મહાભારતના
સભાપર્વના ૪૩મા અઘ્યાયમાં આલેખાયેલી જન્મકથા અસામાન્ય હોવા છતાં રસપ્રદ
તથા જાણવા જેવી છે.
એનું વિહંગાલોકન કરવું અસ્થાને નહિ ગણાય.
એ
કથામાં કહ્યા પ્રમાણે ચેદિરાજના વંશમાં જન્મેલા શિશુપાલને જન્મથી ત્રણ
આંખ હતી અને ચાર હાથ હતા.
જન્મતાંવેંત તે ગધેડાની પેઠે ભૂંકેલો ને ગરજેલો તેથી તેના માતાપિતા ખૂબ જ
દુ:ખી થયાં અને એની અસામાન્ય કુરૂપતા જોઈને એને ત્યાગવાનું વિચારવા
લાગ્યા.
એ
વખતે આકાશવાણી દ્વારા રાજાને કહેવામાં આવ્યું કે તારો પુત્ર ધનવાન અને
બળવાન બનશે. તું એની ચિંતા ના કરીશ કે કોઈ પ્રકારનો ભય રાખીશ નહીં. તું
એનું પ્રસન્નતાપૂર્વક પાલન કરજે. હમણાં તેનું મૃત્યુ નથી થવાનું. એને
શસ્ત્રથી હણનાર જન્મી ચૂકયો છે.
શિશુપાલની માતાને એને મારનાર વિશે માહિતી મેળવવાની જીજ્ઞાસા થઈ. તો એ
જીજ્ઞાસાના જવાબમાં આકાશવાણીએ જણાવ્યું કે જેના ખોળામાં રાખવાથી આ બાળકના
વધારાના બે હાથ જમીન પર ખરી પડશે અને જેને જોવાથી આનું ત્રીજું નેત્ર
લલાટમાં સમાઈ જશે તે આનો કાળ બનશે.
એની એવી અસાધારણ આશ્ચર્યકારક કથાને સાંભળીને જુદાજુદા રાજાઓ એને જોવા
આવ્યા.
રાજાએ એમને સમુચિત રીતે સત્કારીને શિશુપાલને વારાફરતી સૌના ખોળામાં
બેસાડ્યો. પરંતુ આકાશવાણી સાચી ના પડી.
શિશુપાલનો વૃતાંત સાભળીને કૃષ્ણ તથા બળરામ દ્વારકાથી નીકળીને પોતાની
યદુવંશી ફોઈને મળવા અને અને એના બાળકને નિહાળવા ચેદિપુરીમાં પ્રવેશ્યા.
રાજપત્ની ફોઈએ એમને સાદર સત્કારીને શિશુપાલને કૃષ્ણના ખોળામાં બેસાડ્યો
કે તરત જ તેના વધારાના બે હાથ જમીન પર પડી ગયા. અને ત્રીજી આંખ લલાટમાં
સમાઈ ગઈ. આકાશવાણીની વાત આંશિક રીતે સાચી પડી તે દેખીને શિશુપાલની માતા
સ્વાભાવિક રીતે જ વ્યથાતુર બની અને ગભરાઈ ગઈ. કૃષ્ણ પોતે જ એનો કાળ બનશે
એવી કલ્પના પણ નહોતી કરી શકતી. શું એ વાસ્તવિક્તા બનશે
?
એણે કૃષ્ણ પાસે માગી લીધું કે તમે શિશુપાલના અપરાધોને ક્ષમા કરજો.
કૃષ્ણે એની પ્રાર્થનાને ને માગણીને લક્ષમાં લઈને જણાવ્યું કે તમે ચિંતા
કરશો નહીં . હું તમારા પુત્રના સો અપરાધોને સહી લઈશ.
માતાને એવી બાંહેધરીથી શાંતિ મળી. એને એ વખતે શી ખબર કે શિશુપાલ
ભવિષ્યમાં સો થી અધિક અપરાધો કરીને આકાશવાણીની વાત સાચી પાડશે!
પરિસ્થિતિએ એવો પલટો લીધો કે કૃષ્ણને શિશુપાલના કાળનું કઠોર કામ કરવું
પડ્યું .
એ
પ્રસંગ સૂચવે છે કે આખરે તો જે થવાનું હોય છે તે જ થાય છે. ધાર્યું તો
ધરણીધરનું જ બને છે, માનવનું નથી બનતું. શિશુપાલે અપરાધો કર્યા જ ના હોત
તો કદાચ પરિસ્થિતિ જુદી હોત. પરંતુ શિશુપાલને એવી સદ્દબુદ્ધિ સૂઝી જ
નહીં. વિધિનો વિજય થયો.