સ્ત્રીને
સામાન્ય રીતે અબળા કહવામાં આવે છે પરંતુ વાસ્તવિક રીતે એવું નથી હોતું.
સ્ત્રી અબલા નથી પરંતુ સબલા છે, પરમ શક્તિશાળી છે;
સર્વશક્તિમાન મહાદેવીનું પ્રતિક છે. એ પુરુષને મદદરૂપ બને છે ને તારે છે.
દ્રૌપદીએ પોતાના જયોતિર્મય જીવન દ્વારા એ વાતને પુરવાર કરી આપી.
યુધિષ્ઠિર
અતિશય વિવેકી, ડાહ્યા, ધર્મના મર્મને જાણનારા. છતાં પણ એમની નબળાઈ કેટલી
બધી મોટી ?
એમની નબળાઈ-દ્યુતપ્રિયતા. મહાભારત સૂચવે છે કે મોટા મનાતા અથવા સાચેસાચ
મોટા માનવોમાં પણ કેટલીકવાર નાની મોટી નબળાઈ રહેતી હોય છે. યુધિષ્ઠિરમાં
પણ નબળાઈ
હતી. એ
નબળાઈને લીધે એમણે ભૂલ કરી. નબળાઈને લીધે કોઈ માનવ ભૂલ કરે અથવા વિપથગામી
બને એ સમજી શકાય તેવું છે, પરંતુ ભૂલને જાણ્યાં પછી બીજી વાર પણ એવી
ભૂલનું પુનરાવર્તન કરવા પ્રેરાય એ વધારે કરુણ કહેવાય. યુધિષ્ઠિરે જે
દ્યુતક્રીડાની ભૂલ કરીને પોતાનું સર્વસ્વ ગુમાવેલું એ દ્યુતક્રીડાની ભૂલ
ફરીવાર કરી. પરિણામે પોતાને ને પાંડવોને હાની પહોંચાડી. એ સંબંધમાં એમનો
બચાવ ભાગ્યે જ થઈ શકે. માણસે પોતાની ભૂલમાંથી પદાર્થપાઠ શીખીને ભૂલનું
પુનરાવર્તન ના કરવું જોઈએ.
યુધિષ્ઠિર
સમજદાર હોવા છતાં બીજીવાર દ્યુતક્રીડા માટે તૈયાર થયા.
ધૃતરાષ્ટ્રે પાંડવોને પોતાની દ્યુતમાં ખોવાયેલી સઘળી સંપત્તિ સાથે
પ્રેમપૂર્વક વિદાય કર્યા છે એ જાણીને દુઃશાશને દુર્યોધનને પાંડવોથી
સાવધ રહેવા અને યુધિષ્ઠિરને ફરીવાર દ્યુતક્રીડા માટે બોલાવવા કહ્યું.
દુર્યોધને
ધૃતરાષ્ટ્ર પાસેથી યુધિષ્ઠિરને ફરી વાર દ્યુત માટે આમંત્રવાની અનુમતિ
મેળવી લીધી.
ગાંધારીએ
ધૃતરાષ્ટ્રને દુર્યોધનને દ્યુતકર્મની અનુમતિ ના આપવા માટે કહી જોયું,
પરંતુ એનું કથન વ્યર્થ ઠર્યું.
યુધિષ્ઠિર
દ્યુતની હાનીકારકતાને સમજવાં છતાં પણ દ્યુત રમવા તૈયાર થયા ત્યારે
દ્યુતક્રીડા આરંભતા પહેલાં શકુનિએ જણાવ્યું કે આ વખતના દ્યુતકર્મની સાથે
અવનવી શરતોને નકકી કરવાંમાં આવી છે. દ્યુતમાં જે હારે તેણે તે શરતોનું
પાલન કરવાનું છે. અમે જો તમારાથી હારી જઈએ તો રુરુ મૃગનાં ચર્મને પહેરીને
વનમાં જઈએ અને ત્યાં બાર વરસ સુધી વનવાસ કરીએ, તેરમાં વરસે કોઈ ઓળખે નહિ
એવી રીતે કોઈ અજ્ઞાત સ્થળમાં રહીએ. તેરમાં વરસે કોઈક કારણે ઓળખાઈ જઈએ તો
તેના દંડ તરીકે બીજા બાર વરસ માટે વનમાં વસીએ. દ્યુતમાં જો તમારો પરાજય
થાય તો દ્રૌપદી સાથે તમારે બાર વરસ માટે વનમાં વસવું, તેરમાં વરસે
અજ્ઞાતવાસ સેવવો, અને એ વરસે ઓળખાઈ જાવ તો બીજાં બાર વરસ માટે વનવાસ
ભોગવવો. વનવાસનાં અને અજ્ઞાતવાસના મળીને તેર વરસો સારી પેઠે પૂરાં થાય તો
તમારે અથવા અમારે પોતાના રાજયને ફરી વાર પ્રાપ્ત કરવું
દ્યુતની
શરતને સાંભળીને સભાજનો દુર્યોધનને અને શકુનિને ધિક્કારવા લાગ્યા. એ બંને
એમની દુર્બુદ્ધિયુક્ત તથા સ્વાર્થી દેખાયા. એ શરતો પાછળનો પાંડવો
પ્રત્યેનો વિદ્વેષભાવ પણ છૂપો ના રહ્યો.
યુધિષ્ઠિર
દ્યુત માટે તૈયાર થયા.
શકુનિ
પહેલાંની પેઠે એ દાવમાં પણ શીઘ્ર અને સહેલાઈથી જીતી ગયો.
દ્યુતમાં
હારેલાં પાંડવોએ વનવાસની દીક્ષા લીધી અને શ્યામ મૃગચર્મોને તથા ઉત્તરીય
વસ્ત્રોને ધારણ કર્યાં.
દુર્યોધનને અને દુઃશાસનને એથી અસાધારણ આનંદ થયો.
દુઃશાસન
બોલ્યો કે હવે દુર્યોધનનું શાસનચક્ર પ્રવર્ત્યું છે. પરાજીત પાંડવો
મહાવિપત્તિને પામ્યા છે. પાંડવોને અમે સુદીર્ઘ સમય માટે અનંતકાળના નરકમાં
નાંખી દીધા છે. જે પાંડવો ધનથી છકી જઇને ધૃતરાષ્ટ્રપુત્રોની હાંસી કરતા
તે હવે દ્યુતમાં પરાજય પામીને ધનવૈભવ સંપત્તિ છોડીને વનમાં જાય છે.
દ્રૌપદી, આવા પ્રતિષ્ઠા વિનાના, હલકાં અને ઉત્તરીય વસ્ત્રોને ધારણ કરનારા
પાંડવો પાસેથી તને શું સુખ મળવાનું છે?
તું અહીં જ કોઇ મનગમતાં પતિને વરી લે. કૌરવોમાંથી કોઇક સુપાત્રને વરવાથી
તારો ક્લેશ દૂર થશે.
દુઃશાસનનાં કઠોર અનુચિત વચનોને સાંભળીને ભીમના ક્રોધનો પાર ના રહ્યો. એણે
જણાવ્યું કે તું શબ્દોના શરથી અત્યારે અમારા મર્મભાગોને વીંધી રહ્યો છે.
પરંતું યુદ્ધમાં તારા મર્મસ્થળ વીંધીને એનો બદલો લઇશ. ક્રોધ અને લોભને વશ
થઇને જે તને અનુસરે છે તે સૌને હું સપરિવાર યમલોકમાં પહોંચાડીશ.
પાંડવો
સભામાંથી બહાર જવા લાગ્યા ત્યારે દુર્યોધન ભીમની પેઠે ચાલીને તેમના ચાળા
પાડવા લાગ્યો. એને દેખીને ભીમે જણાવ્યું કે આ કામને આટલે આવીને પુરૂ
થયેલું માનીશ નહીં. થોડા વખતમાં તને સપરિવાર મારીને હું તારા પરિહાસનો
જવાબ આપીશ. હું તારો નાશ કરીશ, અર્જૂન કર્ણનો નાશ કરશે, અને સહદેવ
શકુનિને મારશે.
અર્જૂને
પણ પોતાના પરાક્રમની ભાષામાં જણાવ્યું કે મારી સાથે યુધ્ધ કરનારા સૌને
યમસદનમાં પહોંચાડીશ. આજથી ચૌદમાં વરસે દૂર્યોધેન જો અમારા રાજયને
સત્કારપૂર્વક પાછુ નહિં આપે તો તેનું પરિણામ ખરેખર ખુબ જ વિનાશક આવશે.
સહદેવે
અને નકુલે પણ પોતપોતાની રીતે કૌરવોના કુકર્મનો બદલો લેવાની પ્રતિજ્ઞા
કરી.
વિદુરે
વનવાસના વિપરીત વખત દરમિયાન દ્રૌપદીને પોતાને ત્યાં આશ્રય આપવાની
શુભેચ્છા પ્રદર્શાવી પરંતુ દ્રૌપદી પાંડવો સાથે વનમાં જવા માટે કૃતસંકલ્પ
હતી. એણે એ માટે કુંતીના આશીર્વાદ માગ્યા.
પાંડવો
દ્રૌપદી તથા ધૌમ્ય મુનિ સાથે હસ્તિનાપુરમાંથી બહાર નીકળ્યા.
કાળ
ક્યારે શું કરશે તેની ખબર કોને પડે છે
?
તેની પૂર્વમાહિતી કોને મળે છે ?
એની લીલા અકલ્પ્ય, અવર્ણનીય, અજબ છે.
એને લીધે
પાંડવોનો જીવનપ્રવાહ બીજી દિશામાં વહેવા લાગ્યો.