|
અર્જુન અને સુભદ્રાનો વિવાહ થયો.
એ પછી ત્યાં વરસ સુધી રહીને અર્જુને શેષ સમય પુષ્કરરાજમાં પસાર કર્યો.
બાર વર્ષ પૂરાં થતાં એ ખાંડવપ્રસ્થમાં પ્રવેશીને એ રાજા યુધિષ્ઠિર તથા
દ્રૌપદી પાસે પહોંચ્યો.
દ્રૌપદીએ એને જણાવ્યું કે પેલી યાદવપુત્રી સુભદ્રા જ્યાં હોય ત્યાં જ
જાવ. ભારાને સારી પેઠે બાંધ્યો હોય તોપણ એના પર બીજો બંધ બાંધીએ તો તે
પહેલો બંધ ઢીલો પડી જાય છે. એવું જ સ્નેહના સંબંધમાં સમજવાનું છે.
અર્જુને એની અનેક પ્રકારે ક્ષમા માગીને એને આશ્વાસન આપ્યું.
તટસ્થ રીતે વાંચતાં વિચારતાં એવું લાગે કે અર્જુને જે વ્રત લઇને વનવાસ
આરંભેલો એ બ્રહ્મચર્યવ્રતને એણે જોઇએ તેવું ને તેટલું મહત્વ ના આપ્યું.
ઉલૂપીએ શરીરસુખની માગણી કરી તો એ ડગી ગયો. એમાં અધર્મ નથી એવી દલીલને કોઇ
પણ પ્રકારના પ્રતિવાદ વગર સાચી માની બેઠો. જરૂરી વિવેક ના કરી શક્યો.
ચિત્રાંગદા સાથે પણ બાર વરસનો વનવાસસમય સમાપ્ત થતાં પહેલાં જ લગ્ન કર્યુ.
વળી દ્વારકામાં સુભદ્રા સાથે સ્નેહસંબંધ અને વિવાહ કર્યો. એ બધા
પ્રસંગોને જોતાં એવું લાગે કે અર્જુનનું મન ચંચળ હતું--વધારે પડતું ચંચળ,
તો એવી લાગણીને અસ્થાને અથવા અસત્ય ના કહિ શકાય. એ જમાનામાં એકથી વધારે
વિવાહની પ્રથા પ્રવર્તમાન હતી એવું માનીએ તોપણ અર્જુને વનવાસ દરમિયાન
સંયમથી રહેવાનું હતું. એ વાતને યાદ રાખનારો, દ્રૌપદી સાથે લગ્ન કરી
ચૂકેલો અર્જુન મક્કમ મનવાળો હોય તો આટલા બધા બીજા લગ્નસંબંધો કરે ખરો
?
શ્રીકૃષ્ણે એને એના નિયમ કે વ્રતનું સ્મરણ નથી કરાવ્યું એ આશ્ચર્યકારક
લાગે છે.
દ્રૌપદીનો વિરોધ એના પવિત્ર પ્રેમનો સૂચક તથા સહેતુક લાગે છે. અર્જુને
એની ક્ષમા માગી એ સારું ચિહન કહેવાય.
°
અર્જુને સુભદ્રાને ગોપિકાના વેશ સાથે અંતઃપુરમાં મોકલી.
સુભદ્રા કુંતીને પગે લાગી એટલે કુંતીએ એને આશીર્વાદ આપ્યા.
એ પછી સુભદ્રાએ દ્રૌપદી પાસે પહોંચીને, પ્રણામ કરીને જણાવ્યું કે હું
તમારી દાસી છું.
દ્રૌપદીએ પણ એને અંતઃકરણના આશીર્વાદ આપ્યા.
અર્જુનને ઇન્દ્રપ્રસ્થમાં સુરક્ષિત રીતે પહોંચેલો જાણીને કૃષ્ણ બળરામ
સાથે ત્યાં પહોંચી ગયા.
એમની સાથે અસંખ્ય યોદ્ધાઓ અને મહારથીઓ હતાં.
યુધિષ્ઠિરે સહદેવ તથા નકુલને એમના સત્કાર માટે સામા મોકલ્યા.
પરમપ્રતાપી યશસ્વી શ્રીકૃષ્ણે વરપક્ષવાળાને કન્યા પક્ષ તરફથી ઉત્તમ ધન
આપ્યું. સુભદ્રાને પણ સ્વજનોએ મોકલેલું અઢળક દ્રવ્ય પ્રદાન કર્યું.
શ્રીકૃષ્ણે સોનાથી જડેલા ઘૂઘરીઓવાળી ઝૂલોથી શોભતા ચાર ચાર ઘોડાવાળા હજાર
રથો અને સંપૂર્ણપણે કેળવાયેલા સારથિઓ આપ્યા.
મથુરાપ્રદેશમાં પેદા થયેલી, પુષ્કળ દૂધ આપનારી, પવિત્ર અને તેજસ્વી દસ
હજાર ગાયો આપી. ચંદ્રના કિરણ જેવી કાંતિવાળી, સુવર્ણના શણગારવાળી અને
શુદ્ધ હજાર ઘોડીઓ આપી. સારાં કેળવાયેલા, પવનના જેવા વેગવાળાં, કાજળ જેવા
કાળા કેશવાળાં હજાર ખચ્ચરો આપ્યાં. સ્નાન અને શણગારના કાર્યમાં ચતુર,
સુયોગ્ય વયવાળી, ગૌરવર્ણી, સુંદર વેશવાળી, સારી ક્રાંતિવાળી, ગળામાં
સોનાની સો મહોરોની કંઠીવાળી, રૂંવાડાં વિનાની, સુંદર આભરણોવાળી અને
સેવાચાકરીમાં કુશળતાવાળી એક હજાર દાસીઓ આપી. બાહલીક દેશના મજબૂત પીઠવાળા
એક લાખ ઉત્તમ ઘોડાઓ કન્યાદાનમાં ભેટ આપ્યા. અગ્નિના જેવું તેજસ્વી,
શોધ્યા વિનાનું તથા શુદ્ધ કરેલું સોનું, દસ મનુષ્યના ભાર જેટલું, આશરે
પચાસ મણ આપ્યું.
"હળને ધારણ કરનારા સાહસપ્રિય બલરામે આ સંબંધને સત્કારી તથા તેથી
પ્રસન્નતા પામી અર્જુનને વિવાહની ભેટમાં એક હજાર મદમત્ત હાથીઓ આપ્યા. તે
હાથીઓને ત્રણ સ્થળે મદ ઝરતો હતો;
તેઓ પર્વતના શિખર જેવા દેખાતા હતા;
અને યુદ્ધમાં પાછો ફરે નહીં એવા હતા. તેમને રણકતી ઘંટડીઓ ઝૂલતી હતી,
સુંદર સુવર્ણની સાંકળો બાંધેલી હતી, અને તેમની સાથે મહાવતો હતા.
"ધર્મરાજ યુધિષ્ઠિરે તે સર્વનો સ્વીકાર કર્યો અને વૃષ્ણિ તથા અંધકવંશના
તે મહારથીઓને સત્કાર આપ્યો. વૃષ્ણિ અને અંધક મહારથીઓ કુરુશ્રેષ્ઠોએ
આપેલાં ઉજ્જવળ રત્નોને લઇને, બલરામને મોખરે રાખીને, પાછા ફર્યા. કૃષ્ણ
રમણીય ઇન્દ્રપ્રસ્થ નગરમાં અર્જુન સાથે રહ્યા."
સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ અભિમન્યુ પડ્યું. એના જન્મના
અસાધારણ આનંદની અભિવ્યક્તિરૂપે યુધિષ્ઠિરે બ્રાહ્મણોને દસ હજાર ગાયો તથા
સુવર્ણમહોરોનું દાન કર્યું.
ઉંમરલાયક થતાં અર્જુને એને અસ્ત્રવિદ્યામાં કુશળ કરીને પોતાના જેવો કરી
દીધો.
બીજા પાંડવોને પણ સમય પર પુત્રપ્રાપ્તિ થઇ એથી સૌ હર્ષ પામ્યા.
સુભદ્રાના લગ્ન પછી શ્રીકૃષ્ણે બલરામ સાથે મળીને આપેલી સંપત્તિ તથા
અભિમન્યુના જન્મની ખુશાલીમાં યુધિષ્ઠિરે આપેલા દાનનો વિચાર કરવાથી એ
સમયની ભૌતિક સમૃદ્ધિનો ખ્યાલ આવે છે. એ વખતનો સમાજ કેટલો બધો ઐશ્વર્યશાળી
હશે એની કલ્પના સહેલાઇથી કરી શકાય છે.
|