|
|
|
Shri Yogeshwarji
(15 August 1921 - 18
March 1984)
|
|
|
 |
|
Quotes
|
|
મનની શુદ્ધિ |
|
અશુધ્ધ મન સહેલાઈથી સ્થિર
થઈ શકતું નથી. મન જે વિષયોની વાસના અથવા લાલસાથી સંપન્ન હોય તે તરફ
પ્રભુનું સ્મરણ કરતી વખતે પણ આકર્ષણ અનુભવ્યા કરે અને તેથી તે તરફ ગતિમાન
બને. ત્યાંથી મનને પાછું લાવવું પડે છે. જેણે પોતાના જીવનની અંદર મનની
શુધ્ધિને સાધવાને માટેના પ્રયત્નો કર્યા હોય તેવા સાધકો પોતાના મનને
સહેલાઈથી સ્થિર કરી શકે છે. |
|
મહોત્સવ |
|
ભગવાનનો પ્રેમરસ
જેણે ચાખ્યો છે, આત્માના અલૌકિક આનંદને જેણે અનુભવ્યો છે, તેને અનાત્મ
પદાર્થોના આકર્ષણો કદિકાળ આકર્ષિત કરી શકતા નથી. એ તો આત્માની દુનિયામાં
જ સદા અવગાહન કર્યા કરે છે, એને શોક કે મોહ સતાવી શકતા નથી, ભયની ભૂતાવળો
એને લાગતી નથી. એનું જીવન સર્વપ્રકારે નિર્મળ અને નિર્મમ બની જાય છે. એ
જીવનની અંદર આનંદનો મહોત્સવ કરતો થઈ જાય છે. |
|
મનની સ્થિરતા |
|
તદ્દન એકાંત હોય,
બહારથી કોઈ શબ્દ ન સંભળાતા હોય તોપણ માનવ પોતાના મનને સ્થિર કરી શકે એવું
નથી. કારણ કે જ્યારે બહારના શબ્દો સંભળાતા નથી ત્યારે પણ અંદર સૂતેલાં
સંસ્કારોને લીધે માનવ કલ્પના કરી શબ્દોનું શ્રવણ કર્યા કરે છે. તે જ રીતે
આંખ બંધ કર્યા પછી બહારના દ્રશ્યો ભલે ન દેખાતા હોય પણ મનની આંખ આગળ
કલ્પનાજન્ય દ્રશ્યો દેખાયા કરે છે. અને એની પ્રતિક્રિયાને પરિણામે આપણે
હર્ષ-શોક કે શાંતિ અને અશાંતિનો અવુભવ કરીએ છીએ. એથી શરૂઆતમાં સાધકે મનને
સ્થિર કરવાનો સંઘર્ષ કરવો પડે છે. |
|
મનની આંખ |
|
જેવી રીતે સિનેમાના
પડદા ઉપર કે નાટકના રંગમંચ પર જુદીજુદી જાતના દ્રશ્યો દેખાય તે જ રીતે
સ્મૃતિના આધારે મનના ફલક પર જુદીજુદી જાતના દ્રશ્યો પેદા થાય છે. મન એ
દ્રશ્યોનું અવલોકન કે નિરિક્ષણ કર્યા કરે છે. બહારથી જોતાં એમ લાગે કે
આંખ બંધ છે પણ મનની આંખ દ્વારા જુદી જુદી જાતના દ્રશ્યોનું દર્શન થયા જ
કરે છે. જ્યારે તનની સાથે મનની આંખ પણ જોવાનું બંધ કરે છે ત્યારે સાધક
પરમાત્મદર્શન માટેની જરૂરી એકાગ્રતાને અનુભવે છે. |
|
મનનું
કેન્દ્રિકરણ |
|
જપ કે ધ્યાન કરતી
વખતે મનને ક્યાં સ્થિર કરવું જોઈએ? તમે જ્યાં તમારા મનને સહેલાઈથી એકાગ્ર
કરી શકતા હો, જ્યાં કેન્દ્રિત કરવાથી તમારું મન બાહ્ય સંકલ્પ વિકલ્પોને
પરિત્યાગીને સહેલાઈથી એકાગ્રતા અનુભવી શકતું હોય ત્યાં મનને સ્થિર કરો.
ચિત્તને હૃદયપ્રદેશ, ભ્રમરમધ્યે કે અન્ય સ્થાને કેન્દ્રિત કરવું તે
વ્યક્તિગત રૂચિનો પ્રશ્ન છે. એને માટેનો કોઈ નિશ્ચિત નિયમ દરેક સાધકને
માટે બાંધી શકાતો નથી. પ્રત્યેક સાધકે પોતાની રૂચિ મુજબ ધ્યાનની પધ્ધતિની
પસંદગી કરવી જોઈએ. |
|
મૃગચર્મ |
|
કુદરતને ખોળે નિર્દોષ રીતે
ખેલનારા હરણોને મારીને તેમનાં ચર્મોને ઉતારી તેવા આસન પર બેસી જપ-તપ
કરવાં કોઈ સાધક કે સિધ્ધને શોભે નહીં. નિર્દોષ પ્રાણીઓના લોહીથી
ખરડાયેલાં આસન આપણે શા માટે વાપરવા જોઈએ? સાધના માટે મૃગચર્મ કે
વ્યાઘ્રચર્મ, અરે!
કોઈપણ આસન અનિવાર્ય નથી. સાધના માટે તો નિરોગી શરીર અને સાત્વિક મન જ
અનિવાર્ય છે. કેટલાં કહે છે કે તેમાંથી magnetism મળે છે, પણ મોટામાં
મોટું magnetism તો આત્મામાં છે. તમે પોતે જ શક્તિનાં ભંડાર છો,
પ્રસન્નતાના Power House છો. ચામડાંઓમાંથી magnetism ને
ક્યાં શોધો છો? |
|
મુક્તિ |
|
સ્વાર્થ એ બંધ છે,
ને નિ:સ્વાર્થતા એ મુક્તિ છે. દ્વેષ એ બંધ છે, ને પ્રેમ એ મુક્તિ છે.
વિલાસ એ બંધ છે, ને સંયમ એ મુક્તિ છે. દ્વેષદર્શન એ બંધ છે, ને
એકદર્શન-અભેદદર્શન એ મુક્તિ છે. બહારના પદાર્થો પાછળ સુખશાંતિ માટે પડવું
એ બંધ છે ને અંદર જ તેનો પ્રવાહ પ્રાપ્ત કરવો એ મુક્તિ છે. દેહનો અધ્યાસ
એ બંધ છે, ને આત્મતત્વની અનુભૂતિ એ મુક્તિ છે. કામ, ક્રોધ ને લોભ એ બંધ
છે, ને નિ:સંકલ્પતા, નિર્લેપતા ને ક્ષમા તથા દયા એ મુક્તિ છે. આ અનુસાર
આપણે જીવન બનાવીએ તો મુક્તિ એ આવતા ભવની વાત નહિ પણ આ જન્મની સત્ય
પ્રતીતિ થઈ જાય છે.
- (હિમાલયના પત્રો) |
|
|
|
|