|
રામકથાના પાવન પ્રવાહમાં એક પ્રાણવાન પરમપવિત્ર પાત્રની વિસ્મૃતિ થઇ છે. મહર્ષિ
વાલ્મીકિએ કે સંતશિરોમણી તુલસીદાસે એને અનુરાગની અંજલિ આપી નથી. એનું ગૌરવગાન
ગાવાનું તો બાજુએ રહ્યું પણ એનો ઉલ્લેખ પણ નથી કર્યો. એ પાત્ર ઉર્મિલાનું છે. એ
પાત્રની વિસ્મૃતિ થઇ છે કે ઉપેક્ષા કરાઇ છે એવું અનેક રામકથારસિકોને લાગ્યા કરે
છે. એવા લાગણી સર્વથા નિરાધાર અથવા અસ્થાને નથી.
સીતા તથા ઉર્મિલાનાં લગ્ન એકસાથે જ લેવાયા. શ્રુતકીર્તિ તથા માંડવી સાથે. પરંતુ
સીતા સિવાયની એ ત્રણે બેનો રામકથાના પંરપરાગત પ્રવાહમાંથી અદ્રશ્ય રહી છે.
ઉર્મિલા પર રામકથાનો ઘણો મોટો આધાર હતો. એના અંતરમાં પણ સીતાના અંતરમાં રામને
માટે જાગ્યા તેવા પ્રેમભાવો લક્ષ્મણને માટે જાગ્યા જ હશે. એ લક્ષ્મણને રામ-સીતા
સાથે વનમાં જવા અનુમતિ ના આપત અને અયોધ્યાના રાજપ્રાસાદમાં જ પોતાની પાસે
રહેવાનો આગ્રહ કરત તો લક્ષ્મણની સ્થિતિ વિચિત્ર થઇ પડત. રામાયણની કથા જુદો જ
વળાંક લેત.
પરંતુ ઉર્મિલાએ એવું ના કર્યું. એણે અનોખો ત્યાગ કરી બતાવ્યો. લક્ષ્મણને અનુમતિ
આપી. પતિ તરીકે તમારું પ્રથમ કર્તવ્ય મારા પ્રત્યે છે;
તમે મને પરણ્યા છો, રામને નહિ એવી દલીલનો વિચારસરખો ના કર્યો. રામની સંનિધિ તથા
સેવામાં જીવનનું પરમકલ્યાણ સમજીને લક્ષ્મણને તેને માટે પ્રેરણા પૂરી પાડી.
પોતાના તરફથી કોઇ પ્રકારનો અવરોધ ના ઉભો કર્યો. પોતે ઘરમાં રહીને તપ કર્યું,
સેવા કરી, શાંતિ રાખી. ચૌદ વરસની અવધિ સુધી તિતિક્ષા તથા પવિત્રતા પાળી. ભરત
ચિત્રકૂટ ગયા ત્યારે પણ ઉર્મિલા લક્ષ્મણને મળવા લઇ જવાત. એ ઘટના, એ અવસરને
અનુરૂપ ગણાત. ઉર્મિલાનો ઉલ્લેખ તે વખતે કરી શકાયો હોત;
પણ નથી થયો.
સીતાનો પંથ કંઇક અંશે સરળ હતો. એની સાથે રામ હતા. ઉર્મિલાનો પ્રમાણમાં વિકટ,
વધારે વિકટ પંથ હતો તોપણ એણે એને સસ્મિત પાર કર્યો. એ સીતા કરતાં લેશપણ ઉતરતી
નહોતી. થતાં પણ એનો ઉલ્લેખ નથી થયો. એના ઉલ્લેખ દ્વારા કવિતા વિશેષ રસમય તથા
પ્રેરક બનાવી શકાઇ હોત.
|