રાજાઓ
શિશુપાલના પ્રભાવમાં આવીને ઊભા થઇ ગયા.
ભીષ્મે
શિશુપાલને સમજાવીને શાંત કરવાનો પૂરતો પ્રયાસ કરી જોયો પરંતુ શિશુપાલ
સંયમ ખોઇ બેસીને અનેક પ્રકારના અનુચિત આક્ષેપો કરવા લાગ્યો "ભીષ્મ, તું
કુરુઓમાં શ્રેષ્ઠ હોવા છતાં વિવેકને ખોઇ બેઠો છે. એક નાવ બીજી નાવ સાથે
બંધાઇને ચાલે છે અથવા એક આંધળો બીજા આંધળાને અનુસરે છે તેમ તું જેમનો
અગ્રણી છે તે કુરુઓ પણ તારી પાછળ પાછળ પગલાં ભરે છે. કૃષ્ણનાં પુતનાવધ
જેવાં કર્મોનું વિશેષ રૂપે કીર્તન કરીને તેં અમારા અંતરને વ્યથા પહોંચાડી
છે. તુ મૂર્ખ અને અભિમાની બનીને કેશવની ભોટાઇ કરે છે તો તેમ કરતાં તારી
જીભનાં ટુકડાં કેમ નથી થતાં ?
સાવ મૂર્ખ માણસ પણ જેની નિંદા કરી શકે તેમ છે તે ગોવાળિયાને તું
જ્ઞાનવૃદ્ધ હોવા છતાં આકાશમાં ચઢાવવા માંગે છે! કૃષ્ણે બાળપણમાં
પૂતનારૂપી પંખીડું માર્યું અને યુદ્ધમાં નિષ્ણાત નહિ એવા બે અશ્વોને અને
આખલાને માર્યો એમાં કયું પરાક્રમ કરી નાખ્યું
?
એણે લાકડાના ચેતનરહીત ગાડાને પગથી નીચે પાડી નાખ્યું એમાં કયું મોટું
આશ્ચર્ય હતું ?
કીડીના રાફડા જેવા ગોવર્ધન પર્વતને એણે એક અઠવાડીયા સુધી ધારણ કરી રાખ્યો
એમાં મને કશું નવાઈ જેવું નથી લાગતું. એ કૃષ્ણે જે બળવાનનું અન્ન ખાધેલું
એ બળવાન કંસનો નાશ કર્યો એમાં કશું આશ્ચર્યકારક નથી લાગતું.
હે કૌરવાધમ,
હું ના જાણતો હોઉં તેમ તું કેશવને જ્ઞાનવૃદ્ધ, શ્રેષ્ઠ, મહાન કહીને તેની
બડાઈ હાંકે છે. એ ગોહત્યા તથા સ્ત્રીહત્યા કરનાર કૃષ્ણ તું કહે તેથી જ
પૂજાપાત્ર કેવી રીતે થઈ શકે ?
એ વળી સ્તુતિપાત્ર કેવી રીતે થાય ?
તું કૃષ્ણને બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને જગતનો પ્રભુ માને છે એટલે એ પણ
એવું માની બેસે છે. એવી રીતે કહેવાનું અને માનવાનું અસત્ય છે. કૃષ્ણ
જેમને માટે સૌથી વિશેષ પૂજય છે અને જેમનો તું માર્ગદર્શક છે તે પાંડવોની
પ્રકૃતિ તો તારાથી પણ વધારે પાપી ગણાય તેવી છે.
તું
ધર્મવાન હોવા છતાં સત્યપુરૂષોના માર્ગથી ચલિત થઈને અધાર્મિક થયો છે. તું
ધર્મના સાચા રહસ્યને સમજતો હોત તો તારી બુદ્ધિમાં જ્ઞાનનો ઊંચો પ્રકાશ
પથરાયો હોત. તારૂં ભલું થાવ. પોતાને પ્રજ્ઞ માનનારા તેં બીજાની કામનાવાળી
અંબા નામની કન્યાનું હરણ કરેલું. તારો ભાઈ વિચિત્રવીર્ય સત્પુરૂષોના
માર્ગને અનુસરતો હોવાથી તે કન્યાને ગ્રહણ કરવા નહોતો ઈચ્છતો.
તું
પોતાને જ્ઞાની ગણાવે છે પરંતુ તારી આંખ આગળ જ તારા ભાઈની પત્નીઓએ
પરપુરૂષથી સંતાનોને મેળવેલાં. તારામાં ધર્મ નથી. તારૂં બ્રહ્મચર્ય વ્યર્થ
છે. તું બ્રહ્મચર્યવ્રતને ધારણ કરે છે તે તો ભ્રમ કે નપુંસકપણાને લીધે,
તારા ધર્મ વિષેના જે અધકચરા ભ્રામક વિચારો છે તેમના પરથી તેં
વૃદ્ધોને સેવ્યા હોય એવું અનુમાન નથી થતું. તું નિ:સંતાન છે, વૃદ્ધ છે,
મિથ્યા ધર્મને અનુસરનારો છે. તેથી છેવટે નાશ પામશે.
‘‘કૃષ્ણે,
અર્જૂને અને ભીમસેને કરેલું જરાસંઘ વધનું કાર્ય યોગ્ય હતું એવું કોણ માને
છે ?
તું પાંડવોને મિથ્યા સલાહ આપીને સત્પુરૂષોના માર્ગમાંથી હઠાવી રહેલો છે
તો પણ તેઓને તેની સમજ પડતી નથી અને તેઓ તે કાર્યને કલ્યાણકારક માને છે એ
અતિશય આશ્ચર્યકારક છે.’’
શિશુપાલના કર્કશ કઠોર શબ્દોને સાંભળીને ભીમના ક્રોધનો પાર રહ્યો નહીં.
એને અતિશય ક્રૃદ્ધ થયેલો જોઈને શિશુપાલે જણાવ્યું કે ભીષ્મ, ભીમને મારી
સાથે લડવું છે તો તું તેને છોડી દે. હું તેને માટે તૈયાર જ છું. જેવી
રીતે પાવક પતંગિયાને ખાખ કરી નાખે છે તેમ મારો પ્રભાવ એને ભસ્મીભૂત કરી
દેશે તે રાજાઓ જોઈ શકશે.
શિશુપાલે કૃષ્ણ સાથે લડવાની ઈચ્છાથી પ્રેરાઈને જણાવ્યું કે જનાર્દન, હું
તને આહ્વવાન આપું છું, તું મારી સાથે યુધ્ધમાં ઊતર એટલે તને પાંડવોની
સાથે પૂરો કરી દઉં. એ પાંડવોએ અન્ય અનેક રાજાઓની અવજ્ઞા કરીને તારી
અગ્રપૂજા કરી છે તેથી તેમનો પણ નાશ થવો ઘટે છે.
શિશુપાલનાં વિષમય વચનોને સાંભળીને અત્યાર સુધી શાંત રહેલા કૃષ્ણે કહયું
કે શિશુપાલ અમારો શત્રુ છે. એ નિષ્ઠુર અને કૃતઘ્ની છે. એ અમારો ભાણેજ
હોવા છતાં અમને પ્રાગજ્યોતિષપુરમાં ગયેલા જાણીને એણે દ્વારકાને આગ
લગાડેલી. પૂર્વે ભોજરાજ રૈવતક પર્વત પર ક્રીડા કરતા હતા ત્યારે તે ત્યાં
પહોંચી, સર્વને માર મારી બાંઘીને પોતાના પુરમાં પાછો ફરેલો. મારા પોતાના
અશ્વમેઘ યજ્ઞ વખતે સંરક્ષકો સાથે છૂટા મૂકેલા પવિત્ર અશ્વને યજ્ઞમાં
વિઘ્ન નાખવા માટે આ પાપબુધ્ધિવાળો હરી ગયેલો. અહીંથી વિદાય થઈને સૌવીર
દેશ તરફ જઈ રહેલી તપસ્વી બભ્રુની પત્નીને એની અનિચ્છા છતાં મોહથી ઊંચકી
ગયેલો. મામાનું બૂરૂં કરવાવાળા આ શિશુપાલે કરૂષરાજને માટે નક્કી કરાયેલી
વિશાલીરાજની તપસ્વિની કન્યા ભદ્રાને કપટવેશ લઈને હરી લીધેલી. માત્ર ફોઈને
લીધે હું આ મહાન સંકટને સહી રહયો છું. મૃત:પાય જેવા એણે રુકિમણી માટે પણ
મનોરથ કરેલા પણ તેને તે મેળવી નહોતો શકયો.
શિશુપાલે અટ્ટહાસ્ય કરીને કહ્યું કે મારે માટે નિશ્ચિત કરાયેલી એ રુકિમણી
વિશે આ સભામંડપમાં રાજાઓની વચ્ચે વાત કરતાં તને શરમ નથી આવતી
?
તું ક્રોધ કરે કે પ્રસન્ન બને તેથી કશો જ ફેર નથી પડવાનો.
કૃષ્ણે એ વખતે સુદર્શન ચક્રનું સ્મરણ કર્યું ને કહયું કે એની માતાએ એના
સો અપરાધોને સહી લેવા માટે મને પ્રાર્થના કરેલી. મેં તેની પ્રાર્થના
માન્ય રાખેલી. હવે એની અવધિ પૂરી થતી હોવાથી હું સૌના દેખતાં એનો નાશ
કરીશ.
કૃષ્ણે સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક ધડથી અલગ કર્યું.
વ્રજપાતથી પર્વતની પેઠે શિશુપાલ સત્વર નીચે પડ્યો.
એને એના કઠોર કુકર્મનું ફળ મળી ગયું.
એના અંગમાંથી નીકળેલા પ્રકાશે કૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો.
યુધિષ્ઠિરના આદેશાનુસાર એનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
એના પુત્રનો ચેદિદેશના રાજા તરીકે અભિષેક થયો.
રાજસૂય યજ્ઞની સુખદ પ્રસન્નતાપૂર્વક પરિસમાપ્તિ થઈ.
સમાજમાં સત્કર્મવિરોધી, સજ્જનશત્રુ શિશુપાલો ઘણા છે અને સત્કર્મસહાયક
સમાજસંરક્ષક પણ છે. માનવે પોતે કેવા થવું છે તેનો નિર્ણય કરવાનો છે.
સત્કર્મમાં સાધક ના થઈ શકાય તો બાધક તો ના જ બનાય તેનું ધ્યાન રાખીએ તો
પણ ઘણું.
શિશુપાલો નાશ કરી શક્તા નથી;
નાશ પામે છે;
એ હકીકત છે.