રાજસૂય
યજ્ઞના નિયમો અનુસાર જે સૌથી શ્રેષ્ઠ અને સમર્થ હોય તેમની અગ્રપૂજા
કરવાનો અથવા યજ્ઞની પૂર્ણાહુતિ પહેલા તેમને પ્રથમ અર્ધ્ય આપવાનો ભીષ્મે
વિચાર રજૂ કર્યો, અને યુધિષ્ઠિરની જિજ્ઞાસાના જવાબમાં કૃષ્ણ જ સૌથી સમર્થ
કે શ્રેષ્ઠ હોઈને અગ્રપૂજાને યોગ્ય છે એવો નિર્ણય સંભળાવ્યો. એમણે
જણાવ્યું કે શ્રી કૃષ્ણ સમસ્ત ભૂમંડળમાં પોતાના તેજ, સામર્થ્ય, પરાક્રમથી
જયોતિર્ધરોમાં ભાસ્કર પ્રકાશે તેમ પ્રકાશી અથવા ઝગમગી રહ્યા છે. સૂર્ય
વિનાનું સ્થાન જેમ સૂર્યથી પ્રકાશીત થાય છે અને વાયુ વિનાનું સ્થાન જેમ
વાયુથી આનંદભર્યું અને શાંત થાય છે તેમ આપણી આ સમગ્ર સભા કૃષ્ણથી
પ્રકાશિત અને પ્રસન્ન છે.
ભીષ્મના આદેશાનુસાર સહદેવે કૃષ્ણને અગ્રપૂજા કરીને પ્રથમ અર્ધ્ય આપ્યો.
કૃષ્ણે એનો સંપૂર્ણ સ્વસ્થતા તથા શાંતિપૂર્વક સ્વીકાર કર્યો, પરંતુ એમને
મળેલા એ બહુમાનને શિશુપાલ ન સહી શક્યો.
મહાબળવાન
ચેદિરાજ શિશુપાલે તેજોદ્વેષથી પ્રેરાઈને, સભામાં સૌની વચ્ચે ભીષ્મને અને
યુધિષ્ઠિરને મહેંણા માર્યાં અને કૃષ્ણ ઉપર અનેકવિધ આક્ષેપો કર્યા. એણે
એની અસંમતિને દર્શાવતાં રોષભરી ભાષામાં કહેવા માંડયું કે આ સુવિશાળ
સભામાં અસંખ્ય મહીપાલો હોવા છતાં વૃષ્ણિપુત્ર કૃષ્ણની અગ્રપૂજા કરવામાં
આવી છે તે ઉચિત નથી. પાંડવો, તમે બુધ્ધિમાં બાળક અને મૂઢ હોવાથી કશું
સમજતા નથી. ધર્મ અતિશય સૂક્ષ્મ છે. એ ધર્મનું સૂક્ષ્મ દર્શન ગંગાપુત્ર
ભીષ્મ પણ કરી શક્યા નથી. એ અલ્પ વિચારવાળા લાગે છે. તમે યદુવંશી કૃષ્ણનું
સર્વ મહીપાલોની વચ્ચે પૂજન કર્યું છે પરંતુ તે રાજા નથી તે છતાં પણ એને
અર્ધ્ય કેવી રીતે અપાયો ?
કૃષ્ણને વૃધ્ધ તરીકે સન્માનતા હો તો પણ વૃધ્ધ વાસુદેવની ઉપસ્થિતિમાં તેના
પુત્રને અર્ધ્યને લાયક કેવી રીતે કહી શકાય
?
કૃષ્ણને આચાર્ય તરીકે માનતા હો તોપણ દ્રોણાચાર્યથી શ્રેષ્ઠ આચાર્ય બીજા
કોણ છે ?
કૃષ્ણને ઋત્વિજ માનતા હો તો કૃષ્ણ દ્વૈપાયન વ્યાસની ઉપસ્થિતિમાં એની
અગ્રપૂજા ના કરી શકાય. ઇચ્છામૃત્યુવાળા શાંતનુપુત્ર ભીષ્મ હોવાથી કૃષ્ણની
પૂજા શા માટે કરી ?
સર્વશાસ્ત્રવિશારદ અશ્વત્થામા, પુરુષશ્રેષ્ઠ રાજેન્દ્ર દૂર્યોધન અને
ભરતવંશીઓના આચાર્ય કૃપાચાર્યની સંનિધિમાં કૃષ્ણની પૂજા કેવી રીતે કરી
શકાય ?
કિંપુરુષના આચાર્ય દ્રુમ, પાંડુસમાન સુલક્ષણવાળા રાજા ભીષ્મક, રાજા રુકમ,
શ્રેષ્ઠ એકલવ્ય અને મદ્રાધિરાજ શલ્ય હોવા છતાં કૃષ્ણની પૂજા કેમ કરાઇ
?
પોતાના પરાક્રમ માટે સઘળા રાજાઓમાં પ્રશંસા પામેલા વીર પરશુરામ અને
આત્મબળના આશ્રયથી રાજાઓને રણમાં જીતનારા કર્ણને નગણ્ય ગણીને કૃષ્ણનું
પૂજન કેવી રીતે કર્યું ?
કૃષ્ણ ઋત્વિજ, આચાર્ય કે રાજા પણ નથી તોપણ તેનું પૂજન કરવામાં આવ્યું તે
તેને સારું લગાડવા માટે ?
પ્રથમ જો કૃષ્ણનું જ પૂજન કરવું હતું તો બીજા બધા રાજાઓને અહીં શાં માટે
બોલાવ્યા ?
અપમાનિત કરવા ?
અમે કુંતીનંદનને કર આપીએ છીએ તે ભયથી, લોભથી કે સાંત્વનથી નથી આપતા પરંતુ
એ ધર્મપારાયણ છે ને ચક્રવર્તીપદ ઈચ્છે છે માટે આપીએ છીએ. પરંતુ તે અમને
માન નથી આપતા. તમે રાજચિહ્નનોથી રહિત કૃષ્ણને રાજસમાજ વચ્ચે જે માન
આપ્યું છે એ અમારું અપમાન નથી તો બીજુ શું છે
?
ધર્મપુત્રનો ધર્માત્મા તરીકેનો યશ નકામો જ ફેલાયો છે કારણકે વૃષ્ણિવંશમાં
જન્મેલા જે દુરાત્માએ પૂર્વે જરાસંઘનો અન્યાયથી નાશ કરાવેલો તે
ધર્મભ્રષ્ટને આવી પૂજા કોણ આપે ?
યુધિષ્ઠિરમાંથી ધર્માત્માપણું જતું રહ્યું છે. કૃષ્ણની પૂજા કરાવીને એણે
આપણી કૃપણતા જ દર્શાવી છે. કુંતી પુત્રો કદાચ ભય પામ્યા હોય કે દીન થયા
હોય તો પણ હે માધવ, તું કેવી પૂજાને યોગ્ય છે તે તારે જાણવું જોઈતું
હતું. આ કૃપણોએ અર્પેલી પૂજાને માટે અયોગ્ય હોવા છતાં પણ એ પૂજાને તેં શા
માટે સ્વીકારી ?
નિર્જન સ્થળમાં કૂતરો જેમ બલિદાનનો ટૂકડો મેળવીને આનંદ પામે છે તેમ તું
પણ એ પૂજાથી આનંદે છે.
એવી રીતે વિરોધનો સખત સૂર નોંધાવીને શિશુપાલ અન્ય રાજાની સાથે સભામાંથી
બહાર નીકળી ગયો. યુધિષ્ઠિરે તેની પાછળ જઈને તેને રોકીને શાંતિપૂર્વક
સમજાવવા માંડયો. "હે મહાપાલ, તમે જે બોલ્યા છો તે તમારે માટે ઉચિત નથી.
એથી તો અધર્મ થયો છે ને કર્કશતા પ્રગટી છે. ભીષ્મ પરમતત્વને સુચારુરૂપે
સમજે છે. તમે એમના સંબંધી ગેરસમજ કરીને એમનો અનાદર કરો નહીં આ સભામાં
તમારાથી વિશેષ વૃદ્ધ રાજાઓ પણ બેઠા છે. તેમને કૃષ્ણની અગ્રપૂજાના
વિરાધનું કોઇ કારણ નથી દેખાતું તો તમને શા માટે દેખાય છે
?
તમે ધીરજ તથા શાંતિ રાખો તે જ ઉચિત છે. તમે કૃષ્ણને તત્વપૂર્વક નથી
જાણતા."
ભીષ્મે શાંતિપૂર્વક સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું કે કૃષ્ણની અગ્રપૂજાને જે
સત્કારતો નથી તે દયાપાત્ર છે. રાજાઓની સભામાં મને એક પણ રાજા એવો નથી
દેખાતો જે યુધ્ધમાં દેવકીનંદનના તેજથી જીતાયો ના હોય. આ અચ્યુત કૃષ્ણ
કેવળ અમારે માટે જ માનનીય ને પૂજ્ય છે એવું નથી પરંતુ ત્રણે લોકને માટે
પૂજાપાત્ર છે. એણે અનેક ક્ષત્રિયવીરોને યુધ્ધમાં જીત્યા છે અને એમની અંદર
જગત રહેલું છે. એટલા માટે આ સભામાં અન્ય અનેક વૃદ્ઘો હોવા છતાં હું
કૃષ્ણને જ સર્વોત્તમ તથા પૂજ્ય માનું છું. શ્રી કૃષ્ણ જ સંસારની
ઉત્પત્તિના તથા સૌના લયના કારણરૂપ કહ્યા છે. કૃષ્ણ અવ્યક્ત પ્રકૃતિરૂપ
છે, સનાતન કર્તા છે. અને ભૂતમાત્રથી પર છે. એથી સૌથી વિશેષ પૂજ્ય છે.
પરંતુ એ સ્પષ્ટીકરણની શિશુપાલ પર લેશ પણ અસર ના થઇ. કૃષ્ણની અને અન્યની
ક્રમિક પૂજાવિધિને પેખીને એ અતિશય ક્રોધે ભરાઇને રાજાઓને કૃષ્ણ તથા
પાંડવો સાથેના યુદ્ધને માટે લલકારવા લાગ્યો.