|
કેટલીક વાર ઉત્સાહમાં આવીને કોઇ વ્રત કે નિયમ લેવામાં આવે છે ત્યારે ખબર
પણ નથી હોતી કે એ વ્રત કે નિયમપાલન સંબંધમાં થોડા વખતમાં જ કસોટીમાં અથવા
આકરી અગ્નિપરીક્ષામાં મુકાવું પડશે.
અગ્નિપરીક્ષા આવે છે ત્યારે સામાન્ય માનવો એનાથી ડરી અને ડગી જાય છે.
મજબૂત મનોબળવાળા માનવો મક્કમ રહે છે.
એ પોતાના વ્રત કે નિયમપાલનને બનતી બધી જ રીતે વળગી રહે છે અને
આવશ્યકતાનુસાર નાનો કે મોટો ભોગ આપવા તૈયાર રહે છે.
દેવર્ષિ નારદના સૂચવ્યા પ્રમાણે પાંડવોએ નિયમપાલનની વ્યવસ્થા તો કરી
પરંતુ થોડા વખતમાં એમને માટે જાણે કે અસાધારણ કસોટીકાળ આવી પહોંચ્યો.
ખાસ કરીને અર્જુન માટે.
પાંડવો માતા કુંતી તથા દ્રૌપદી સાથે ખૂબ જ સુખશાંતિપૂર્વક પોતાના જીવનના
દિવસોને નિર્ગમન કરતા હતા ત્યારે એક પ્રસંગ બન્યો.
કેટલાક ચોરો કોઇ બ્રાહ્મણની ગાયો ચોરી ગયા.
બ્રાહ્મણને તે દેખીને સ્વાભાવિક રીતે જ ખૂબ દુઃખ થયું. ક્રોધ પણ થયો.
એણે ખાંડવપ્રસ્થમાં પહોંચીને પાંડવોને ફરિયાદ કરીને મદદ માટે પ્રાર્થના
કરી.
જે રાજા કરરૂપી ખલિભાગને ગ્રહણ કરીને પ્રજાનું રક્ષણ કરતો નથી એ આદર્શ
કહેવાતો નથી. એ પોતાના કર્તવ્યને ચૂકે છે. એવું જણાવીને એણે એકદમ અસહાય
બનીને રડવા માંડયું.
એની પ્રાર્થનાને અને એના પોકારો સાંભળીને અર્જુને એને મદદ કરવાની તત્પરતા
દર્શાવી, પરંતુ એમાં એક મુશ્કેલી આવી. પાંડવો જ્યાં પોતાનાં શસ્ત્રોનો
રાખતા ત્યાં આયુધશાળામાં યુધિષ્ઠિર દ્રૌપદી સાથે વિરાજેલા હોવાથી અર્જુન
ત્યાં નિશ્ચિત નિયમાનુસાર પ્રવેશી શકે તેમ નહોતો. એક તરફ બ્રાહ્મણનો
પોતાની સહાયતા સારુ પોકાર અને બીજી બાજુએ સેવા. અર્જુને નિર્ણય કર્યો કે
બ્રાહ્મણની સેવા કરવી જોઇએ;
તેને માટે ભલે નિયમભંગ થાય ને ગમે તેવું કષ્ટ ભોગવવું પડે. સેવાસહાયતા ના
કરવાથી અમને દોષ લાગશે, અધર્મ થશે, અને કરવાથી અમારી અને યુધિષ્ઠિરની
પ્રતિષ્ઠામાં વધારો થશે અને ધર્મપાલનનો પવિત્ર યશ મળશે. નિયમપાલનના ભંગથી
શરત પ્રમાણે ભલે વનવાસ મળે પરંતુ સેવાધર્મનો ત્યાગ ના કરવો જોઇએ એવું
માનીને એણે આયુધશાળામાં પ્રવેશીને યુધિષ્ઠિરની સંમતિથી શસ્ત્રોને લઇને
રથમાં બેસીને ચોરોનો સામનો કરીને સઘળી ગાયો બ્રાહ્મણને સુપ્રત કરી.
નિયમભંગના દંડરૂપે અર્જુન વનમાં જવા માટે તૈયાર થયો ત્યારે યુધિષ્ઠિરે
દુઃખી થઇને એને એવા દંડને ના ભોગવવા માટે સમજાવ્યો, પરંતુ અર્જુને એમની
વાતને ના માની. નિયમ એટલે નિયમ. એનું પાલન સર્વાવસ્થામાં કરાવું જ જોઇએ.
અર્જુન યુધિષ્ઠિરની અનુજ્ઞા લઇને બાર વરસ સુધી વનમાં વસવા માટે વિદાય
થયો.
સૌએ એને ભારે હૈયે વિદાય આપી.
|