|
રામભક્ત તુલસીદાસ રામને ભગવાન તથા સીતાને જગદંબા માને છે. રાવણ સીતાનું હરણ કરે
અને એના સ્થૂળ શરીરને સ્પર્શે એવી કલ્પના પણ એ નથી કરી શકતા. એટલે એમણે એક
પ્રસંગ આલેખ્યો છે. એ પ્રસંગ આ પ્રમાણે છેઃ
'લક્ષ્મણ
જ્યારે વનમાં કંદમૂળ તથા ફળ લેવા ગયા ત્યારે કૃપા તથા સુખના ભંડાર રામે સીતાને
કહ્યું કે હું હવે કાંઇક મનોહર મનુષ્યલીલા કરું છું. માટે જ્યાં સુધી હું
રાક્ષસોનો નાશ ન કરું ત્યાં સુધી તમે અગ્નિમાં વાસ કરો.'
तुम्ह पावक महुँ करहु निवासा। जौ लगि करौं निसाचर नासा ॥
'રામે
બધું સમજાવી કહ્યું ત્યારે સીતા પ્રભુનાં ચરણોને હૃદયમાં ધરીને અગ્નિમાં સમાઇ
ગઇ. સીતાએ ત્યાં પોતાની છાયામૂર્તિ રાખી. તે તેના જેવી જ રૂપ, ગુણ, શીલ, સ્વભાવ
અને ઉત્તમ વિનયવાળી હતી. ભગવાનના એ ચરિત્રનુ રહસ્ય લક્ષ્મણે ના જાણ્યું.'
એ પ્રસંગ એકંદરે ચમત્કૃતિજનક હોવા છતાં પ્રેરક અને કલ્યાણકારક નથી. એના દ્વારા
રામાન્ય માનવને પ્રેરણા નથી મળતી. સીતા સાચી સીતા ના હોય અને એનું હરણ થાય તો
શો બોધપાઠ મળે? એના સંયમની, શીલની, એની નીડરતાની, પવિત્રતાની, અગ્નિપરિક્ષાની,
સતીત્વની કથા કાલ્પનિક જ ઠરે. એ સાચી સીતાની, એક સન્નારીની કથા ના રહે. સીતા
છાયામૂર્તિ રૂપે નહોતી પરંતુ સાચા સ્વરૂપે રહીને સઘળું સહી શકી અને શીલને સાચવી
શકી, એ હકીકત સામાન્ય રીતે વધારે લાભકારક અને પ્રેરક બની શકે.
એમ તો રામને પણ કષ્ટો ક્યાં નથી પડ્યાં ? પ્રત્યેક શરીરધારીને અનૂકુળ પ્રતિકૂળ
પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. અવતારી દૈવી આત્માઓ પરિસ્થિતિથી પ્રભાવિત નથી
થતા એવો સંદેશ રામસીતાને સાચા માનવ તરીકે માનવાથી જ સાંપડી શકશે.
|