સૂર્યોપાસના પ્રાચીન કાળથી પ્રવર્તમાન છે. એની શક્તિ અસાધારણ, અસીમ અને
અમોઘ છે. જે પણ પરમ શ્રદ્ધાભક્તિથી પ્રેરાઇને એનો આધાર લે છે તે સફળ
મનોરથ અને કૃતાર્થ થાય છે. મહાભારતના વનપર્વના ત્રીજા અધ્યાયમાં એ
ઉપાસનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનું વિહંગાવલોકન કરી લઇએ.
યુધિષ્ઠિર
દુર્યોધન સાથેના દ્યુતમાં સર્વ કાંઇ હારી ગયા અને પાંડવો તથા દ્રૌપદી
વનમાં જવા નીકળ્યા ત્યારે એમના પ્રત્યે અનુરાગ અને આદરભાવ રાખનારા કેટલાક
વેદજ્ઞ સદાચારી બ્રાહ્મણો પણ એમની સાથે જવા તૈયાર થયા. યુધિષ્ઠિરે એમને
સમજાવવાના તથા યેનકેન પ્રકારેણ પાછા વાળવાના પર્યાપ્ત પ્રયત્નો કરી જોયા,
પરંતુ એ પ્રયત્નો સફળ ના થયા. વનમાં અતિથિ તરીકે આવનારા વેદવેત્તા
બ્રાહ્મણોનો ને અન્ય માનવોનો સમુચિત સત્કાર કરવા જેટલી સામગ્રીના અભાવને
લીધે પોતાને દયનીય દશામાં મુકાવું પડે, અને સ્વભાવસહજ સેવાધર્મનું
અનુષ્ઠાન ના થઇ શકે તો જીવનનો અર્થ પણ શો રહે, એ વિચારથી એમની ચિંતા તથા
પીડા પરાકાષ્ઠાએ પહોંચી.
એમની
સમસ્યાને સહાનુભૂતિપૂર્વક સમજીને ધર્માત્માશ્રેષ્ઠ મહર્ષિ ધૌમ્યે એમને
સૂર્યોપાસનાનો ઉપદેશ આપતાં જણાવ્યું કે સૂર્ય સર્વે પ્રાણીઓનો પિતા અથવા
સમસ્ત જગતનો આત્મા છે. તમે એનું શરણ લો. સૂર્યનું શરણ સ્વીકારીને
ધર્માનુસાર તપશ્ચર્યામાં પ્રવૃત્ત થવાથી તમારા પર જે વિશેષ અનુગ્રહ થશે
તેથી તમારી ચિંતા દૂર થશે ને તમે સૌનું પાલન કરી શકશો.
યુધિષ્ઠિરને એ સદુપદેશથી સંતોષ થયો.
સ્વનામધન્ય ધર્માત્મા શ્રેષ્ઠ મહર્ષિ ધૌમ્યે યુધિષ્ઠિરને સૂર્યનારાયણનાં
એકસો આઠ નામો કહી બતાવ્યાં. એમનો ફળનિર્દેશ કરતાં એમણે જણાવ્યું કે
સૂર્યોદય સમયે શુદ્ધ અને એકાગ્ર મનથી એ નામોનો પ્રેમપૂર્વક પાઠ કરનાર
પુત્ર-સ્ત્રી, ધન-રત્ન, દ્યુતિ તથા મેઘા મેળવે છે, અને બીજા જન્મમાં
પૂર્વજન્મના જ્ઞાન સાથે જન્મે છે. દેવાધિદેવ દિવાકર આ સરસ સ્તોત્રપાઠથી
શોકરૂપ સંસારસાગરમાંથી મુક્તિ મળે છે ને સઘળી ઇચ્છાઓની પૂર્તિ થાય છે.
ધર્માત્માશ્રેષ્ઠ ધૌમ્યનો સદુપદેશ સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરે
સૂર્યોપાસના માટે તપનો આરંભ કર્યો. એમણે સ્નાન, આચમન, પ્રાણાયામ કરીને
ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરી. એમની ઉપાસનાથી પ્રસન્ન થયેલા
સૂર્યનારાયણ તેજોમય સ્વરૂપને ધારણ કરીને પ્રગટ થયા ને બોલ્યા કે તમારી
સઘળી ઇચ્છાઓ મારી કૃપાથી પૂરી થશે. તમને બાર વરસ સુધી પ્રતિદિન અન્ન
મળ્યા કરશે. આ તાંબાનું પાત્ર તમને અર્પણ કરું છું. એમાં તૈયાર કરેલી
રસોઇ દ્રૌપદી પીરસતી રહેશે ત્યાં સુધી કદી ખૂટશે નહીં. તેર વર્ષ પૂરાં
થયા પછી તમને પુનઃ રાજ્યપ્રાપ્તિ થશે.
એટલું
કહીને એ અદૃશ્ય થઇ ગયા.
સૂર્યનારાયણના સ્તોત્રપાઠનો મહિમા ઘણો મોટો છે. પવિત્ર હૃદયથી એ
સ્તોત્રનો આધાર લેનારના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. સવાર-સાંજ એનો પાઠ
કરનાર સર્વે પ્રકારનાં બંધન તથા સંકટમાંથી મુક્તિ મેળવે છે.
સૂર્યનારાયણ ભગવાને અર્પણ કરેલું એ અક્ષયપાત્ર પાંડવોને માટે અમોઘ
આશીર્વાદરૂપ થઇ પડ્યુ. એની મદદથી એમની અતિથિસેવા સારી રીતે ચાલુ રહીં.
દ્રૌપદી જ્યાં સુધી ભોજન ના કરતી ત્યાં સુધી એની ખાદ્યસામગ્રી ખૂટતી
નહીં. ભોજન ગમે તેટલું તૈયાર કર્યું હોય તો અખૂટ બની જતું યુધિષ્ઠિર સૌથી
પહેલાં બ્રાહ્મણોને જમાડતા, પછી પોતાના ભાઇઓને, પછી અતિથિઓને, અને છેવટે
પોતે જમતા. સૌથી છેલ્લે દ્રૌપદી જમતી. એ પછી ખાદ્યસામગ્રી આપોઆપ ખૂટી
જતી.
એવું
અદભુત અક્ષયપાત્ર સમાજસેવા માટે કેટલું બધું કામ લાગે
?
આજે એવું સ્થૂળ અક્ષયપાત્ર નથી દેખાતું પરંતુ સૂક્ષ્મ પાત્ર તો છે જ.
માનવના અંતરની ઉદારતા, ઉદાત્તતા અને નિઃસ્વાર્થ સેવાભાવના એક અસાધારણ
અક્ષયપાત્ર છે. એ અક્ષયપાત્રની મદદથી માનવ સેવાભાવનાથી સંપન્ન બનીને
સેવાકર્મ કરતો રહે તો એની સામગ્રી અનંત બને અને અન્યને માટે આશીર્વાદરૂપ
ઠરે.