળીને એવી યોજના બનાવીએ કે પાંડવો આપણો નાશ ના કરે.
ધૃતરાષ્ટ્રે જણાવ્યું કે મારી માન્યતા પણ એવી જ છે, તોપણ વિદુરને મારા મનોભાવોની સાચી માહિતી ના મળે એટલા માટે મેં એની આગળ પાંડવોની પ્રશંસા કરી. હું મારા તથા તમારા સ્વાર્થને સંપૂર્ણપણે અને સારી રીતે સમજી શકું છું. એ સ્વાર્થની સિદ્ધિને માટે મેં શરૂઆતથી જ સંકલ્પ કરેલો છે.
દુર્યોધનને ને કર્ણને સંતોષ થયો.
દુર્યોધને ધૃતરાષ્ટ્રને પાંડવો સાથે સફળતાપૂર્વક કામ લેવાની સોનેરી સલાહ આપતાં જણાવ્યું કે આપણે આપણા પરમવિશ્વાસુ, ચતુર, ગુપ્ત બ્રાહ્મણો દ્વારા કુંતી તથા માદ્રીના પુત્રોમાં ભેદ પડાવીએ. દ્રુપદને, તેના પુત્રોને તથા મંત્રીઓને પુષ્કળ ધન આપીને લલચાવીએ. તેથી તે પાંડવોને છોડી દેશે અથવા પોતાની પાસે રાખવાનું પસંદ કરશે. પાંડવોને કહેવામાં આવે કે એમનું હસ્તિનાપુરમાં રહેવાનું હાનિકારક છે તો એમની અંદર વિરોધ થાય અને એ અહીં ના આવે. કેટલાક માણસો દ્વારા દ્રૌપદીને ઉશ્કેરવામાં આવે. દ્રૌપદીના સંબંધમાં પાંડવોમાં ફાટફૂટ પડાવવામાં આવે તો તે દ્રૌપદીને છોડી દે. ભીમ સૌમાં વધારે શક્તિશાળી હોવાથી આપણા ગુપ્તચરોની મદદથી તેનું જ મૃત્યું નિપજાવીએ. ભીમના આશ્રય અને સામર્થ્યને લીધે જ યુધિષ્ઠિર નિશ્ચિંત બનીને ફરે છે. એનું કાસળ કાઢી નાખવામાં આવતાં બીજા બધાનો ઉત્સાહ મરી જશે, એમનું ઓજસ અદૃશ્ય થશે. એ રાજ્યને મેળવવાનો પ્રયત્ન કે મનોરથ નહિ કરે. ભીમ વિનાના અર્જુનની વિસાત કશી જ નહિ હોય. ભીમ વિનાના નિર્બળ પાંડવો આપણે શરણે આવીને આપણી આજ્ઞા પ્રમાણે વર્તવાનું પસંદ કરશે ત્યારે આપણે નીતિશાસ્ત્રને અનુસરીને એમનો અંત આણીશું. એકેક કુંતીપુત્રને સ્વરૂપવતી સર્વશ્રેષ્ઠ સુંદરીઓ દ્વારા સંમોહિત કરીએ તોપણ દ્રૌપદીનું મન ઉપરામ થાય. એમને અહીં લાવવા માટે કર્ણને મોકલી શકાય, અને એ અહીં આવે પછી એમનો નાશ થાય. એ બધામાંથી કોઇ પણ ઉપાય અજમાવવો જોઇએ.
દુર્યોધનના એ વિચારો એના દુષ્ટતાથી ભરેલા મનની સાક્ષી પૂરતા હતા.
એ પાંડવો પ્રત્યે પ્રેમભાવ રાખીને સંપ તથા સહયોગથી શાંતિપૂર્વક રહેવા માગતો જ ન હતો. નહિ તો એનું કામ સરળ બન્યું હોત.
| < Prev | Next > |
|---|
