સ્વનામધન્ય ધર્માત્મા શ્રેષ્ઠ મહર્ષિ ધૌમ્યે યુધિષ્ઠિરને સૂર્યનારાયણનાં
એકસો આઠ નામો કહી બતાવ્યાં. તે નામો આ પ્રમાણેઃ સૂર્ય, અર્યમા, ભગ,
ત્વષ્ઠા, પૂષા, અર્ક, સવિતા, રવિ, ગભસ્તિમાન્, અજ, કાલ, મૃત્યુ, ધાતા,
પ્રભાકર, પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ, સોમ, બૃહસ્પતિ, શુક્ર, બુધ,
અંગારક, ઇન્દ્ર, વિવસ્વાન્, દીપ્તાંશુ, શુચિ, શૌરિ, શનૈશ્વર, બ્રહ્મા,
વિષ્ણુ, રુદ્ર, સ્કંદ, યમ, વૈદ્યુતાગ્નિ, જઠરાગ્નિ, ઐન્ધનાગ્નિ, તેજપતિ,
ધર્મધ્વજ, વેદકર્તા, વેદાંગ, વેદવાહન, સત્યયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ,
કલા, કાષ્ઠા, મુહૂર્ત, ક્ષપા, યામ, ક્ષણ, સંવત્સરકર, અશ્વત્થ, કાલચક્ર,
વિભાવસુ, વ્યકતાવ્યક્ત પુરુષ, શાશ્વત યોગી, કાલાધ્યક્ષ, પ્રજાધ્યક્ષ,
વિશ્વકર્મા, તમોનુદ, વરુણ, સાગર, અંશ, જીમૂત, જીવન, અરિહા, ભૂતાશ્રય,
ભૂતપતિ, સ્ત્રષ્ટા, સંવર્તક, વહનિ, સર્વાદિ, અલોલુપ, અનંત, કપિલ, ભાનુ,
કામદ, સર્વતોમુખ, જય, વિશાલ, વરદ, મન, સુપર્ણ, ભૂતાદિ, શીઘ્રગ,
ધન્વન્તરિ, ધૂમકેતુ, આદિદેવ, દિતિસૂત, દ્વાદશાત્મા, અરવિંદાક્ષ, પિતા,
માતા, પિતામહ, સ્વર્ગદ્વાર, પ્રજાદ્વાર, મોક્ષદ્વાર, ત્રિવિષ્ટપ,
દેહકર્તા, પ્રશાંતાત્મા, વિશ્વાત્મા, વિશ્વતોમુખ, ચરાચરાત્મા,
સૂક્ષ્માત્મા, મૈત્રેય.
એ નામો
બ્રહ્માએ કહેલાં છે. એમનો ફળનિર્દેશ કરતાં એમણે જણાવ્યું કે સૂર્યોદય
સમયે શુદ્ધ અને એકાગ્ર મનથી એ નામોનો પ્રેમપૂર્વક પાઠ કરનાર
પુત્ર-સ્ત્રી, ધન-રત્ન, દ્યુતિ તથા મેઘા મેળવે છે, અને બીજા જન્મમાં
પૂર્વજન્મના જ્ઞાન સાથે જન્મે છે. દેવાધિદેવ દિવાકરના આ સરસ સ્તોત્રપાઠથી
શોકરૂપ સંસારસાગરમાંથી મુક્તિ મળે છે ને સઘળી ઇચ્છાઓની પૂર્તિ થાય છે.
યુધિષ્ઠિરે કરેલી સૂર્યની સ્તુતિનો સારભાગ આ પ્રમાણે છેઃ
"હે ભાનુ
! તમે જગતના નેત્રરૂપ છો. સર્વ દેહધારીઓના આત્મા છો. પ્રાણીમાત્રના
જન્મસ્થાન છો. ક્રિયાવાનોના આચારરૂપ છો. સર્વજ્ઞાનનિષ્ઠોની ગતિરૂપ છો.
યોગીઓના આશ્રય છો. મુમુક્ષુઓની ગતિ છો. તેમનું મોક્ષદ્વાર છો. તમે જ
લોકને ધારણ કરો છો, તમે જ લોકને પ્રકાશ આપો છો, તમે જ તેને પવિત્ર કરો
છો. તમે જ તેને પાળો છો. હે ઋષિગણોથી પૂજા પામેલા ! વેદમાં પારંગત થયેલા
બ્રાહ્મણો તમારી આગળ યોગ્ય કાળે આવીને પોતાની વેદની શાખાએ નિશ્ચિત કરેલા
મંત્રો વડે તમારું પૂજન કરે છે. વરદાનની ઇચ્છા રાખતા સિદ્ધો, ચારણો,
ગંધર્વો, યક્ષો, ગુહ્યકો અને પન્નગો તમારા ચાલ્યા જતા દિવ્યરથને અનુસરે
છે. શ્રેષ્ઠ વિદ્યાધરો દિવ્ય મંદારમાલાઓથી તમને અર્ચન આપીને પોતાના
મનોરથોની પૂર્ણ સિદ્ધિ મેળવે છે. સર્વ જ્યોતિઓ તમારામાં રહેલી છે. તમે જ
સર્વ જ્યોતિઓના સ્વામી છો. ધર્મ, જ્ઞાન, વિરાગ અને ઐશ્વર્ય આદિ સાત્વિક
ભાવો તમારામાં રહેલા છે. જે સુદર્શન ચક્રથી સારંગપાણિ ભગવાને દેવશત્રુઓના
મદનો નાશ કર્યો હતો, તે વિશ્વકર્માએ તમારા તેજથી જ કર્યું હતું. ઉનાળામાં
તમે તમારાં કિરણોથી સર્વદેહધારીઓના તથા સર્વ ઔષધિઓના રસના તેજને લો છો ને
ફરી વર્ષામાં તેની વૃષ્ટિ વરસાવો છો. વર્ષાઋતુમાં તમારાં કિરણોમાંના
કેટલાંક તાપ આપે છે. કેટલાંક દાહ આપે છે, અને કેટલાંક મેઘરૂપ થઇ ગર્જના
કરે છે. વીજળીના ચમકારા નાખે છે. જલધારા વરસાવે છે. તમે ઉદય ના પામો તો આ
જગત અંધકારમય થઇ જાય અને બુદ્ધિમાનો ધર્મ, અર્થ અને કામમાં પ્રવૃત્તિ કરી
શકે નહિં. તમે મનુઓના, મનુપુત્રોના, જગતના, અમાનવોના મન્વતરોના અને સર્વ
ઇશ્વરોના ઇશ્વર છો. તમે ઇન્દ્ર કહેવાઓ છો, રુદ્ર છો, વિષ્ણુ છો, પ્રજાપતિ
છો, અગ્નિ છો, સૂક્ષ્મ મન છો, પ્રભુ છો, સનાતન બ્રહ્મ છો.
સાતમ કે
છઠે જે માણસ અહંકારરહિત અને પૂજનપરાયણ રહીને તમારી ભક્તિપૂર્વક પૂજા કરે
છે તેને સાક્ષાત્ લક્ષ્મી સેવે છે. જેઓ અનન્ય ચિત્તે તમને અર્ચન વંદન કરે
છે, તેમને આપત્તિઓ, આધિઓ અને વ્યાધિઓ આવતાં નથી. તમારામાં જ ભાવમય થયેલા
ભક્તો સર્વરોગોથી રહિત થાય છે, સર્વપાપોથી મુક્ત થાય છે, સુખી થાય છે અને
દીર્ઘાયુ ભોગવે છે. આ લોકમાં વરદાનને ઇચ્છતો બીજો કોઇ માણસ પણ જો સ્વસ્થ
મનથી નિયમપરાયણ રહીને આ સ્તોત્રનો પાઠ કરે છે તો સૂર્ય ભગવાન તેને તેનું
ઇચ્છેલું ફળ આપે છે. ભારે દુર્લભ હોય તેને પણ પ્રાપ્ત કરે છે. જે પુરુષ
કે સ્ત્રી આ સ્તોત્રને નિત્ય હૃદયમાં રાખે છે અથવા સાંભળે છે. તે
પુત્રાર્થી હોય તો પુત્ર પામે છે, ધનાર્થી હોય તો ધન પામે છે, અને
વિદ્યાની કામનાવાળો હોય તો વિદ્યા પામે છે. જે સ્ત્રી કે પુરુષ બેઉ
સંધ્યાકાળે આ સ્તોત્રનો નિત્યપાઠ કરે છે તે આપત્તિમાંથી છૂટે છે. બંધનમાં
બંધાયેલા બંધનથી છૂટાં થાય છે. આ સ્તોત્ર પૂર્વે બ્રહ્માએ ઇન્દ્રને
આપ્યું હતું. ઇન્દ્ર પાસેથી તે નારદને મળ્યું હતું. અને નારદ પાસેથી
ધૌમ્યને પ્રાપ્ત થયું હતું. યુધિષ્ઠિરે તે ધૌમ્ય પાસેથી મેળવીને સર્વ
મનોરથો સિદ્ધ કર્યા હતા. આ સ્તોત્રનો પાઠ કરનારો સંગ્રામમાં નિત્ય વિજય
મેળવે છે, વિપુલ ધનસંપત્તિ મેળવે છે, સર્વ પાપોથી મુક્ત થાય છે, અને
છેવટે સૂર્યલોકને વિષે જાય છે."