દ્રૌપદી
સર્વપ્રકારે અસહાય હતી, તોપણ એણે અંતરના અંતરતમમાંથી, પોતાની લજ્જાને
બચાવવા માટે, શ્રી હરિનું ચિંતન કરવા માંડ્યું. એણે પ્રેમપૂર્વક
પ્રાર્થના કરી કે હે ગોવિંદ, હે દ્વારકાવાસી, હે કૃષ્ણ, હે કેશવ, ગોપીઓના
સ્વજન અને સ્નેહી ! મને કેમ છોડી દીધી છે
?
મારો કૌરવોથી પરાભવ થઈ રહ્યો છે. હે નાથ, હે રમાના ને વ્રજના નાથ, હે
દુઃખવિદારક, હે જનાર્દન, મને કૌરવરૂપી સાગરમાં ડૂબેલીને ઉદ્ધારો. હે
કૃષ્ણ, હે મહાયોગી, હે વિશ્વાત્મા, વિશ્વભાવન,ગોવિંદ! મને કૌરવો પીડી
રહયા છે. હું સાચા દિલથી તમારા શરણે આવી છું. મારું રક્ષણ કરો.
દ્રૌપદી
એવી રીતે સાચા સ્નેહ સહિત સ્મરણ કરતાં અતિશય આર્ત બનીને રડવા લાગી. ભકત
કવિ સુરદાસે દ્રૌપદીના એ મનોભાવોને પોતાના પદમાં સરસ રીતે રજૂ કરયા છે :
લજજા મોરી રાખો શ્યામ હરિ!
કીની કઠિન દુઃશાશન મોસે ગહિ કેશોં પકરી... લજજા.
આગે સભા દુષ્ટ દુર્યોધન ચાહત નગ્ન કરી;
પાંચો પાંડવ સબ બલ હારે તિનસોં કછું ન સરી... લજજા.
ભીષ્મ દ્રોણ વિદુર ભયે વિસ્મય તીન સબ મૌન ધરી;
અબ નહિં માતાપિતાસુતબાંધવ, એક ટેક તુમ્હરી... લજજા.
વસન પ્રવાહ કિયે કરુણાનિધિ, સેના હાર પરી;
સૂર શ્યામ જબ સિંહશરણ લઈ સયાલોંકો કાહિ ડરી?
... લજજા.
કરુણાળુ
કૃષ્ણ પોતાના શરણાગત ભકતના પોકારને સાંભળીને શાંત કેવી રીતે રહી શકે ?
દ્રૌપદીની દર્દભરી પ્રાર્થનાને સાભળીને એ શય્યાસનને છોડીને દોડ્યા. એમણે
દ્રૌપદીના શરીરને સૂક્ષ્મ શક્તિની મદદથી ઢાંકી દીધું. એના શરીર પર
વસ્ત્રો જ વસ્ત્રો થઈ ગયા. દુઃશાશન ખેંચતો ગયો તો પણ, એ થાકયો તોપણ,
વસ્ત્રોનો અંત ના આવ્યો.
કૃષ્ણકૃપાનો કેવો કલ્પનાતીત ચમત્કાર !
દ્રૌપદીએ
એ કૃપા માટે કામના અને પ્રાર્થના કરી તો એની ઉપર એ કૃપા વરસી રહી.
એ
પ્રાણવાન પ્રસંગ દ્વારા કૃષ્ણની અસાધારણ આત્મશક્તિનું અને અનુકંપાનું
દર્શન થયું.
જીવાત્મા
એવી રીતે પરમાત્માનું શરણ લે તો કશું જ અશક્ય ના રહે. એને સર્વ પ્રકારનાં
સંકટોમાંથી મુક્તિ મળી શકે, શાંતિ મળી શકે, શાશ્વત સુખાકારી સાંપડી શકે.
વિભુ
પોતાનો કૃપાનો વરસાદ વરસાવવા તૈયાર છે, વરસાવે છે, પરંતુ જીવ એ અનુકંપાને
ઝીલવા તૈયાર છે ખરો ?
જીવની એ
તૈયારી ના હોવાથી એ કૃપા દ્રષ્ટીગોચર બનતી નથી કે ઉપલબ્ધ પણ નથી બનતી.
એ
અદ્રષ્ટપૂર્વ દ્રશ્યને દેખીને રાજાઓ દ્રૌપદીની પ્રશસ્તિ કરવા લાગ્યા અને
દુઃશાશનની નિંદા.
ભીમસેને એ
વખતે ક્રોધે ભરાઈને સભામાં ઘોર પ્રતિજ્ઞા કરી કે દુઃશાશનની છાતીને
યુદ્ધમાં બળપૂર્વક ચીરી નાખીને હું તેનું લોહી પીશ. મારી એ પ્રતિજ્ઞાને
ના પાળું તો મને મારા પૂર્વ પિતામહોની ગતિ ના મળશો.
ભીમસેનની
પ્રતિજ્ઞાને સાંભળીને સમસ્ત સભામાં શોરબકોર થઈ રહયો.
સૌ
દુઃશાશનની નિંદા કરવા લાગ્યા.
દ્રૌપદીના
વસ્ત્રને ખેંચતા ખેંચતા દુઃશાશન છેવટે થાકી ગયો અને નિરાશ બનીને નીચે
બેસી ગયો.
કર્ણે
દ્રૌપદીને રાજભવનમાં લઈ જવા માટે આદેશ આપ્યો એટલે દુઃશાશને એને ખેંચવા
માંડી.
દ્રૌપદી
ખૂબ જ દુઃખી બનીને બોલી કે મારા માથા પર આટલું બધું કષ્ટ પડી રહ્યું છે
તો પણ પાંડવો મૂક બનીને બેસી રહ્યા છે એ આશ્ચર્યકારક છે. એ વિરોધનો અક્ષર
પણ નથી ઉચ્ચારતા. એનું કારણ એ અને આ રાજાઓ જાણે. રાજાઓનો ધર્મ કયાં ગયો ?
પૂર્વે સ્ત્રીઓને રાજસભામાં નહોતી લાવવામાં આવતી. એ પરંપરાનો આજે લોપ થયો
છે. રાજસભામાં સ્ત્રીને લાવીને એના પર વિપત્તિ વરસાવવામાં આવે છે તો પણ
ધર્મરક્ષકો, ધર્મજ્ઞો તથા ધર્મધુરંધરો મૂક બનીને જોયા કરે છે !
દુર્યોધને
સભાજનો વચ્ચે દ્રૌપદીના દેખતાં વસ્ત્રને ઊંચુ કરીને ભીમને પોતાનું સાથળ
બતાવ્યું એટલે ભીમે ક્રોધે ભરાઈને કહયું કે દુર્યોધનના સાથળને હું
યુદ્ધમાં મારી ગદાથી તોડી નાખીશ. મારી એ પ્રતિજ્ઞા છે.
ભીમના
રોમેરોમમાંથી અગ્નિની જ્વાળાઓ સળગવા લાગી.
ભીષ્મે,
વિદુરે અને ધૃતરાષ્ટ્રે ભાવિ કુળવિનાશની કલ્પના કરી.
ધૃતરાષ્ટ્રે દ્રૌપદીને આશ્વાસન આપીને ઇચ્છાનુસાર વરદાન માંગવા કહયું તો
દ્રૌપદીએ માંગ્યું કે યુધિષ્ઠિર દાસત્વ માંથી મુક્તિ મેળવે અને મારા
પુત્ર પ્રતિવિન્ધ્યને કોઈ ભૂલેચૂકે પણ દાસપુત્ર ના કહે.
ધૃતરાષ્ટ્રે પ્રસન્ન બનીને બીજા વરદાનને માગવા જણાવ્યું તો દ્રૌપદીએ
માગ્યું કે ભીમ, અર્જૂન, સહદેવ, અને નકુલ પણ રથ તથા ધનુષબાણ સાથે દાસ મટી
જાય અને સ્વાધીન થાય.
ધૃતરાષ્ટ્રેએ બંને વરદાનને માન્ય રાખીને ત્રીજું વરદાન માગવા માટે
જણાવ્યું એટલે દ્રૌપદીએ કહયું કે આટલાં વરદાન પૂરતાં છે. લોભ ધર્મનાશનું
મૂળ હોવાથી મારે વધારે કોઈ વરદાન નથી માંગવું.
ધૃતરાષ્ટ્રની અનુમતિથી યુધિષ્ઠિરે પોતાના બંધુઓ સાથે રાજ્યના ઉપભોગ માટે
ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રયાણ કર્યું.
દ્રૌપદીએ
એવી રીતે નિમિત્ત બનીને હારેલી બાજીને જીતી આપી. એ એની વિશેષતા.