|
પ્રશ્ન:
ધ્યાન કેવી રીતે કરવું
?
ઉત્તર:
પદ્માસનમાં બેસીને કે પલાંઠી વાળીને, આંખ મીંચીને, જપ કરતાં કરતાં કે જપ
કર્યા વિના, શાંતિપૂર્વક બેસીને ધ્યાન કરી શકાય છે.
પ્રશ્ન:
ધ્યાન કરતી વખતે કોઈ મૂર્તિને યાદ કરી શકાય ખરી
?
ઉત્તર:
જરૂર યાદ કરી શકાય. એ ધ્યાન કરનારની રુચિ પર આઘાર રાખે છે.
પ્રશ્ન
: ધ્યાન કરતી વખતે મન દોડાદોડ કરે છે તેનું કારણ શું
?
ઉત્તર:
હૃદયની શુદ્ધિનો અભાવ, અભ્યાસની ખામી, અને સાંસારિક વસ્તુઓ માટેની લાલસા,
આસક્તિ કે રાગવૃત્તિ. એ ઓછી થતી જાય, અને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ વધતો
જાય, તેમ મન શાંત થતું જાય છે, સ્થિર થાય છે, ને છેવટે વશ થાય છે.
પ્રશ્ન:
એ માટે કોઈ બીજો ઉપાય પણ છે
?
ઉત્તર:
બીજો ઉપાય નિરંતર ને દિલના ઊંડાણમાંથી કરાતી પ્રાર્થનાનો છે. એથી પણ મનની
એકાગ્રતામાં મદદ મળે છે. તે ઉપરાંત સત્સંગ પણ મનને નિર્મળ ને પછી સ્થિર
કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
પ્રશ્ન:
ધ્યાનનું ફળ શું ?
ઉત્તર:
સમાધિ. ઘ્યાન કરતાં કરતાં મન જ્યારે છેક શાંત થઈ જાય છે, ત્યારે શરીરનું
ભાન ભૂલી જવાય છે, જ્યાં બેઠા હોઈએ તે વાતાવરણ ને સ્થાનનું ભાન પણ ભૂલી
જવાય છે. કાળ કે કેટલા વખત લગી બેઠા તે સમયનું ભાન પણ નથી રહેતું. શરીર
જડ જેવું બની જાય છે, અને ઈન્દ્રિયોનાં બઘા કામ અટકી પડે છે. એ સમાધિ
કહેવાય છે. શરીર ત્યારે નીચે પડી જતું નથી, પણ એવું જ સ્થિર રહે છે. એવી
સમાધિદશા કોઈકને જ મળી શકે છે. કરોડોમાંથી કોઈકને જ. |