|
ગ્રહી અનસૂયાકેરાં ચરણ બોલી સીતા સુમધુર વચન;
અર્પી આશિષ ઋષિપત્નીએ એને બેસાડી સ્નેહે સમીપે.
દિવ્ય વસન ભૂષણ પહેરાવ્યાં, નિતનૂતન નિર્મળ ચારુ લાગ્યાં;
કહી મનહર મધુ મૃદુ વાણી નારી ધર્મને પ્રેમે વખાણી.
માતા ભાઇ પિતા હિતકારી સર્વે મિતપ્રદ રાજકુમારી !
કિન્તુ ભર્તા અમિત ફળ આપે કલેશ બંધ અશાંતિને કાપે.
એવા પતિને સેવે ના નારી તે છે અધમ અભાગ નઠારી,
ધર્મ ધીરજ મિત્ર ને નાર ચારે પરખાય આપત્તિકાળ.
વૃદ્ધ રોગી નિર્ધન જડ અંધ દીન પતિની સેવા કરી બંધ,
ક્રોધી બધિરને ના આપી માન નારી કરી શકે ના કલ્યાણ.
એક ધર્મ નિયમ વ્રત એક તન મન વચને રાખી ટેક
પતિચરણોમાં રાખવો પ્રેમ એથી નારીનું થાય છે ક્ષેમ.
(દોહરો)
પતિવ્રતા સ્ત્રીના કહ્યાં જગમાં ચાર પ્રકાર,
વેદપુરાણે સજ્જને એવો કર્યો વિચાર.
*
ભાવ એ જ ઉત્તમના મનમાં સ્વપ્ને અન્ય નર નથી જગમાં;
મધ્યમ પરપતિ મનથી જાણે પિતા પુત્ર કે બંધુ પ્રમાણે.
ધર્મ તથા કુળનીતિ વિચારી રહે નિકૃષ્ટ કહી તે નારી;
ભયવશ અવસર ના મળવાથી અધમ સ્ત્રી રહે પતિવ્રતાશી.
પતિવંચક પરપતિ રતિવાળી રૌરવ નરક પડે છે ભારી;
ક્ષણિક અમંગલ સુખને માણે, દુઃખને આગામી ના જાણે.
એના સરખી અધમ ના કોઇ, પતિવ્રતધર્મ પાળતી જોઇ
અનાયાસ તે સદગતિ પામે;
પતિ પ્રતિકૂળ દુઃખ ના વામે.
(દોહરો)
પતિસેવાથી પરમ ગતિ પામે છે નારી,
તુલસી પ્રિય પ્રભુને બની ધર્મ પરમ પાળી.
નામ સ્મરી તુજ પાળશે નારી પતિવ્રતધર્મ,
રામ તને છે પ્રાણપ્રિય છતાં કહ્યો મેં મર્મ.
જગહિત માટે વર્ણવી તોપણ સર્વ કથા;
શમી ગઇ સ્નેહે છલ્યાં, સુણતાં શબ્દ વ્યથા.
|