|
અર્જુને નિયમભંગના દંડને ભોગવવા માટે વનવાસને સ્વીકારીને વનમાં પ્રયાણ
કર્યું.
એ પ્રસંગ સૂચવે છે કે પોતાના નિયમનું પરિપાલન સઘળા સંજોગોમાં સર્વપ્રકારે
ઉત્તમ અને શ્રેયસ્કર હોવા છતાં પણ, કોઇવાર કોઇની સેવાનો અવસર ઉપસ્થિત થાય
ત્યારે સેવાનું મહત્વ સમજીને તૈયાર રહેવું જોઇએ. એમ કરતાં કોઇ કષ્ટ આવે
તો તે કષ્ટને સહર્ષ ભોગવવું જોઇએ.
કષ્ટ કરતાં કર્તવ્ય કે સેવાનું મહત્વ વધારે છે, એ ભૂલવાનું નથી.
અર્જુને નગરને છોડીને વનને માટે શાંતિપૂર્વક પ્રયાણ કર્યું ત્યારે સૌનાં
દિલ દ્રવી ગયાં. અંતર અતિશય લાગણીવશ થયાં. વ્યગ્ર બન્યા.
સૌ અર્જુનની પ્રશંસા કરવા લાગ્યા.
વેદમાં પારંગત થયેલા વિદ્વાન બ્રાહ્મણો એની પાછળ ચાલ્યા.
ભગવદભક્તો, સૂતો, પૌરાણિકો, કથકો, શ્રમણો, વનવાસીઓ, દિવ્ય આખ્યાનોને
સંભળાવનારા દ્વિજો અને અન્ય અનેક સાથીઓ સાથે અર્જુન ચાલવા માંડયો.
જાણે કે મરુતોની સાથે ઇન્દ્ર ચાલ્યો.
વિવિધ વનો અને ઉપવનો, સરોવરો, સરિતાઓ, સાગરો, સામાન્ય પ્રદેશો તથા
તીર્થસ્થાનોમાંથી પ્રસન્નતાપૂર્વક પસાર થતાં એ ગંગાદ્વાર પાસે પહોંચી
ગયો.
ત્યાં એણે આનંદપૂર્વક નિવાસ કર્યો.
એકવાર એ ગંગાસ્નાન કરી રહેલો ત્યારે એને મહારાજ નાગરાજની કન્યા ઉલૂપીનો
મેળાપ થયો.
એ એને જોતાં ને મળતાંવેત કામવશ બની ગઇ. એને ગંગાના ઊંડાણમાં આવેલા પોતાના
અતિરમણીય પરમ આહલાદક રસમય રાજભવનમાં લઇ ગઇ.
અર્જુને ત્યાં કૌરવ્યનાગના ભવનમાં અગ્નિને અવલોકીને એમાં આહુતિ આપી. એથી
અગ્નિદેવ પ્રસન્ન થયા.
ઉલૂપીએ અર્જુનને પોતાની ઓળખાણ આપીને પોતાની સવિશેષ શક્તિથી અર્જુનના
વનવાસના કારણને અને જીવનના રહસ્યને કહી બતાવ્યું. ઉલૂપીની એ શક્તિ
વિસ્મયજનક હતી. વિશેષ વિસ્મયજનક વસ્તુ તો એ હતી કે એને અર્જુનને માટે
આકર્ષણ થયું. એણે અર્જુન પાસે પોતાના પ્રેમને સ્વીકારવાની માગણી કરી.
સ્ત્રીપુરુષના નિસર્ગસહજ સ્વાભાવિક આકર્ષણનો વિચાર કરતાં એવી માગણી કાંઇ
વિસ્મયજનક ના કહેવાય.
અર્જુને બાર વરસના બ્રહ્મચર્યવ્રતના નિયમની વાત કરી તો પણ ઉલૂપીએ પોતાને
શાંતિ આપવી એ પણ ધર્મ છે, અને એના પાલનથી નિયમને દોષ નહિ લાગે એવું
જણાવ્યું.
અર્જુન એ રાતે ઉલૂપી સાથે નાગભવનમાં રહ્યો. સવારે છૂટા પડતી વખતે ઉલૂપીએ
એને વરદાન આપ્યું કે તમે જળમાં બધે અજય રહેશો, અને સઘળાં જળચરો પર
પ્રભુત્વ મેળવશો. તમને સઘળાં જળચરો સર્વપ્રકારે સાનુકૂળ રહેશે.
એ મેળાપ અર્જુનને માટે આશીર્વાદરૂપ થયો. ઉલૂપીને માટે પણ.
|