Mahabharat - India's greatest epic

महाभारत

A timeless creation of Sage Ved Vyas

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

Mahabharat

Principal stories of Mahabharat in Gujarati

  Mahabharat in Gujarati  
< BACK

Sabha Parva

NEXT >

2. Maydānav's building excellence

 

Maydānav was the best architect of that time. He decided to build an assembly house that matches his name and skills. It took fourteen months for Maydānav and his workers to finish that monumental assembly. When he finished its construction, the building looked nothing less than spectacular. It was even better than the assembly of demons or deities. Inside the assembly was a beautiful lake adorned with innumerable lotus, golden fish and other sea creatures.

Once Duryodhan came to see Pandavas and their assembly building. He was taken aback by its beauty. Moreover, there were many tricky places inside the building that he could not correctly judge. When he thought it was water, there was flat surface, and when he thought it was just plain surface, it was water! He was deceived by each of its tricks and got wet. Once he got hit by a door as he thought it was just a false impression of entrance. Duryodhan was already jealous at Pandavas wealth and fortunes and this assembly house added fire to it.

From the description of the assembly house, we can infer that Maydānav really had excellence in building architecture. Ancient India was full of such talented people and places filled with enormous wealth.

 

2. મયદાનવની નિમાર્ણકળા

 

ભારતનો ભૂતકાળ સર્વ પ્રકારે ભવ્ય અને ભાતીગળ હતો. રામાયણ અને મહાભારતકાળ દરમિયાન ભારત આધ્યાત્મિક ક્ષેત્રે તો આગળ હતું જ પરંતું સાથે સાથે ભૌતિક અથવા સાંસારિક ક્ષેત્રે પણ સુવિકસિત હતું. એની સમુન્નતિ સર્વતોમુખી હતી. શિલ્પકળામાં આગળ વધીને નગરનિર્માણ અને સભાભવન નિર્માણની દિશામાં એણે અવનવો અભૂતપૂર્વ શકવર્તી વિકાસ સાધેલો. એની અલ્પ જેવી ઝાંખી માટે મહાભારતના સભાપર્વના ત્રીજા અને સુડતાલીસમા અધ્યાયો પર દષ્ટિપાત કરી જોઈએ.

મયદાનવ એ જમાનાનો સર્વોતમ શિલ્પકાર હતો. અર્જુનના આદેશને અનુસરીને એણે મહારાજા યુધિષ્ઠિરની રાજ્યસભાને તૈયાર કરવાનો નિર્ણય કર્યો એણે હિમાલયના સુપ્રસિધ્ધ પર્વતપ્રદેશથી જુદીજુદી મહામૂલ્યવાન સામગ્રી લાવીને અદ્દભૂત અપૂર્વ રત્નમય સભાભવનના નિર્માણની શરૂઆત કરી. દસ હજાર હાથના ઘેરાવાથી એ સભાભવનની રચના અંત્યંત રમણીય, ચમત્કૃતિજનક, આશ્ચર્યકારક અને દર્શનીય હતી. આકાશને અડવાનો મનોરથ કરતી હોય એવી એ સભા દેવસભા તથા બ્રહ્મસભાથી પણ વધારે સુંદર સમૃધ્ધશાળી, રત્નોની દીવાલવાળી તથા ચિંતા અને થાકને દૂર કરનારી દેખાતી. કિંકર નામના આઠ હજાર આકાશમાં ઊડનારા, ભયંકર સ્વરૂપવાળા, મહાબળવાન મહાકાય રાક્ષસો એ અલૌકિક સુખપ્રદાયક સભાનું રક્ષણ કરતાં.

મયદાનવે સભાભવનમાં નિર્મળ નીરથી છલેલું સરોવર બનાવેલું. એમાં અનેક સુવર્ણમય પદ્મો અને વૈદૂર્ય મણિના દલથી સુશોભિત કમળો દેખાતા. એમાં સોનાની માછલીઓ ને સોનેરી કાચબા મૂકેલા. એની આસપાસ આરસપહાણના સુંદર પગથિયાં કરેલાં. હંસ કારંડવ, સારસ, ચક્રવાક જેવા વિવિધ વિહંગો એમાં વિહાર કરતાં. મોતી તથા રત્નસમૂહથી સંપન્ન હોવાને લીધે કોઈ કોઈ દર્શનાર્થી તો ભ્રાંતિમાં પડતા અને એ સરોવરમાં પડી જતાં. એ સભાભવનની આજુબાજુ શીતળ, સ્નિગ્ધ, છાયાવાળાં ફળફૂલથી ભરેલાં વૃક્ષો ફેલાયેલાં તેમજ વલ્લરીઓ વીંટાળાયલી. સર્વત્ર સુવાસિત સમીરલહેરી ફર્યા કરતી. મયદાનવે એ અસાધારણ ઐશ્વર્યસંપન્ન સભાભવનનું નિર્માણ ચૌદ મહિનામાં કરેલું. એ સુંદર સર્વસુખસંપન્ન સભાભવનને નિહાળીને યુધિષ્ઠિરને અને પાંડવોને અન્ય દર્શનાર્થી સાથે અતિશય આનંદ થયો. અનંત આશ્ચર્ય પણ થયું.

દુર્યોધન એ સભાભવનનું નિરીક્ષણ કરવા ગયો ત્યારે એના વૈભવ ને સૌન્દર્યને દેખીને આશ્ચર્યમાં પડ્યો. એની પ્રત્યેક સામગ્રી એને અદ્રષ્ટપૂર્વ, અનોખી, અપૂર્વ લાગી. હસ્તિનાપૂરમાં એવી અદભુત સામગ્રીનું અવલોકન અણે નહોતું કર્યું, સભાભવનમાં ફરતાં ફરતાં એ બિલોરી પથ્થરનાં ચોક પર પહોંચ્યો તો ત્યાં એણે નિર્મળ પાણી જોયું, જળાશયને જોઈ એણે પોતાનાં વસ્ત્રોને ઊંચાં લઈ લીધાં. પાછળથી પોતાની ભૂલ સમજાતાં એ ભોંઠોં પડી ગયો, આગળ વધતાં એક સ્થળે જળાશય સમજીને એ સંભાળપૂર્વક આત્મરક્ષા માટે પ્રવૃત થયો તો સ્થળ પર પડી ગયો, કારણ કે ત્યાં જળાશય હતું જ નહિ. ત્યાંથી ઊઠીને એ ઉદાસ મનથી સભાભવનમાં વિહરવા લાગ્યો. થોડોક દૂર જતાં એક વાવ મળી. એના નિર્મળ નીરને નિહાળીને એણે પોતાના પૂર્વઅનુભવના આધાર પર એને ચોક માનીને આગળ વધવા માંડ્યુ તો એના અસાધારણ આશ્ચર્ય વચ્ચે એ વાવની અંદર પડી ગયો. એનાં કપડાં ભીંજાઈ ગયાં. એને પાણીમાં પડતો પેખીને એની સાથેના સેવકો હાસ્યને ના રોકી શક્યા. એની અવસ્થા એ સઘળાં સંજોગોની વચ્ચે અતિશય દયાજનક ને કરુણ બની ગઈ.

ભીમે એ જોઈને અટ્ટહાસ્ય કર્યું. કિન્તુ યુધિષ્ઠિરે અનુચરોને આજ્ઞા કરીને દુર્યોધન માટે બીજા વસ્ત્રો મંગાવી આપ્યાં એણે એ વસ્ત્રો પહેરી લીધાં. ભીમની સાથે અર્જૃન, નકુલ અને સહેદેવે પણ એને પાણીમાં પડતો જોઈને હાસ્ય કરેલું એથી એની પીડાનો પાર રહ્યો નહીં. એનું હૈયું વલોવાઈ ગયું.

આગળ જતાં એક ઓસરી આવી. એને પાણીથી ભરેલો કુંડ સમજીને એણે વસ્ત્રો સંકેલી લીધાં. એ જોઈને સૌ ફરીવાર હસી પડ્યા. એ સ્થળે એક દ્વાર હતું તે ઉઘાડું દેખાતું એ બંધ દ્વારને ખુલ્લું સમજીને એ આગળ વધ્યો તો એને માથામાં એવું તો જોરથી વાગ્યું કે એ તમ્મર ખાઈને ધરતી પર ઢળી પડ્યો. થોડેક આગળ વધતાં એક ઉઘાડું દ્વાર આવ્યું બંધ સમજીને ઉઘાડવા માટે એણે આરંભ કર્યો કે તરત જ એ સ્થિરતાને ગુમાવીને પડી ગયો. એવી રીતે અવારનવાર વાગવાથી એણે સભાભવનના શેષભાગને જોવાનું માંડી વાળીને શકુનિ સાથે હસ્તિનાપુર પ્રતિ પ્રયાણ કર્યું, એનો સઘળો ઉત્સાહ ઓસરી ગયો. અને એના અંતરમાં ઘોર નિરાશા ફરી વળી.

પાંડવોના અસાધારણ ઐશ્વર્ય ને અવલોકીને એને વેદના, ચિંતા અને ઈર્ષા થઈ. પરસુખને જોઈને સુખી તથા પરદુઃખને દેખીને દુઃખી થનારને સત્પુરુષ કહેવામાં આવે છે. દુર્યોધન એવો સત્પુરુષ સાબિત ના થયો. એને લીધે કૌરવ પાંડવ વચ્ચેના વૈમનસ્ય અને કલહનું બીજારોપણ થયું એમની વચ્ચેનું અંતર ઘટવાને બદલે ખૂબ જ વધી ગયું.

મયદાનવની એ સ્થાપત્યકળા કેવી અનોખી હશે એની કલ્પના મહાભારતના એ વર્ણન પરથી સહેલાઈથી કરી શકાય છે. એ અપ્રતિમ સ્થાપત્યકળાના પ્રતીક રૂપે રચાયેલી યુધિષ્ઠિરની દિવ્યસભા એ જમાનાની એક અસાધારણ ચમત્કૃતિ સમાન હતી. એ જમાનામાં એક બાજુએ અઢળક અખૂટ ભૌતિક સાધનસંપત્તિ હતી તો બીજી બાજુએ એનો સર્વોતમ સદુપયોગ કરી શકે એવા મયદાનવ જેવા સુયોગ્ય સદવિદ્યાસંપન્ન પુરૂષો પણ હતાં. મહત્વની નોંધપાત્ર હકીકત તો એ છે કે મયદાનવ અસુર તરીકે ઓળખાતો. એક અસુરની શકિત એટલી બધી અસાધારણ હતી. એ દર્શાવે છે કે વિકાસના ક્ષેત્રમાં સુરાસુરનો કશો ભેદ નહોતો મનાતો. સમાજની સેવા, સમૃધ્ધિ તથા સુખાકારી માટે પોતાની શકિતસામગ્રીનો સર્વોત્તમ સંપૂર્ણ સદુપયોગ કરવાની સ્વતંત્રતા સૌ કોઈ ધરાવતું.

 

(From Shri Yogeshwarji's book entitled 'Mahabharat Na Moti')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer