|
સંસારમાં કેટલાક માનવ એવા
છે જે બીજાએ પહોંચાડેલા નાના મોટા લાભને જીવનપર્યંત યાદ રાખે છે, બીજાએ
કરેલા સામાન્ય અથવા અસામાન્ય ઉપકારનું સદા સ્મરણ કરે છે. એને માટે પોતાને
ઋણી સમજે છે, અને એનો બદલો વાળવા માટે તૈયાર રહીને બદલો વાળવાનો એક પણ
અવસર નથી ચૂકતા. એથી ઊલટું, કેટલાક માનવો એવા પણ હોય છે. જે બીજાએ
પહોંચાડેલા નાના-મોટા લાભને કે કરેલા સામાન્ય અથવા અસામાન્ય ઉપકાર પોતાની
વ્યકિતગત સગવડ પ્રમાણે સહેલાઈથી ભૂલી શકે છે, ભૂલી જાય છે. અને એથી આગળ
વધીને ભલું કરનારાનું બૂરું કરવા માટે સદા તૈયાર રહે છે, એને માટેનો એક
પણ અવસર ચૂકતાં નથી. સંતપુરુષો તથા શાસ્ત્રો પહેલા પ્રકારના પુરુષોને
સજ્જન કહે છે ને બીજાને દુર્જન. એકને કૃતજ્ઞી કહીને ઓળખાવે છે. અને બીજાને
કૃતઘ્ની તરીકે.
મયદાનવ સજ્જન અથવા કૃતજ્ઞ
હોવાથી અર્જુને આપેલા જીવનદાનને ના ભૂલી શકયો. એ અર્જુનના અને કૃષ્ણના
ઉપકારને યાદ કરીને એમનો એકનિષ્ઠ મમતાળુ મિત્ર બની રહ્યો અને એમના
પ્રત્યુપકાર માટેના સ્વપ્નાંને સેવવા લાગ્યો.
એણે અર્જુનને પૂછયું પણ
ખરું કે, તમે મને કોપાયમાન કૃષ્ણથી તથા ભયંકર અગ્નિજ્વાળામાંથી બચાવ્યો
છે. તો હું તમારું શું પ્રિય કરું? હું દાનવોનો અતિનિપુણ વિશ્વકર્મા
હોવાથી તમારે માટે કોઈ પ્રિય અને ઉત્તમ કાર્ય કરવાનો મનોરથ સેવું છું.
અર્જુને એને શ્રીકૃષ્ણની
પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો.
એણે કરેલી પ્રાર્થનાને
અનુલક્ષીને કૃષ્ણે એને યુધિષ્ઠિરને માટે સૌને આશ્ચર્યચકિત કરનારી,
અનનુકરણીય, અલૌકિક, સભાનું નિર્માણ કરવાની સૂચના કરી.
એ સૂચનાથી મયદાનવને પરમ
સંતોષ તથા હર્ષ થયો.
કૃષ્ણે તે પછી દ્વારકા
પહોંચવા માટે પ્રસ્થાન કર્યું.
તે પછી વિજયીશ્રેષ્ઠ
અર્જુનને મયદાનવે કહ્યું કે તમે રજા આપો તો હું હમણાં વિદાય લઉં. કૈલાસની
ઉત્તરે મૈનાક પર્વત છે. ત્યાં પૂર્વે દાનવો યજ્ઞ કરતા હતા. ત્યારે મેં
બિન્દુ સરોવર આગળ એક વિચિત્ર અને રમ્ય મણિમય સંગ્રહપાત્ર બનાવ્યું હતું
તે સત્યવચની વૃષપર્વાની સભામાં હતું. તે જો હજુ સુધી ત્યાં હશે તો તેને
લઇ ને હું પાછો આવીશ. પછી યશ વધારનારી, મનને આનંદ આપનારી, અને સર્વરત્નોથી
વિભૂષિત થયેલી વિચિત્ર સભા હું પાંડવોને માટે બનાવીશ. બિન્દુ સરોવર ઉપર
એક ભયંકર ગદા પણ છે. મને લાગે છે. કે રાજા વૃષપર્વાએ રણમાં રિપુઓને
રગદોળીને તેને ત્યાં દાટી રાખી છે. તે ગદા સુવર્ણબિન્દુઓથી વિચિત્ર
દેખાવવાળી, મોટી, ભારે ભાર સહેનારી, મજબૂત, એક લાખ ગદાઓની બરાબરી કરનારી,
અને શત્રુઓનો નાશ કરનારી છે. તે ગદા ભીમને માટે યોગ્ય છે. વળી ત્યાં સુદર
ઘોષવાળો વરુણનો દેવદત્ત નામે મહાશંખ છે. એ બધું હું તમને લાવી આપીશ.
અર્જુનને આ પ્રમાણે કહી
ને અસુરે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું.
થોડોક વખત વીત્યા પછી એણે
એ સઘળી સાધનસામગ્રી સાથે ઈન્દ્રપ્રસ્થમાં પુનઃ પ્રવેશ કર્યો. એણે ભીમને
શ્રેષ્ઠ ગદા આપી અને અર્જુનને ઉત્તમ દેવદત્ત શંખ આપ્યો. એની મિત્રતા
પાંડવને માટે એવી રીતે મહામૂલ્યવાન થઇ પડી.
|