ઉદાર મનના
માનવોને પરસંપત્તિને પેખીને, અન્યના ઉત્કર્ષ વિષે સાંભળીને, પ્રસન્નતા
થાય છે તથા મિત્રભાવના જાગે છે, પરંતુ અનુદાર મનના મલિન માનવોને દ્વેષભાવ
જાગે છે તથા દુઃખ થાય છે.
પાંડવોના
અભ્યુદય અને ઐશ્વર્યને અવલોકીને દુર્યોધન દુઃખી બન્યો.
એની વેદના
વધી પડી.
એનો
દ્વેષભાવ દ્વિગુણિત થયો.
પાંડવોને
પરમપ્રસન્ન જોઈને, જુદાજુદા રાજાઓને એમને આધીન રહેલા નિહાળીને અને પરમ
મહિમાવાળા
પાંડવોના આબાલવૃદ્ધ હિતકારી છે એવું દેખીને તેનું મુખમંડળ ફીકું પડી
ગયું.
હસ્તિનાપુરમાં પ્રવેશતા પહેલાં એણે શકુનિને એની જીજ્ઞાસાના જવાબરૂપે
જણાવ્યું પણ ખરું કે અર્જૂનના શસ્ત્રપ્રતાપથી જીતાયેલી સમગ્ર પૃથ્વીને
યુધિષ્ઠિરના એકાધિકારમાં આવેલી જોઈને અને અનુપમ અદ્દભૂત અતિશય
આશ્ચર્યકારક રાજસૂય યજ્ઞને ઐશ્વર્યસહિત અવલોકીને મને નખશીખ ઈર્ષા વ્યાપી
છે અને ગ્રીષ્મઋતુની અસર નીચે આવીને અલ્પ અથવા સાધારણ સલિલ સૂકાઈ જાય છે
તેમ હું બળીને અહર્નિશ સુકાઈ રહ્યો છું. શ્રીકૃષ્ણે શિશુપાલનો નાશ કર્યો
ત્યારે શિશુપાલની સહાયતા માટે કોઈ પણ તૈયાર ના થયું. પાંડવોના
પરમપ્રતાપથી પ્રભાવિત થયેલા રાજાઓએ એ અપરાધ મૂંગા મોઢે સહી લીધો. કૃષ્ણે
જે કઠોર અનુચિત કુકર્મ કર્યું તે પાંડવોના પ્રતાપથી જ. હું આગમાં
પ્રવેશીશ, વિષપાન કરીશ, અથવા પાણીમાં પડીને મરીશ, પરંતુ જીવી શકીશ નહીં.
પોતાના પ્રતિસ્પર્ધીઓ કે શત્રુઓની ઉત્તરોત્તર ઉન્નતિને અને પોતાની
અવનતીને કયો સદ્દબુદ્ધિ સંપન્ન ધીરવીર પુરૂષ સહી શકે
?
યુધિષ્ઠિરની લક્ષ્મીને હું એકલે હાથે હારી શકું તેમ નથી. મને કોઈ સાથી પણ
જણાતો નથી. એથી જીવવાનું અસહ્ય લાગતાં હું મૃત્યુનો વિચાર કરી રહ્યો છું.
મને તો લાગે છે કે દૈવ જ બળવાન અને પુરૂષાર્થ નિરર્થક છે. પહેલાં મેં
પાંડવોના વિનાશ માટે યત્નો કરેલાં પરંતુ જળમાં કમળ જેમ એમનો દિનપ્રતિદિન
વિકાસ થાય છે. યુધિષ્ઠિરની રાજલક્ષ્મીને તથા શ્રેષ્ઠ સભાને નિહાળીને
પાંડવોએ તથા સભાના સંરક્ષકોએ કરેલી મારી અભૂતપૂર્વ હાંસીને યાદ કરીને હું
ઈર્ષાથી અથવા તેજોદ્વેષથી અગ્નિની જેમ જલી રહ્યો છું. મને મરવાની રજા
આપો.
શકુનિએ
એને પોતાની રીતે શાંતિ આપીને સમજાવવાનો પ્રયાસ કર્યો. કહ્યું કે તારે
પાંડવો પ્રત્યે દ્વેષભાવ રાખવાની આવશ્યક્તા નથી. તે પોતાના ભાગ્યને ભોગવી
રહયા છે, એમના નાશ માટે તેં અત્યાર સુધી અનેક યોજનાઓ બનાવી તો પણ એમનો
નાશ નથી કરાયો. એમનું પ્રારબ્ધ પ્રબળ હોવાથી તે ઉગરી શકયા છે. તે
દ્રૌપદીને, વિશ્વવિજય મેળવવામાં મદદરૂપ થાય તેવા દ્રુપદને, તેના પુત્રોને
તથા વીર્યવાન વાસુદેવને પામ્યા છે. સતત પુરુષાર્થી પાંડવોએ પોતાના પિતાના
રાજયમાંથી ભાગ મેળવ્યો છે. અને પોતાના પ્રતાપથી વધાર્યો છે. એનો શોક
અસ્થાને છે. તું તને અસહાય માને છે તે મિથ્યા છે. તારા પક્ષમાં દ્રોણ,
દુઃશાશન, અશ્વસ્થામા, કર્ણ, કૃપાચાર્ય, સૌમદત્ત, હું અને મારા બંધુઓ સર્વ
છે. તું એકલો નથી. અમારા સૌના સહયોગથી તું સમસ્ત વસુધા પર વિજય મેળવ.
પાંડવો મહારથી, મહાધનુર્ધારી, શસ્ત્રાસ્ત્રકુશળ અને સંગ્રામમાં અજોડ છે.
પરંતુ યુધિષ્ઠિરને જીતી શકાય તેમ છે. તેમને જીતવાની યુક્તિ હું જાણું
છું. યુધિષ્ઠિરને દ્યુતનો અસાધારણ શોખ છે છતાં પણ દ્યુત રમતા બરાબર
આવડતું નથી. હું પાસા નાખવામાં નિષ્ણાત છું. સમસ્ત સંસારમાં એ વિદ્યામાં
કોઈ મારી બરાબરી કરે તેમ નથી. માટે તું નિરાશ થયા સિવાય, હિંમત ને ધીરજ
રાખીને, વ્યાવહારીક બુદ્ધિનો ઉપયોગ કરીને, યુધિષ્ઠિરને દ્યુત રમવાનું
આમંત્રણ આપ. હું મારી દ્યુતવિદ્યાના પ્રભાવથી તેના રાજ્યને અને અની
અસાધારણ લક્ષ્મીને તારે માટે જીતી લઇશ. ધૃતરાષ્ટ્રની સંમતિ મેળવીને એ
કાર્યને વહેલી તકે શરૂ કરીએ.
દુર્યોધનને દ્યુતની એ યોજના પસંદ પડી.
શકુનિ
તથા દુર્યોધન ધ્રુતરાષ્ટ્રને મળ્યા ત્યારે ધ્રુતરાષ્ટ્રે દુર્યોધનની
અસ્વસ્થતા અથવા અશાંતિનું કારણ પૂછ્યું તો દુર્યોધને તે કારણ કહી
બતાવ્યું.
શકુનિએ
એના નિવારણ માટે દ્યુતનો ઉપાય બતાવ્યો.
ધ્રુતરાષ્ટ્રે તે સંબંધી વિદૂરની સલાહ માગી.
વિદૂરે
દ્યુતને પારસ્પરિક ભેદભાવ, વૈમનસ્ય અને વિનાશનું કારણ કહીને એનાથી દૂર
રહેવાની સલાહ આપી તો પણ ધ્રુતરાષ્ટ્રને દુર્યોધન પ્રત્યે વિશેષ પ્રેમભાવ
તથા મમત્વ હોવાથી તેણે દુર્યોધનની વાત ટાળવાને બદલે સેવકોને આદેશ આપ્યો
કે સહસ્ત્ર સ્તંભવાળી, સો દ્વારવાળી, સુવિશાળ, રમણીય, નેત્રમનોહર,
ચિત્તાકર્ષક, સભાને સત્વર તૈયાર કરો.
સેવકોએ
આદેશનું અનુકરણ કર્યું
ધ્રુતરાષ્ટ્રે વિદૂરના અભિપ્રાયને અનુસરીને દુર્યોધનને દ્યુતની
વિનાશકતાનો ખ્યાલ આપ્યો પરંતુ દુર્યોધન દ્યુત રમવા મક્કમ રહ્યો.
ધ્રુતરાષ્ટ્રે એને અનેક પ્રકારે સમજાવીને યુધિષ્ઠિર તથા પાંડવોની અકારણ
ઈર્ષા ના કરવા અને એમની સાથે સુખશાંતિથી રહેવા સલાહ આપી પરંતુ એ સલાહની
અસર એની ઊપર કશી પણ ના થઈ.
છેવટે
ધ્રુતરાષ્ટ્રે વિદૂરને મોકલીને યુધિષ્ઠિરને દ્યુત રમવા માટે બોલાવી દીધા.
હસ્તિનાપુરમાં પ્રવેશીને યુધિષ્ઠિર ધ્રુતરાષ્ટ્રના ભવનમાં જઇને તેમને
મળ્યા. ગાંઘારીને પણ મળ્યા.
કૌરવો
પાંડવોને પેખીને ખુબ જ પ્રસન્ન થયા. એમણે પાંડવોને રત્નજડિત ઘરોમાં ઉતારો
આપ્યો.
દ્રૌપદી
તથા અન્ય સ્ત્રીઓનો પણ સમુચિત સત્કાર કરવામાં આવ્યો.
યુધિષ્ઠિરે દુર્યોધન અને શકુનિ સમક્ષ દ્યુત સર્વપ્રકારે અનર્થકારક હોવાની
દલીલો કરવા છતાં છેવટે દ્યુતને રમવાની તૈયારી કરી એ શું દર્શાવે છે
?
યુધિષ્ઠિરનું નિબર્ળ મનોબળ. દ્યુત અનર્થકારક છે. એવી સમજણને અખંડ રાખીને
એમણે દ્યુતમાં લેશ પણ ભાગના લીધો હોત તો પરિસ્થિતિ છેક જ જુદી હોત. પરંતુ
એમનું મનોબળ એટલું કાચું નીકળ્યું. એને લીધે પાછળથી અનેક પ્રકારની ઉપાધીઓ
એમને અને એમની સાથે સંકળાયેલા સૌને માટે પેદા થઇ.