દ્યુતમાં પરાજય
દ્યુતનો નિર્ણય કરાયો એટલે સઘળા રાજાઓ ધ્રુતરાષ્ટ્રને આગળ કરીને સભાસ્થળમાં પ્રવેશ્યા. ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અને મહામતિ વિદૂર અપ્રસન્ન મનથી એમની પાછળ પહોંચ્યા.
એ સમસ્ત સભાસ્થળ દેવોને લીધે સ્વર્ગ શોભે તેમ શોભવા લાગ્યું
દ્યુતનો આરંભ થયો એટલે યુધિષ્ઠિરે ઉત્તમ પ્રકારના સુવર્ણોથી મઢેલો, અતિશય કાંતિવાળો, મણિમય મહામૂલો હાર દાવમાં મૂક્યો, તો દુર્યોધને અસંખ્ય મણિઓ અને પુષ્કળ ધન મૂક્યું.
દ્યુતવિદ્યાના રહસ્યને સંપૂર્ણપણે સમજનારા શકુનિએ હાથમાં પાસાને લઈને દાવ રમીને યુધિષ્ઠિરને જણાવ્યું કે અમારો જય થયો.
યુધિષ્ઠિરે જણાવ્યું કે તું દાવમાં કપટ કરીને જીતી ગયો છે એનો અહંકાર શા માટે કરે છે ? આપણે ફરીવાર સામસામા દાવ નાખીએ. મારી પાસે સહસ્ત્ર સુવર્ણ મુદ્રાઓથી ભરેલી સુંદર પેટીઓ છે. અક્ષય ધનભંડાર અને જાતજાતના સોના-ચાંદી છે. હું તારી સામે તેમને દાવમાં મૂકું છું.
શકુનિ બોલ્યો કે હું એ પણ જીતી ગયો.
યુધિષ્ઠિરે કહયું કે આ મારો હજારો રથસામાન, વ્યાઘ્રચર્મથી મઢેલો, સર્વત્ર પ્રખ્યાતિ પામેલો, સુંદર ચક્રો તથા સામગ્રીવાળો, વિજય પ્રાપ્ત કરાવનારો, રથોમાં ઉત્તમ, મેઘ તથા મહોદધિ જેવા ઘોષવાળો સંહ્રાદન નામનો રાજરથ છે. એને આઠ અશ્વ જોડેલા છે. એ રથને હું દાવમાં મૂકું છું.
એ પછી યુધિષ્ઠિરે એક લાખ તરુણ દાસીઓને અને એક લાખ તરુણ દાસોને દાવમાં મૂક્યા તો એ દાવ પણ શકુનિ જીતી ગયો.
યુધિષ્ઠિરનો દ્યુતનો રસ વધતો જવાથી એણે દાવમાં એક હજાર મદઝરતા, સોનાની સાંકળ અને સોનાની અંબાડીવાળા, સુંદર દાંતવાળા, રાજાઓની સવારીને યોગ્ય, સંગ્રામમાં સર્વ પ્રકારના ઘોષને સહી શકનારા, વિરાટ શરીરના, આઠ આઠ હાથણીવાળા, નગરના દરવાજાને તોડી નાખનારા, નવમેઘ સમાન શ્યામ રંગવાળા, હાથી મૂકયા.
શકુનિએ હસતાં હસતાં કોઈ પણ પ્રકારના વિશેષ પરિશ્રમ વિના જીતી લીધા.
યુધિષ્ઠિરે સોનાના ધ્વજદંડથી તથા પતાકાઓથી સુશોભિત હજાર રથ મૂક્યા. એમને સરસ કેળવેલા ઘોડા જોડેલાં અને એમની સાથે વિવિધ પ્રકારના યુદ્ધો કરનારા રથી હતા. એ રથીને યુદ્ધ હોય કે ના હોય તોપણ વેતનમાં માસિક હજાર સુવર્ણ મુદ્રાઓ મળતી.
શકુનિએ પોતાની ચાતુરીથી એ રથીને પણ જીતી લીધા.
યુદ્ધમાં હારીને પ્રસન્ન થયેલા ચિત્રરથે અર્જૂનને જે ઉત્તમ પ્રકારના અશ્વો આપેલા એ અશ્વોને યુધિષ્ઠિરે હોડમાં મૂકયા. શકુનિએ દાવ નાખીને એ અશ્વોને પણ જીતી લીધા. એ પછી યુધિષ્ઠિરે દસ હજાર રથો, ગાડાંઓ અને એમની સાથેના સાઠ હજાર વીરોને દાવમાં મૂકયા.
શકુનિએ એ પણ જીતી લીધું.
યુધિષ્ઠિર પાસે લોઢાનાં ને તાંબાના પાત્રોથી ઢાંકેલા ચારસો ભંડારો હતા. તે દરેક ભંડારમાં પાંચ પાંચ દ્રોણ જેટલું સર્વોત્તમ સુવર્ણ મુકાયેલું. યુધિષ્ઠિરે એ સુવર્ણ ભંડારોને દાવમાં મૂક્યા.
શકુનિએ તે દાવને પણ જીતી લીધો.
દ્યુતની એ પ્રતિકૂળ પ્રવૃત્તિને પેખીને વિદૂરને વ્યથા થઈ. એમણે દુર્યોધનને, કૌરવો તથા પાંડવોને હિતમાં વચન કહયાં, દ્યુતની વિનાશકારક્તાનો ખ્યાલ આપ્યો, એનાથી દૂર રહેવા જણાવ્યું, પરંતુ દુર્યોધને અને શકુનિએ ના માન્યું.
યુધિષ્ઠિરનું મન પણ મોહાંધ અને મૂઢ બનેલું. દ્યુતક્રીડાના કેફમાં પડીને એમણે દાવમાં પોતાની સમસ્ત સંપત્તિને મૂકી. એ સંપત્તિને હાર્યા પછી નકુલને, સહદેવને, ભીમને, અર્જૂનને દાવમાં મૂક્યા. એ બધા દાવ હાર્યા પછી યુધિષ્ઠિરે પોતાની જાતને દાવમાં મૂકી દીધી.
એ દાવમાં પણ શકુનિનો વિજય થયો.
એણે પાંચાલપુત્રી દ્રૌપદીને હોડમાં મૂકવાની ભલામણ કરી. યુધિષ્ઠિરે વિજેતા બનવાની એક માત્ર આશા અથવા મહેચ્છાથી પ્રેરાઈને એ ભલામણને સ્વીકારી લીધી.
છળમૂર્તિ શકુનિએ પાસા નાખીને દ્રૌપદીને પણ જીતી લીધી.
સભામાં હાહાકાર થઈ ગયો. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્યને પરસેવો થયો. ધૃતરાષ્ટ્ર, કર્ણ, દુર્યોધન, દુઃશાશનની પ્રસન્નતાનો પાર ના રહયો.
દ્યુતથી યુધિષ્ઠિર જેવાની બુદ્ધિ પણ બદલાઈ ને બગડી ગઈ એ શું સૂચવે છે ? એ જ કે દ્યુતથી સૌ કોઈએ દૂર રહેવું જોઈએ. એ કલ્યાણકારક કદાપિ નથી.
યુધિષ્ઠિરને દ્યુતમાંથી મુક્તિ મેળવવા માટે વિદૂરે સમજાવી જોયા પરંતુ ભીષ્મ, દ્રોણાચાર્ય, ક્રુપાચાર્ય કશું જ ના બોલ્યા એ શું બતાવે છે? એવા પરમપ્રતાપી પુરૂષવરો જો વચ્ચે પડયા હોત તો પરિસ્થિતિ જુદી જ હોત.
| < Prev | Next > |
|---|

